BREAKING NEWS

GPSC હવે માત્ર પરીક્ષા નહીં લે, નોકરી પણ અપાવશે: અસફળ, વેઇટિંગ લિસ્ટના 18000થી વધુ યુવાનો માટે ખુલ્યા રોજગારીના દ્વાર

  • July 17, 2026 03:23 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાત જાહેર સેવા આયોગે સ્પર્ધાત્મક પરીક્ષામાં અસફળ રહેલા પરંતુ તેજસ્વી હોય તેવા ઉમેદવારો માટે રોજગારીની તક ઉભી થાય તે માટે ‘અવસર’ મોડ્યૂલ વિકસાવ્યું છે. ગાંધીનગર ગુજરાત જાહેર સેવા આયોગના સચિવ સુધીર પટેલે આ મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી. 


સુધીર પટેલે આ અંગેની વિગતો આપતા જણાવ્યું હતું કે, જીપીએસસીની ભરતી પ્રક્રિયામાં ઈન્ટરવ્યૂ સુધી પહોંચેલા ઉમેદવારો પ્રિલિમ્સ અને મેઈન્સ પરીક્ષા ઉતીર્ણ કરીને ઈન્ટરવ્યૂ માટે પસંદ થયા હોય છે. એટલે કે તે ઉમેદવારો ભલે અસફળ રહ્યા પણ તે તેજસ્વી જરૂર હોય છે. આવા ઉમેદવારોને રોજગારીની તક પૂરી પાડવા માટે ગુજરાત જાહેર સેવા આયોગે આ અવસર મોડ્યૂલ વિકસાવ્યું છે.


આ મોડ્યૂલની પૂર્વભૂમિકા આપતા સુધીર પટેલે જણાવ્યું હતું કે, ગુજરાત અને ભારત સરકારના જાહેર સાહસો, ખાનગી કંપનીઓ, સહકારી  સંસ્થાઓ વગેરેમાં રોજગારીના અવસર મળે તથા આવી સંસ્થાઓને મહેનતુ, તેજસ્વી, ખંતીલા ઉમેદવારોનું માનવ સંસાધન ઉપ્લબ્ધ બને તે હેતુથી ગુજરાત જાહેર સેવા આયોગે ભરતી પ્રક્રિયાના આખરી પરિણામોમાં અસફળ રહેલા અને પ્રતીક્ષાયાદીમાં સમાવિષ્ટ ઉમેદવરાનો વિવિધ માન્ય સરકારી ક્ષેત્રો, જાહેર સાહસો તેમ જ પ્રતિષ્ઠીત ખાનગી સંસ્થાઓમાં રોજગારીની વૈકલ્પિક અને ઉત્કૃષ્ટ તક સરળતાથી મળી રહે તે માટે આયોગ એક મધ્યસ્થીની ભૂમિકા ભજવશે.  


સચિવે વધુ વિગતો આપતા કહ્યું હતું કે, આ યોજનાનો લાભ લેવા માટે ઉમેદવારની પૂર્વ સંમતિ અનિવાર્ય છે. જે ઉમેદવારો પોતાની વિગતો જેવી કે નામ, મોબાઈલ નંબર, ઈ-મેઈલ અને શૈક્ષણિક લાયકાત સંબંધિત સંસ્થાઓ સાથે શેર કરવા માંગતા હોય, તેમણે GPSC Ojas Portal - https://gpsc-ojas.gujarat.gov.in/ પર જઈને ઓનલાઈન સંમતિ આપવાની રહેશે. સુરક્ષાના ભાગરૂપે આ પ્રક્રિયામાં OTPની વ્યવસ્થા કરવામાં આવી છે. છેલ્લા પાંચ વર્ષમાં એટલે કે તા. ૧ જુલાઇ, ૨૦૨૬ પહેલા પૂર્ણ થયેલી ૪૧૫ કરતાં વધુ વર્ગ-૧ અને ૨ની ભરતીના આખરી પરિણામમાં અસફળ કે પ્રતીક્ષાયાદીના ૧૮ હજાર કરતાં વધુ ઉમેદવારો આ મોડ્યુલ પર જઈને સંમતિ પત્રક સબમિટ કરી શકે છે. વધુમાં, ભવિષ્યની ભરતીઓમાં ઉમેદવારોને ફોર્મ ભરતી વખતે જ આ સંમતિ આપવાનો વિકલ્પ આપવામાં આવશે. GPSC દ્વારા વહીવટી, તબીબી, શૈક્ષણિક અને ટેકનિકલ કેડર મુજબ ડેટાબેઝ તૈયાર કરવામાં આવ્યો છે.

માહિતીની સુરક્ષા બાબતે આયોગ ખૂબ જ ચુસ્ત છે, તેમ જણાવતા સચિવે કહ્યું કે, ઉમેદવારોનો ડેટા મેળવનાર સંસ્થા તેનો ઉપયોગ માત્ર રોજગારી આપવા સિવાય અન્ય કોઈ હેતુ માટે કરી શકશે નહીં, અને આ ડેટાની સુરક્ષાની સંપૂર્ણ જવાબદારી જે તે સંસ્થાની રહેશે. આયોગ માત્ર યોગ્ય સરકારી વિભાગો, PSUs અને માન્ય ખાનગી કંપનીઓને જ નિયંત્રિત એક્સેસ આપશે. વધુમાં, GPSC માત્ર એક 'માધ્યમ' તરીકે કાર્ય કરી રહ્યું છે, તેથી આ પ્લેટફોર્મ દ્વારા મળનારી નોકરીની શરતો, વેતન કે કાનૂની વિવાદો બાબતે આયોગની કોઈ સત્તાવાર કે કાનૂની જવાબદારી રહેશે નહીં. ઉમેદવારોને વધુ માહિતી માટે આયોગની સત્તાવાર વેબસાઈટનો અભ્યાસ કરવાનો સચિવશ્રી પટેલ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. 


