ખંભાળિયાની સરકારી સિવિલ હોસ્પિટલમાં છેલ્લા કેટલાક દિવસોથી વાયરલ રોગોના દર્દીઓની સંખ્યામાં ઉતરોતર વધારો થતો જોવા મળે છે. અહીં સવારથી મોટી સંખ્યામાં દર્દીઓ સારવાર અર્થે આવે છે.
ખંભાળિયા શહેર જિલ્લાનું મુખ્ય મથક હોય, અહીં આવેલી સરકારી જનરલ હોસ્પિટલમાં હાલ શીત ઋતુના કારણે તાવ, શરદી, ઉધરસ જેવા વાયરલ રોગના નિદાન તથા સારવાર માટે મોટી સંખ્યામાં દર્દીઓ આવે છે. ફક્ત ખંભાળિયા તાલુકાના જ નહીં, પરંતુ જિલ્લાના જુદા જુદા વિસ્તારોમાંથી દરરોજ આશરે ૮૦૦ થી ૧૦૦૦ જેટલા દર્દીઓની ઓપીડી રહેતી હોવાનું જાણવા મળેલ છે.
અહીંની ખાનગી હોસ્પિટલોમાં પણ મોટી સંખ્યામાં દર્દીઓની ભીડ રહે છે. વર્તમાન પરિસ્થિતિમાં ખાસ કરીને બાળકો તેમજ બુઝુર્ગોને ઠંડીથી રક્ષણ મળે તેવા ગરમ વસ્ત્રો પહેરવા તેમજ ઋતુને અનુરૂપ ખોરાક લઈ, સાવચેતી કેળવવા તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.