રાજયના કેટલાક વિસ્તારોમાં દારૂ, ડ્રગ્સ અને અન્ય નશીલા પદાર્થોનું વેંચાણ થાય છે તેવી ફરિયાદ કોંગ્રેસના ધારાસભ્યએ કરી છે અને આ અંગે રાજયભરમાં વિવાદ શરૂ થયો છે, કેટલાક સમયથી કેટલાક માથાભારે તત્વો દ્વારા શહેરના ચોક્કસ રહેણાંક વિસ્તારોમાં પણ વેચાણ થતું હોવાની વ્યાપક ફરીયાદો અને ચર્ચા ઉઠવા પામી છે, આ અંગે પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવાની માંગણી કરવામાં આવી રહી છે.
જાણવા મળતી માહિતી મુજબ છેલ્લા કેટલાક સમયથી શહેરના અમુક ચોક્કસ રહેણાંક વિસ્તારોમાં વ્હેલી સવારથી નશાકારક પદાર્થ-પ્રવાહીનું વેચાણ થતું હોવાનું આ વિસ્તારના લોકો કહી રહ્યા છે. જો કોઇ વ્યકિત આવા તત્વો સામે ફરિયાદ કરે અથવા એ લોકો સામે બોલે તો તેને માર મારવામાં આવે છે, અથવા તો ધમકાવવામાં આવતા હોવાનું પણ જાણવા મળ્યું છે, વ્હેલી સવાર ઉપરાંત રાત્રીના સુમારે પણ દારૂ અને માદક પદાર્થનું વેચાણ થાય છે, જોકે આ બાબતે હાલ ચર્ચાએ જોર પકડ્યું છે, પોલીસે વધુ સઘન કાર્યવાહી કરીને આ દિશામાં પગલા ભરવા પણ માંગણી ઉઠવા પામી છે.
કેટલાક સમાજના અગ્રણીઓએ પણ સ્વીકાર્યુ હતું કે, અમારી જ્ઞાતિના યુવાનો ધીરે-ધીરે નશાના રવાડે ચડી ગયા છે, તેને સમજાવીએ છીએ પરંતુ કોણ જાણે કેમ વિસ્તારમાં મળતી લઇને રાત્રે સુઇ જાય છે, શહેરનું યુવા ધન નશા અને દારૂના રવાડે ચડી ગયું છે તે જામનગર માટે ગંભીર બાબત કહી શકાય. અમુક ગ્રાહકો રેગ્યુલર છે તો આ અંગે રાજકીય અગ્રણીઓ શા માટે પોલીસમાં ફરિયાદ કરતા નથી ? ખરી રીતે તો અમુક વિસ્તારમાં દારૂ અને નશાની પડીકી વેંચતા લોકોનું મુળ શોધીને આવા તત્વોને જાહેરમાં પાઠ શીખવવો જોઇએ તેવી પણ લોકમાંગણી છે.
આ અંગે લોકોએ પણ જાગૃત થઇને આવા તત્વો સામે અવાજ ઉઠાવવો જોઇશે અને યુવાનોને સાચો રાહ ચિંધાડવા માટે પોલીસને પણ ફરિયાદ કરવી પડશે, ત્યારે સામાજીક કાર્યકરો અને રાજકીય અગ્રણીઓએ પણ નવાનગરમાં દારૂ અને ડ્રગ્સની પડીકી જયાં-જયાં વેંચાતી માલુમ પડે ત્યારે પોલીસને જાણ કરીને આવા નઠારા તત્વો સામે પગલા લેવડાવા જોઇએ તો અનેક લોકોના આર્શીવાદ મળશે.