જામનગર તા.૨૭ ફેબ્રુઆરી, જામનગર જિલ્લા કલેકટર કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને જિલ્લા કક્ષાનો “સ્વાગત” ફરિયાદ નિવારણ કાર્યક્રમ કલેક્ટર કચેરી ખાતે યોજાયો હતો. કલેકટરએ કાર્યક્રમ દરમિયાન નાગરિકોની વિવિધ રજૂઆતો ધ્યાનપૂર્વક સાંભળી તાત્કાલિક અને અસરકારક નિરાકરણ લાવવા માટે સંબંધિત વિભાગોને જરૂરી સૂચનાઓ આપી હતી.

કલેક્ટરએ અરજદારો સાથે સહાનુભૂતિપૂર્વક વાતચીત કરી તેમની સમસ્યાઓની મૂળભૂત હકીકતો જાણી સ્થળ પર જ ઉકેલ લાવવાનો પ્રયત્ન કર્યો હતો. તેઓએ જરૂર જણાયે સંવેદનશીલ અભિગમ અપનાવી કામગીરી કરવા અધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતું.
.
સ્વાગત કાર્યક્રમમાં આવેલ ૧૯ પૈકી ૧૭ અરજીઓનું સ્થળ પર જ હકારાત્મક નિરાકરણ લાવવામાં આવ્યું હતું, જ્યારે બાકીની અરજીઓ માટે નિર્ધારિત સમયમર્યાદામાં કાર્યવાહી કરી અહેવાલ રજૂ કરવા કલેકટરએ જણાવ્યું હતું.

આ અરજીઓમાં બળદ મૃત્યુ અંગે સહાય આપવા બાબત, સરકારી આયુર્વેદિક હોસ્પિટલ શરુ કરવા બાબત, સીસી રોડના કામ અંગે, પોલીસ વિભાગની કામગીરી, પીજીવીસીએલના વીજપોલ દુર કરવા બાબત, આરટીઓ કચેરી માંથી લાઇસન્સ મેળવવા અંગે, બોગસ વેચાણ દસ્તાવેજ અંગે, ભૂગર્ભ ગટરની કામગીરી, સોલાર સીસ્ટમનો ટેક્નીકલ પ્રશ્ન, કોર્પોરેશન વિસ્તારમાં ગેરકાયદેસર બાંધકામ અંગે, જીએસટી વિભાગને લગત પ્રશ્ન, જમીન રિસર્વે બાબત અંગે અરજદારોની રજૂઆત અંગે ચર્ચા કરી તેનું હકારાત્મક નિરાકરણ લાવવામાં આવ્યું હતું.

“સ્વાગત” કાર્યક્રમ દ્વારા નાગરિકોને સીધી રીતે પોતાના પ્રશ્નો રજૂ કરવાની અને પારદર્શક પદ્ધતિથી ઝડપી નિવારણ મેળવવાની સગવડ ઉપલબ્ધ થતી હોવાને કારણે અરજદારોએ સંતોષ વ્યક્ત કરી કલેકટરનો અભાર માન્યો હતો.

કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નું, જિલ્લા પોલીસ અધિક્ષક ડો.રવિમોહન સૈની, નિવાસી અધિક કલેકટર શારદા કાથડ, પ્રાંત અધિકારીઓ, લગત વિભાગના અધિકારીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
