વિવાદાસ્પદ અને ઢોંગી બાબા આસારામના પુત્ર નારાયણ સાંઈની પત્નીએ તેની સામે છૂટાછેડાની અરજી કરી હતી જે કોર્ટે મંજુર રાખી છે અને ઈન્દોર ફેમિલી કોર્ટે એવો પણ આદેશ આપ્યો છે કે છૂટાછેડા પછી નારાયણ સાંઈએ મહિલાને કાયમી ભરણપોષણ તરીકે 2 કરોડ રૂપિયા ચૂકવવા પડશે. નોંધનીય છે કે નારાયણ સાંઈ હાલમાં જેલમાં છે. બળાત્કારના કેસમાં સજા ફટકાર્યા બાદ તે ગુજરાતની સુરત જેલમાં સજા કાપી રહ્યો છે.
નારાયણ સાંઈની ઇન્દોર સ્થિત પત્ની જાનકી હરપલાનીનું પ્રતિનિધિત્વ કરતા વકીલ અનુરાગચંદ્ર ગોયલે જણાવ્યું હતું કે "અમારા અસીલે 2018 માં સ્થાનિક ફેમિલી કોર્ટમાં છૂટાછેડાની અરજી દાખલ કરી હતી, જેમાં તેના પતિ સામે માનસિક ક્રૂરતા અને અન્ય આરોપોનો આરોપ મૂકવામાં આવ્યો હતો, અને કાયમી ભરણપોષણ માટે રૂ. 5 કરોડની રકમ માંગી હતી. જો કે નારાયણ સાંઈએ કોર્ટમાં આ આરોપોને નકારી કાઢ્યા હતા, પરંતુ તેમના અસીલે તેના પતિ સામે છૂટાછેડાની અરજીમાં "નક્કર દસ્તાવેજી પુરાવા" રજૂ કર્યા હતા. બંને પક્ષોની દલીલો સાંભળ્યા પછી, ફેમિલી કોર્ટના ન્યાયાધીશે અરજી મંજૂર કરી અને નારાયણ સાંઈને ત્રણ મહિનાની અંદર જાનકીને રૂ. 2 કરોડનું કાયમી ભરણપોષણ ચૂકવવાનો આદેશ આપ્યો.
જાનકી હરપલાણીના વકીલના જણાવ્યા મુજબ, નારાયણ અને જાનકીના લગ્ન 2008 માં થયા હતા અને તેમને કોઈ સંતાન નથી. 2018 ના છૂટાછેડા કેસમાં, ફેમિલી કોર્ટે નારાયણ સાંઈને તેમની પત્નીને દર મહિને ભરણપોષણ તરીકે 50,000 રૂપિયા ચૂકવવાનો પણ આદેશ આપ્યો હતો. જોકે, નારાયણ સાંઈએ આઠ વર્ષ સુધી કોઈ રકમ ચૂકવી ન હતી.