દેશમાં છેલ્લા ચાર દિવસોમાં 10 થી 13 મે દરમિયાન અનેક આર્થિક અને નાણાકીય ફેરફારો જોવા મળ્યા, જેની અસર સામાન્ય લોકોથી લઈને શેરબજાર સુધી દરેક પર પડી છે. આ ચાર દિવસમાં સાનો-ચાંદીથી લઈ દૂધ સુધી બધુ જ મોંઘુ થયું છે.
પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવ અને ક્રૂડ ઓઇલના વધતા ભાવ વચ્ચે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે હૈદરાબાદમાં એક કાર્યક્રમ દરમિયાન રાષ્ટ્રને અનેક અપીલો કરી હતી. આમાં પેટ્રોલિયમ ઉત્પાદનોનો સમજદારીપૂર્વક ઉપયોગ, વિદેશી હૂંડિયામણ અનામત બચાવવા માટે સોનાની ખરીદી પર એક વર્ષનો પ્રતિબંધ, કંપનીઓને ઘરેથી કામ કરવાના મોડેલને ફરીથી અપનાવવા માટે પ્રોત્સાહિત કરવા અને ડોલરના પ્રવાહને રોકવા માટે વિદેશ યાત્રા મુલતવી રાખવા અને સ્થાનિક પર્યટનને પ્રોત્સાહન આપવાનો સમાવેશ થાય છે. પીએમ મોદીએ દેશમાં ખાતરનો ઉપયોગ 50 ટકા ઘટાડવાની પણ સલાહ આપી હતી.
વડા પ્રધાન મોદીની અપીલ બાદ તુરંત જ સરકારે એક મોટું પગલું ભર્યું અને સોના અને ચાંદી પરની આયાત ડ્યુટી છ ટકાથી વધારીને 15 ટકા કરી છે. નવા નિયમો હેઠળ દસ ટકા મૂળભૂત કસ્ટમ્સ ડ્યુટી અને પાંચ ટકા કૃષિ માળખાગત વિકાસ સેસ લાગુ કરવામાં આવ્યો છે. આના કારણે સ્થાનિક બજારમાં સોના અને ચાંદીના ભાવમાં અચાનક વધારો થયો, અને ટાઇટન અને કલ્યાણ જ્વેલર્સ જેવા શેર તૂટી પડ્યા છે.
દેશની બે સૌથી મોટી ડેરી બ્રાન્ડ અમૂલ અને મધર ડેરીએ દૂધના ભાવમાં પ્રતિ લિટર બે રૂપિયા સુધીનો વધારો કર્યો છે. અમૂલ ગોલ્ડની કિંમત હવે રૂ.34 થી રૂ.35 (500 મિલી) અને અમૂલ શક્તિની કિંમત રૂ.32 થઈ ગઈ છે. તેવી જ રીતે, દિલ્હી-એનસીઆરમાં મધર ડેરીનું ફુલ-ક્રીમ દૂધ રૂ.72 પ્રતિ લિટર થઈ ગયું છે.
ઈરાન કટોકટી અને આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઈલના ભાવમાં વધારાને કારણે દેશમાં ઈંધણના ભાવમાં વધારો થવાનું જોખમ વધી ગયું છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગવર્નર સંજય મલ્હોત્રાએ જણાવ્યું હતું કે જો પશ્ચિમ એશિયામાં કટોકટી લાંબા સમય સુધી ચાલુ રહેશે, તો સરકાર માટે વધેલા ભાવનો બોજ સહન કરવો મુશ્કેલ બનશે. તેમણે સંકેત આપ્યો કે આગામી દિવસોમાં, સરકાર વધેલા તેલના ભાવનો બોજ સામાન્ય ગ્રાહકો પર નાખી શકે છે, જેનો અર્થ એ થાય કે પેટ્રોલ અને ડીઝલ વધુ મોંઘા થઈ શકે છે.
ક્રૂડ ઓઇલના વધતા આયાત બિલના દબાણ હેઠળ ભારતીય રૂપિયો ડોલર સામે તેના સર્વકાલીન નીચલા સ્તરની નજીક ટ્રેડ કરી રહ્યો છે. છેલ્લા ચાર દિવસમાં, રૂપિયો ડોલર દીઠ 95.70ના સર્વકાલીન નીચલા સ્તર પર પહોંચી ગયો છે.
