રાજકોટ સિવિલ હોસ્પિટલમાં બે દિવસ પહેલા ન્યુરો સર્જરી વિભાગના રેસિડેન્ટ ડોક્ટર પાર્થ પંડ્યા ઉપર હુમલો થયાને 48 કલાક જેટલો સમય વીત્યો છે એમ છતાં હજુ આરોપી પોલીસ પકડથી દૂર છે જેને લઈને જુનિયર રેસિડેન્ટ ડોક્ટર્સ એશોસિએશને હડતાલની ચીમકી ઉચ્ચારી છે, રોષપૂર્વક જણાવ્યું હતું કે, ખુંખાર આરોપીઓને જો પોલીસ પાતાળમાંથી શોધી કાઢે છે ત્યારે રેસિડેન્ટ ડોક્ટર ઉપર હુમલો કરનારને કેમ હજુ સુધી પોલીસ પકડી શકી નથી, તેમ પોલીસ પ્રશાસન ઉપર પણ સવાલ ઉઠાવી આજે જેડીએના હોદ્દેદારો ડીનને મળવા જશે જે બાદ સ્ટ્રાઇકને લઈને રણનીતિ જાહેર કરીશું.
પ્રાપ્ત વિગત મુજબ તા.29ની રાત્રીના ન્યુરો સર્જરી વિભાગના રેસિડેન્ટ ડો.પાર્થ પંડ્યા પીએમએસએસવાય બ્લોકના ત્રીજા માળે પોતાની ફરજ પર હતા ત્યારે જયદીપ ચાવડા નામના શખસે પરિચિત નેપાળી દર્દીને બ્લડ સંબધિત ચીઠી લખી આપવા બાબતે માથાકૂટ કરી વોર્ડની અંદર ઘુસી ડો.પાર્થ પંડ્યાને બેફામ મારમાર્યો હતો. ડો,પાર્થને ઇજા થતા એમએલસી કેસ જાહેર કરી પ્રદ્યુમનનગર પોલીસમાં અયોધ્યા ચોકમાં રહેતા અને ટુર એન્ડ ટ્રાવેલ્સનો વ્યવસાય કરતા જયદીપ ચાવડા નામના શખ્સ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી જયદીપને પકડવા માટે તેના ઘરે પણ દરોડા પાડ્યા હતા પરંતુ જયદીપ ફરાર હોવાથી પોલીસને હાથ લાગ્યો નહતો.
બનાવ બન્યાના 48 કલાક જેટલો સમય વીતવા છતાં આરોપી પોલીસના હાથમાં ન લાગતા સિવિલ હોસ્પિટલના જુનિયર ડોક્ટર એશોશિએશન દ્વારા વિરોધના ભાગરૂપે આજે બપોરે મેડિકલ કોલેજના ડીનને મળી આરોપી હડતાલ પાડવાના મૂડમાં જણાઈ રહ્યા છે. જેની સાથે યુજીના સ્ટુડન્ટ પણ જોડાશે.
અત્રે ઉલ્લેખનીય છે સિવિલમાં મોટાભાગે રેસિડેન્ટ ડોક્ટર્સ ઉપર જ કારભાર હોવાથી જો રેસિડેન્ટ ડોક્ટર્સ હડતાલ પર જશે તો દર્દીઓની સારવારને પણ ગંભીર અસર પહોંચશે. જેડીએ દ્વારા માગણી કરવામાં આવી છે કે, ગણતરીની કલાકોમાં હુમલાખોર નહીં પકડાય તો ચોક્કસ પણે હડતાલ પાડવા મક્કમ હોવાનું જણાવ્યું હતું. તો બીજી તરફ હુમલાખોર જયદીપ ચાવડાના માતા ગીતાબેન ચાવડા નારી સંરક્ષણ ગૃહના સંચાલિકા છે તે સહિતના ગઈકાલે પોલીસ કમિશનર કચેરીએ રજુઆત કરવા માટે પહોંચ્યા હતા અને જણાવ્યું હતું કે, બનાવને એક તરફી જોવાઈ રહ્યો છે. અને પુરા સીસીટીવી ફૂટેજ જાહેર કરવામાં આવ્યા નથી. તબીબ પણ ઉદ્ધતાઈ ભર્યું વર્તન કરી રહ્યાના આક્ષેપ કર્યા હતા.