સ્વાગત કાર્યક્રમમાં આવેલ ૧૩ પૈકી ૧૨ અરજીઓનો સ્થળ પર જ હકારાત્મક નિકાલ લાવી અરજદારોની સમસ્યાનું નિરાકરણ લવાયું
જામનગર તા.૨૪ ડીસેમ્બર, જિલ્લા કલેકટરશ્રી કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને કલેકટર કચેરી જામનગર ખાતે જિલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં આવેલ ૧૩ પૈકી ૧૨ અરજીઓનો સ્થળ પર જ ત્વરિત નિકાલ કરી અરજદારોની સમસ્યા તથા પ્રશ્નોનું નિરાકરણ લવાયું હતું.

જિલ્લા કલેકટર કચેરી ખાતે યોજાયેલ સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ અરજદારોની સમસ્યાને જિલ્લા કલેકટરશ્રીએ ધ્યાનપૂર્વક સાંભળી હતી. ઉપરાંત વિવિધ અરજદારોના પ્રશ્નો સંદર્ભે જે-તે વિભાગના અધિકારીઓ સાથે ચર્ચા કરી ચોક્કસ સમય મર્યાદામાં પ્રશ્નોના નિકાલ લાવવા સૂચના આપી હતી.સાથે સાથે જ્યાં જરૂર જણાઈ ત્યાં વિભાગોનું અરસ પરસ સંકલન કરી અરજદારનો પ્રશ્ન ઝડપથી હલ થાય તે માટે જિલ્લા કલેકટરશ્રીએ પ્રયાસો કર્યા હતા.

આ સ્વાગત કાર્યક્રમમાં અરજદારોના વિવિધ પ્રશ્નો જેવા કે, દબાણ દુર કરવા, ખેતીવાડીનું વીજ કનેક્શન મંજુર કરવા અંગે, ભૂગર્ભ ગટના કામને લગત પ્રશ્ન, હકપત્રક અંગે નોંધ દાખલ કરવા બાબત, અડચણરૂપ લારીઓ દુર કરવા અંગે, વ્હાલી દીકરી યોજના અંગેનો લાભ મળવા બાબત, જીએસટી નંબર તથા વીજ કન્કેશન અંગેની ફરિયાદ બાબતે કાર્યવાહી કરવા બાબત જેવા પ્રશ્નોનોને કલેકટરએ સાંભળ્યા હતા તેમજ ઉપસ્થિત અધિકારીઓ સાથે ચર્ચા કરી માનવીય અભિગમ દાખવી ત્વરિત આ પ્રશ્નોનો નિકાલ લાવવા તાકીદ કરી હતી.અરજદારોએ પણ કલેક્ટર દ્વારા કરવામાં આવેલ કાર્યવાહી અંગે સંતોષ વ્યક્ત કરી પોતાના પ્રશ્નનું સુખદ સમાધાન થતા હર્ષની લાગણી વ્યક્ત કરી હતી.

આ બેઠકમાં અધિક નિવાસી કલેકટર શારદા કાથડ, લગત વિભાગના અધિકારીશ્રીઓ તથા અરજદારશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
