રાજકોટમાં રવીરત્ન પાર્કમાં રહેતાં જમીન મકાનના ધંધાર્થી પ્રૌઢના ઘરમાં ઘૂસી પરીમલ મેઇન રોડ પર રહેતા શખસ તેની સાથેના ત્રણ અજાણ્યા શખસોએ માથકૂટ કરી હતી. તારો પ્લોટ બીજા કઇને વેચ્યો તો ટાંટીયા ભાંગી નાખવાની ધમકી આપી ૨૨ ફડાકા ઝીંકી દીધા હતાં. જેમાં પ્રૌઢનો કાનનો પડદો ફાટી ગયો હતો. પ્રૌઢના પત્નીને પણ ઢીકાપાટુનો મારમાર્યો હતો. બનાવ અંગે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવવામાં આવી છે.
રાજકોટમાં યુની. રોડ પર રવીરત્ન પાર્ક શેરી નં.૫ માં રહેતાં મનીષભાઈ પરબતભાઈ માંકડીયા (ઉ.વ.૫૧) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે અર્જુન જગુ ગુજરીયા (રહે. પરીમલ મે. રોડ બાપસીતારામ મઢુલી પાસે ન્યુ પરીમલ બંધ શેરી) અને તેની સાથેના અજાણ્યાં ત્રણ શખ્સોના નામ આપ્યા છે.
મનીષભાઇએ ફરીયાદીમાં જણાવ્યું હતું કે, તે જમીન મકાન લે વેચ, દલાલીનું કામ કરે છે. ગઈ તા.૧૦ ના બપોરના સાડા ત્રણેક વાગ્યાની આસપાસ તેઓ તેમના પત્નિ ઉષાબેન અને પુત્ર દેવભાઈ ઘરે હાજર હતા. ત્યારે ઘરની ડોરબેલ વાગતા જ પત્નિએ દરવાજો ખોલવા જતા ત્યારે અર્જુન ગુજરીયા તથા તેની સાથે ત્રણેક અજાણ્યા શખ્સો ઘરમા આવી ફરિયાદીના પત્નિને કહ્યું હતું કે, તમારા પતિ મનીષભાઈ કયા છે? ત્યારે પત્નિએ કહેલ કે, તેઓ બેડરૂમમા સુતા છે, તે વખતે આરોપીઓ બેડરૂમમા અંદર આવી અર્જુન બોલાચાલી કરવા લાગ્યો હતો કે, તને ખબર છે કે મારે વર્ષ ૨૦૧૨ થી તારો પ્લોટ લેવાની વાત ચાલે છે, તો તું કેમ પ્લોટ બીજાને વેચવાની વાત કરે છે, આ પ્લોટ મારા સિવાય કોઈને વેચતો નહીં
જેથી મનીષભાઇએ આ અર્જુનને કહ્યું હતું કે,મેં ક્યા પ્લોટ વેચી નાખ્યો અને આ પ્લોટ મારો છે, હું ગમે તેને પ્લોટ વેંચુ તમારે શું, તેમ કહેતા તે ઉશ્કેરાઈ ગયો હતો અને ગાળો આપી પ્રૌઢને બંને ગાલમાં આશરે ૧૫ થી ૨૨ જેટલા ફડાકાઓ માર્યા હતા. બાદમા તેની સાથે આવેલા અજાણ્યા ત્રણેક શખસોએ મળી ઢીકાપાટુનો માર મારવા લાગેલા હતા. દરમિયાન મનિષભાઇના પત્નિ છોડાવવા આવતા તેને પણ આ શખસોએ ઢીકાપાટુનો મારમાર્યો હતો. બાદમાં દેકારો થતા જતા જતા આ અર્જુન કહેવા લાગેલ કે, મારા ઘરની સામે આવેલો તારો પ્લોટ બીજાને વેંચીશ તો તારા ટાંટીયા ભાંગી જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી તેની કાળા કલરની એન્ડેએવર કારમા જતા રહ્યા હતા.