12 મેના રોજ જાહેર કરાયેલા સરકારી આંકડા અનુસાર, દેશનો છૂટક ફુગાવાનો દર વધીને ૩.૪૮ ટકા થયો છે, જે સતત છઠ્ઠા મહિને વધારો દર્શાવે છે. ખાદ્ય ફુગાવાનો દર પાછલા મહિનાના ૩.૮૭ ટકાથી વધીને ૪.૨૦ ટકા થયો છે. ગ્રામીણ વિસ્તારોમાં ફુગાવો (૩.૭૪ ટકા) શહેરી વિસ્તારો (૩.૧૬ ટકા) કરતા વધારે હતો.
કેન્દ્ર સરકારે ૧૧ મેના રોજ એક સત્તાવાર જાહેરનામું બહાર પાડીને ૨૦ વર્ષ જૂના મનરેગા કાયદાને રદ કરવાની જાહેરાત કરી હતી. પહેલી જુલાઈ, ૨૦૨૬થી, દેશમાં મનરેગા સંપૂર્ણપણે બંધ થઈ જશે અને તેના સ્થાને વિકાસિત ભારત - ગેરંટીડ એમ્પ્લોયમેન્ટ એન્ડ લાઈવલીહૂડ મિશન (ગ્રામીણ) એક્ટ, અથવા વીબી-જી રામજી એક્ટ લાગુ કરવામાં આવશે. નવા કાયદા હેઠળ, ગ્રામીણ પરિવારો માટે ગેરંટીડ રોજગાર દિવસોની સંખ્યા ૧૦૦થી વધારીને ૧૨૫ દિવસ કરવામાં આવી છે.
આંકડા મંત્રાલયે દેશના જીડીપી આંકડા જાહેર કરવાની તારીખ બદલીને 12 મે, 2026 કરી છે. સરકારે દર વર્ષે મે મહિનાના છેલ્લા કાર્યકારી દિવસે આંકડા જાહેર કરવાની જૂની પરંપરાનો અંત લાવ્યો છે.
હવેથી, ભારતના વાર્ષિક અને ચોથા ત્રિમાસિક (ક્યુ-ફોર) જીડીપી અંદાજ દર વર્ષે સાત જૂને જાહેર કરવામાં આવશે. જો સાત જૂન રજા અથવા સપ્તાહના અંતે આવે છે તો આંકડા અગાઉના કાર્યકારી દિવસે જાહેર કરવામાં આવશે. આ વર્ષે સાત જૂન સપ્તાહના અંતે હોવાથી, 2025-26 નાણાકીય વર્ષ અને જાન્યુઆરી-માર્ચ ત્રિમાસિક પરિણામો માટે વાર્ષિક જીડીપી આંકડા પાંચ જૂન, 2026ના રોજ જાહેર કરવામાં આવશે.
નવા નિયમો અનુસાર, જો કોઈ કર્મચારી નિર્ધારિત કાર્યકારી કલાકો કરતાં વધુ કામ કરે છે, તો કંપનીએ તેમને સામાન્ય વેતન દર કરતાં બમણું ચૂકવવું પડશે. મહિલા કર્મચારીઓ માટે સમાન તકના નિયમો પણ સ્થાપિત કરવામાં આવ્યા છે, જે તેમને ખાણોમાં અને ભારે મશીનરી સાથે બધી શિફ્ટમાં કામ કરવાની મંજૂરી આપે છે. જો તેમની સલામતી સુનિશ્ચિત કરવામાં આવે તો.
ઈરાન યુદ્ધ અને જેટ ઇંધણના વધતા ખર્ચને કારણે, એર ઇન્ડિયાએ 13 મેના રોજ એક મોટો નિર્ણય લીધો અને 29 આંતરરાષ્ટ્રીય રૂટ પર ફ્લાઇટ્સ અસ્થાયી રૂપે સ્થગિત કરી દીધી. આ ફ્લાઇટ્સ જૂન અને ઓગસ્ટ 2026 વચ્ચે ખોરવાઈ જશે.