‘અવસર’ મોડ્યૂલમાં મહત્વપૂર્ણ બાબતો

(૧) માહિતીની સુરક્ષા (ડેટા પ્રાઈવેસી): આયોગ દ્વારા સંસ્થાને આપવામાં આવેલી માહિતીનો ઉપયોગ સંસ્થા રોજગારીનો અવસર આપવા સિવાય બીજા કોઈ હેતુ માટે ઉપયોગ કરી શકશે નહીં તથા તે બીજા કોઈને શેર કરી શકશે નહીં, તેવી સંસ્થા પાસેથી બાંહેધરી લેવામાં આવશે અને ડેટાની સુરક્ષાની સંપૂર્ણ જવાબદારી સંસ્થાની રહેશે.

આયોગ દ્વારા ઉમેદવારોના ડેટાની સુરક્ષાનું ચુસ્ત પાલન કરવામાં આવશે. આ પ્લેટફોર્મ પર નોંધાયેલ પાત્ર સંસ્થાઓ સાથે ઉમેદવારની વિગતો જેવી કે ઉમેદવારનું નામ, મોબાઈલ નંબર, ઇમેઇલ આઇડી અને શૈક્ષણિક લાયકાત જ શેર કરવામાં આવશે. આયોગ પાસેથી માહિતી મેળવ્યા બાદ જે તે સંસ્થાને યોગ્ય લાગે તે ઉમેદવારોને સંસ્થાની ભરતી પ્રક્રિયામાંથી પસાર થયા બાદ ઉમેદવારની પસંદગી કરવામાં આવશે.


(૨) ઉમેદવારની પૂર્વ સંમતિ: આ પ્લેટફોર્મ પર ઉમેદવારની વિગતો તેમની ઈચ્છા 

અને પૂર્વ સંમતિ બાદ જ ઉપલબ્ધ કરાવવામાં આવશે. ભવિષ્યમાં આવનારી નવીન જાહેરાતો માટે ઉમેદવારો અરજી કરતી વખતે જ GPSC-OJAS પોર્ટલ પર આ અંગે ઓનલાઇન સંમતિ આપી શકશે.

(૩) ભૂતકાળની ભરતીના ઉમેદવારો માટે અવસર: આયોગ દ્વારા લેવાયેલી અને છેલ્લા પ(પાંચ) વર્ષમાં પૂર્ણ થયેલી વર્ગ-૧ અને વર્ગ-૨ની ભરતી પ્રક્રિયાના આખરી પરિણામમાં અસફળ અને પ્રતિક્ષાયાદીમાં સમાવેશ થયેલ ઉમેદવારો આ યોજનાનો લાભ લઈ શકે તે માટે GPSC-OJAS પોર્ટલ પર "અવસર" મોડ્યૂલમાં જઇને ઓનલાઇન સંમતિ પત્રક સબમિટ કરી શકશે.


ઉમેદવારે જાહેરાત ક્રમાંક તથા કન્ફર્મેશન નંબર આપીને સંમતિ આપવાની રહેશે. ઉમેદવાર જે તે જાહેરાતનું વર્ષ સિલેક્ટ કરતાં તેને તે વર્ષની તમામ જાહેરાતોની વિગતો ઉપલબ્ધ થશે તથા જો ઉમેદવાર કન્ફર્મેશન નંબર ભૂલી ગયા હોય તો તેઓની કન્ફર્મેશન નંબર મેળવવાની વ્યવસ્થા પણ કરવામાં આવેલ છે. કોઈ ઉમેદવારની જગ્યાએ બીજા કોઈ ઉમેદવાર આવી સંમતિ આપી ન શકે તે હેતુથી ઓટીપીની વ્યવસ્થા કરવામાં આવેલ છે. ઉમેદવારના રજીસ્ટર્ડ મોબાઈલ નંબર અને રજીસ્ટર્ડ ઈ-મેલ આઇ.ડી. પર ઓટીપી જશે અને આ ઓટીપી દાખલ કર્યા બાદ જ સંમતિની પ્રક્રિયા પૂર્ણ થશે.


(૪) પાત્રતા માપદંડ: આ પ્લેટફોર્મ પર માત્ર કાયદેસર રીતે સ્થાપિત સરકારી વિભાગો, PSUs અને આયોગ દ્વારા માન્ય રાખેલ ખાનગી કંપનીઓને જ ઉમેદવારોની જરૂરિયાત મુજબ નિયંત્રિત એક્સેસ આપવામાં આવશે.

(૫) આયોગની ભૂમિકા "અવસર" અંતર્ગત ગુજરાત જાહેર સેવા આયોગ માત્ર એક 'માધ્યમ'તરીકે કાર્ય કરશે. આ પ્લેટફોર્મ મારફતે મળનારી ખાનગી કે જાહેર ક્ષેત્રની નોકરીની શરતો, વેતન ધોરણ, સેવા નિયમો કે કાનૂની વિવાદો બાબતે આયોગની કોઈ સત્તાવાર કે કાનૂની જવાબદારી રહેશે નહીં.


આયોગ પાસે અવસરના નિયમોમાં ગમે ત્યારે ફેરફાર કરવાની અબાધિત સત્તા રહેશે.

લાયક ઉમેદવારોને આ અંગેની વધુ માહિતી માટે આયોગની સત્તાવાર વેબસાઇટ https://gpsc.gujarat.gov.in અને GPSC-OJAS પોર્ટલ જોતા રહેવા માટે જણાવવામાં આવે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application