જામનગરની જેસીસી હાર્ટ ઇન્સ્ટીટયુટ અને હોસિપટલમાં હ્યદયની સારવારની જરૂર ન હોવા છતાં સર્જરી કરી પીએમજેએવાય યોજનામાં નાણાંકીય કૌભાંડ સબબ આ હોસ્પિટલના ડો. પાર્શ્ર્વ વોરાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે ત્યારે આ હોસિપટલમાં મીની ખ્યાતીકાંડનાં ઘટસ્ફોટ બાદ ડો. વોરા સામે દર્દીઓ અને તેના પરિવારજનો દ્વારા આક્ષેપોની સાથે તરેહ તરેહની ચર્ચા તબીબી જગતમાં શરૂ થઇ છે. અગાઉ જયારે ડો. વોરા રાજકોટની હોસ્પિટલમાં ફરજ બજાવતા હતા ત્યારે ચાલુ ઓપરેશને ચાલ્યા ગયા હોવાનું પણ સુત્રોએ જણાવ્યું છે.
જામનગરમાં જોલી બંગલા પાસે આવેલી જાણીતી જેસીસી હાર્ટ ઇન્સ્ટીટયુટ અને હોસ્પિટલમાં પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજનાની માર્ગદર્શિકાનો સરેઆમ ભંગ કરી ૧૦૫ દર્દીઓની હ્યદયની સારવારમાં ડો. પાર્શ્ર્વ વોરા દ્વારા ગેરરીતિ આચરવામાં આવી હોવાનું આરોગ્ય વિભાગમાં તપાસમાં ખુલતા આ તબીબને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. જેસીસી હાર્ટ ઇન્સ્ટીટયુટમાં મીની ખ્યાતીકાંડ ખુલતા ડો. પાર્શ્ર્વ વોરા સામે આક્ષેપો અને તબીબી વર્તુળોમાં તરેહ તરેહની ચર્ચાનો દોર શરૂ થયો છે ત્યારે અંતરંગ સુત્રોના જણાવ્યા અનુસાર અને તબીબી આલમમાં થતી ચર્ચા મુજબ ડો. પાર્શ્ર્વ વોરા જેસીસી હાર્ટ ઇન્સ્ટીટયુટ સાથે દોઢેક વર્ષ પહેલા જોડાયા હતા.
આ પુર્વે તે રાજકોટની એક હોસ્પિટલમાં ફરજ બજાવતા હતા તે સમયે દર્દીના ચાલુ ઓપરેશન દરમ્યાન કોઇપણ કારણોસર ઓપરેશન મુકી ચાલ્યા ગયા હતા. જો કે તે સમયે અન્ય ડોકટરોની સમજાવત બાદ તેમણે દર્દીનું ઓપરેશન પુર્ણ કર્યાનું જણાવ્યું છે. બીજી બાજુ ડો. વોરા સામે જેસીસી હાર્ટ ઇન્સ્ટીટયુટ અને હોસ્પિટલમાં જે દર્દીઓએ હ્યદયની સારવાર કરાવી છે તે દર્દીઓ તથા તેના પરિવારજનો દ્વારા પણ આક્ષેપોનો દોર શરૂ થયો છે. ત્યારે દર્દીઓ અને તેના પરિવારજનો દ્વારા ડો. વોરા સારવાર માટે જાજો સમય નથી હ્યદયની સર્જરી કરવી જ પડશે તેમ જણાવી ઓપરેશન કરવામાં આવતા હોવાના આક્ષેપો પણ કર્યા છે ત્યારે આ આક્ષેપો અને મેડીકલ જગતમાં આ કૌભાંડ મુદે થતી ચર્ચા હાલમાં ટોપ ઓફ ધી ટાઉન બની છે.