ધ્રોલની પોસ્ટ ઓફીસ સામે બે દિવસ પહેલા થયેલી ઘરફોડ ચોરીનો ભેદ સ્થાનિક પોલીસે ઉકેલી નાખ્યો છે. અને બે આરોપીઓને ચોરીના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે, પકડાયેલા બંને શખ્સો સામે અગાઉ ફરીયાદો નોંધાઇ ચુકી છે.
ધ્રોલમાં રહેતા આબેદઅલી મુસ્તફાભાઈ કાદીયાણીના મકાનમાંથી બે દિવસ પહેલા રૂ. ૧ લાખ ૫૫ હજારની કિંમતના સોના ચાંદીના દાગીનાની ચોરી થવા પામી હતી. જે અંગે પોલીસ માં ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે સીસીટીવીના ફૂટેજ અને ટેકનીકલ તથા હુમન સોર્સથી પોલીસ દ્વારા તસ્કરો ની તપાસ કરવામાં આવી હતી.
ધ્રોલના પીઆઇ એચ.વી. રાઠોડના માર્ગદર્શન હેઠળ સ્ટાફના રાજેશભાઇ, હરદેવસિંહ, સંજયભાઇ, રઘુવીરસિંહ તથા નાગજીભાઇને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે શખ્સો ચોરીનો મુદામાલ લઈને વેચાણ કરવા માટે દરગાહથી કિસ્મત હોટલ તરફ નિકળવાના છે. જે બાતમી આધારે પોલીસે વોચ ગોઠવીને શાહનવાઝ ઉર્ફે સાનુડો ઇબ્રાહીમભાઇ શાહમદાર (ઉ.વ.૩૧ ધંધો-કલરકામ રહે-રજવી સોસાયટી બાવાગોરની દરગાહ પાસે, ધ્રોલ) અને સામીલ ઉર્ફે સુલ્તાન અમીનભાઈ ખલીફા (ઉ.વ.૨૮ ધંધો-હેર કટીંગ નો હાલ-રહે, વિકટોરીયા પુલ બારદાનવાલા કોમ્પ્લેક્ષ , જામનગર, મૂળ -રજવી સોસાયટી તળાવની પાળ ઉપર નગીના કબ્રસ્તાન પાસે, ધ્રોલ)ને ઝડપી લીધા હતા. અને તેઓ પાસેથી ચોરીનો મુદામાલ કબજે કર્યો હતો જેમાં સોનાની બે બંગડી, બે વીટી, ચાંદીની માળાના મણકા, ચગદુ અને એક ચાંદીનો ડબો મળી કુલ પોણા બે લાખનો મુદામાલનો સમાવેશ થાય છે.
આરોપી શાહનવાઝ ઉર્ફે સાનુડો સામે અગાઉ ધ્રોલ પો.સ્ટે.માં ત્રણ ગુના અને આરોપી સામીલ ઉર્ફે સુલ્તાન સામે અગાઉ ધ્રોલ પો.સ્ટે., કાલાવડ પો.સ્ટે.અને રાજકોટ શહેર ભક્તિનગર પો.સ્ટે.માં ગુના નોંધાઈ ચૂક્યા છે.