રાજકોટ શહેરના સીટી સર્વે વોર્ડ નં.૧૮ સીટી સર્વે નં.૧૧૪૫, રા.મ્યુ.કો. વોર્ડ નં.૩, રેફયુજી કોલોની ક્વાર્ટર વિસ્તારના વેચાણ દસ્તાવેજ નોંધણી બાબતે અનેક અડચણો અને ત્રુટીઓ આવતી હોય તે દુરસ્ત કરીને મિલકતોના વેચાણ દસ્તાવેજોની નોંધણી પ્રક્રિયા પુનઃસ્થાપીત કરવા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી આજરોજ રજુઆત કરાઇ હતી.
રાજકોટ જિલ્લા કલેક્ટર ડો.ઓમપ્રકાશને પૂર્વ વિપક્ષી નેતા અને પૂર્વ શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલભાઇ રાજાણી અને પૂર્વ વિપક્ષી નેતા ગાયત્રીબા વાઘેલાની આગેવાનીમાં કોંગી અગ્રણી એડવોકેટ અશોકસિંહ વાઘેલા, પૂર્વ કોર્પોરેટર વોર્ડ-૩ દિલીપભાઈ આસવાણી, પૂર્વ કોર્પોરેટર, ગૌરવ પુજારા, વોર્ડ પ્રમુખ જગુભા જાડેજા, તેમજ સિંધી અગ્રણી દિપકભાઈ ભાટીયા, જીતુભાઈ ચાંદ્રાણી વિગેરે દ્વારા
કરાયેલી લેખિત રજૂઆતમાં જણાવ્યું છે કે, ઉપરોક્ત સીટી સર્વે વોર્ડ નં. ૧૮ સીટી સર્વે નં ૧૧૪૫ રાજકોટ શહેર મ્યુનિસિપલ કોર્પોરેશન વોર્ડ નંબર-૩માં આવેલ રેફયુજી કોલોની ક્વાર્ટર તરીકે ઓળખાતી વસાહતના મકાનોના વેચાણ દસ્તાવેજ નોંધણી સબ-રજીસ્ટાર કચેરી દ્વારા કોઈપણ પ્રકારની જાણકારી વગર ઘણા લાંબા સમયથી બંધ કરવામા આવેલ છે જે અંગે વિવિધ મુદ્દાઓ આપના ધ્યાને મુકી આ પ્રશ્નનું નિરાકરણ કરવા અમારી નમ્ર રજુઆત છે
(૧) ભારત / પાકિસ્તાન ભાગલા સમયે રેફયુજી તરીકે આવેલા લોકોને પુનઃસ્થાપિત કરવાના ઉમાદ ઉદ્દેશથી એ સમયના આઝાદ ભારતના કોંગ્રેસ સરકારના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુ દ્વારા પાકિસ્તાનથી આવેલા નિરાશ્રીત રેફયુજી પરિવારોને ૭૦ ચો.મી. મકાનો (ક્વાર્ટર) ૯૯ વર્ષની લીઝ ઉપર ફાળવી હતી.
(૨) ત્યારબાદ સરકાર દ્વારા લીઝ કેન્સલ કરી આ મકાનોના દસ્તાવેજ નોંધવા માટેની અમલવારી કરવામા આવેલ અને ત્યારથી આ મિલ્કતોનું ઉતરોત્તર વેચાણ ચાલુ જ હતુ.
(૩) ત્યારબાદ છેલ્લા ૨-૩ વર્ષ જેવા સમયથી આ મિલ્કતના દસ્તાવેજો નોંધવાનુ સરકાર દ્વારા કોઈપણ કારણ બતાવ્યા વગર સીધુજ બંધ કરી દેવામાં આવ્યું છે.
(૪) આ મિલ્કતનો કોઈપણ ભાગ કોઈપણ સક્ષમ સત્તાવાળા તરફથી એકવાયર થયેલ નથી કે તે અંગેની કોઈ કાર્યવાહી ચાલુ નથી કોઈપણ પ્રકારની નોટિસ પણ પ્રસિદ્ધ થયેલ નથી તો દસ્તાવેજ નોંધણી ક્યા કારણોસર કોના આદેશથી બંધ કરેલ છે.
(૫) દસ્તાવેજ નોંધણી અચાનક લાંબા સમયથી બંધ થતા આ વિસ્તારમાં વસવાટ કરતા ઘણા બધા મિલ્કતધારકોને મુશ્કેલીઓ સર્જાઈ છે ઘણા આર્થીક તેમજ સામાજિક વ્યવહારો અટકી પડયા છે તે પરત્વે ધ્યાન લઈ ઉચિત નિર્ણય લેવા માંગણી છે.
ઉપરોક્ત વિષય મુદ્દાઓને ધ્યાને લઈ આ પ્રશ્નનું નિરાકરણ કરવા આપની કક્ષાએથી યોગ્ય કાર્યવાહી કરવા અને આપના દ્વારા કરેલ કાર્યવાહીની અમોને પણ લેખીતમાં જાણ કરવા નમ્ર વિનંતી છે તેમ આવેદનપત્રના અંતમાં જણાવ્યું છે.