BREAKING NEWS

રથયાત્રાના સમય અને તિથિ અંગે જગન્નાથ મંદિર અને ઈસ્કોન વચ્ચે વિવાદ, જાણો શું છે આખો મામલો

  • July 15, 2026 04:48 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભગવાન જગન્નાથજીની વિશ્વપ્રસિદ્ધ રથયાત્રા પરંપરાગત તિથિ સિવાય અલગ-અલગ તારીખો અને સમયે યોજવા અંગે પુરી જગન્નાથ મંદિર પ્રશાસન અને ઇન્ટરનેશનલ સોસાયટી ફોર ક્રિષ્ના કોન્શિયસનેસ (ઈસ્કોન) વચ્ચેનો ગજગ્રાહ હવે વધુ ઉગ્ર બન્યો છે. બંને પક્ષો એકબીજા પર ખોટા દાવા કરવાનો અને સામાન્ય જનતાને ગેરમાર્ગે દોરવાનો આક્ષેપ કરીને આમને-સામને આવી ગયા છે. શ્રી જગન્નાથ મંદિર પ્રશાસન (એસજેટીએ) દ્વારા ઈસ્કોનના એ દાવાને સખત શબ્દોમાં નકારી કાઢવામાં આવ્યો છે, જેમાં વર્ષના કોઈપણ દિવસે રથયાત્રા યોજવાને શાસ્ત્રસંમત અને યોગ્ય ગણાવવામાં આવી છે. મંદિર પ્રશાસનનું સ્પષ્ટ કહેવું છે કે, વિદેશમાં અકાળે એટલે કે નિયત સમય અને શાસ્ત્રોક્ત તિથિ વિના રથયાત્રા તેમજ ભગવાન જગન્નાથજી સાથે જોડાયેલા અન્ય પવિત્ર ઉત્સવોની ઉજવણી કરવી તે સનાતન પરંપરા અને શાસ્ત્રોના નિયમોની તદ્દન વિરુદ્ધ છે.

શ્રી જગન્નાથ મંદિર પ્રશાસને એક સત્તાવાર નિવેદન જાહેર કરીને જણાવ્યું છે કે, મીડિયામાં પ્રસારિત થયેલી ઇસ્કોન રાષ્ટ્રીય સંચાર કાર્યાલય (નવી દિલ્હી)ની પ્રેસ રિલીઝ સંપૂર્ણપણે ભ્રામક અને તથ્યવિહોણી છે. પ્રશાસનના જણાવ્યાનુસાર, આ પ્રકારની નિવેદનબાજીનો મુખ્ય હેતુ સામાન્ય ભક્તોને ગેરમાર્ગે દોરવાનો અને સદીઓ જૂની શ્રી જગન્નાથ રથયાત્રાની પવિત્ર પરંપરા પર બિનજરૂરી પ્રશ્નો ઊભા કરવાનો છે. ઇસ્કોન દ્વારા કરવામાં આવી રહેલો દાવો સંપૂર્ણપણે પાયાવિહોણો છે અને તેનાથી જગન્નાથ સંસ્કૃતિના મૂળ માળખાને નુકસાન પહોંચી રહ્યું છે.

આ ગંભીર વિવાદના ઉકેલ માટે અગાઉ ભુવનેશ્વર ખાતે એસજેટીએ અને ઇસ્કોનના વિદ્વાનો વચ્ચે એક મહત્ત્વપૂર્ણ સંયુક્ત બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ઇસ્કોનના પ્રતિનિધિઓ અને વિદ્વાનોએ વિવિધ શાસ્ત્રોના સંદર્ભો ટાંકીને ભારતની બહાર વર્ષ દરમિયાન અલગ-અલગ અનુકૂળ તારીખો પર રથયાત્રા યોજવાને યોગ્ય ઠેરવવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, તેની સામે પુરી મંદિરના ટોચના વિદ્વાનો, જ્યોતિષીઓ અને પંડિતોએ અધિકૃત શાસ્ત્રો તેમજ પુરાણોના સચોટ પુરાવા રજૂ કરીને ઇસ્કોનની તમામ દલીલો અને દાવાઓને તાર્કિક રીતે સંપૂર્ણપણે રદિયો આપ્યો હતો અને સ્પષ્ટ કર્યું હતું કે અષાઢી બીજ સિવાય રથયાત્રા ન યોજી શકાય.

મંદિરના સત્તાધીશોએ ઇસ્કોન પર વધુ એક ગંભીર આરોપ લગાવતા કહ્યું કે, સંસ્થા દ્વારા વૈશ્વિક સ્તરે એવી ખોટી છાપ ઊભી કરવામાં આવી રહી છે કે પુરીના ગજપતિ મહારાજા દિવ્યસિંહ દેબે અકાળે યોજાતી આવી રથયાત્રાઓને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે પોતાની સંમતિ આપી છે. વાસ્તવમાં, ગજપતિ મહારાજાએ ભૂતકાળમાં જર્મનીના બર્લિન ખાતે ઇસ્કોન દ્વારા આયોજિત રથયાત્રાના એક કાર્યક્રમમાં માત્ર હાજરી આપી હતી, જેનો સહારો લઈને આ પ્રકારની ગેરસમજ ફેલાવવામાં આવી રહી હોવાનો દાવો મંદિર પ્રશાસને કર્યો છે.

બીજી તરફ, આ સમગ્ર વિવાદ અને મંદિર પ્રશાસનના આકરા વલણ અંગે ઇસ્કોનના કોમ્યુનિકેશન ડિરેક્ટર અને રાષ્ટ્રીય પ્રવક્તા યુધિષ્ઠિર ગોવિંદ દાસે જણાવ્યું હતું કે, તેઓ સત્તાવાર નિવેદનની સંપૂર્ણ સમીક્ષા કર્યા વિના હાલ કોઈ ટિપ્પણી કરવા માંગતા નથી. આગામી સમયમાં આ વિવાદ કયું નવું સ્વરૂપ લે છે તેના પર સૌની નજર રહેશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News