મધ્ય પૂર્વમાં વધી રહેલા યુદ્ધ અને હોર્મુઝ સ્ટ્રેટ (Hormuz Strait) બંધ થવાને કારણે ભારતના પશ્ચિમ કિનારાના બંદરો પર એક મોટું આર્થિક સંકટ ઊભું થયું છે. ગુજરાતના કંડલા, મુન્દ્રા અને પીપાવાવ બંદરો પર હાલ 30,000થી વધુ નિકાસ કન્ટેનરો અટવાઈ પડ્યા છે. આ કટોકટીને કારણે ભારતીય નિકાસકારોને દરરોજ અંદાજે રૂ.25 થી 30 કરોડનું જંગી આર્થિક નુકસાન થઈ રહ્યું છે. આ ગંભીર પરિસ્થિતિને જોતા 'ઇનગ્લોબલ બિઝનેસ ફાઉન્ડેશન' (IBF)ના ફાઉન્ડર ડાયરેક્ટર એન્ડ સેક્રેટરી હિરેન ગાંધીએ કેન્દ્ર સરકારને પત્ર લખીને તાત્કાલિક હસ્તક્ષેપ કરવાની અને નિકાસકારોને બચાવવા માટે રાહત પેકેજ જાહેર કરવાની વિનંતી કરી છે.
કટોકટીનું મુખ્ય કારણ: હોર્મુઝ સ્ટ્રેટમાં અવરોધ
28 ફેબ્રુઆરી 2026 થી યુએસ-ઇઝરાયેલ-ઈરાન સંઘર્ષ વકરતા પર્સિયન ગલ્ફનો મુખ્ય માર્ગ 'હોર્મુઝ સ્ટ્રેટ' બંધ છે. આ કારણે જહાજોની અવરજવર અટકી ગઈ છે. ગુજરાતના બંદરો જે ભારતનો 40% કન્ટેનર ટ્રાફિક સંભાળે છે, ત્યાં કામગીરી લકવાગ્રસ્ત થઈ ગઈ છે. કંડલાના KICTPL ટર્મિનલ પર નવા નિકાસ માલની એન્ટ્રી બંધ કરી દેવામાં આવી છે.
નુકસાનનો આંકડો જાણીને ચોંકી જશો
નિકાસકારોનો માલ તૈયાર છે, કસ્ટમ ક્લિયરન્સ થઈ ગયું છે અને તે બંદર પર પડેલો છે, પરંતુ જહાજો ન હોવાને કારણે ચાર્જ સતત વધી રહ્યો છે. IBFના અંદાજ મુજબ
ડેમરેજ અને સ્ટોરેજ ખર્ચ: રૂ.9 કરોડ/દિવસ
ડિટેન્શન ચાર્જ (વિદેશી શિપિંગ લાઇન્સ): રૂ.12.6 કરોડ/દિવસ
અટવાયેલી મૂડી પર વ્યાજ: રૂ.2-3 કરોડ/દિવસ
બગડી જતો માલ (શાકભાજી, ફળ): રૂ.3-5 કરોડ/દિવસ
કુલ દૈનિક નુકસાન: આશરે રૂ.30 કરોડથી વધુ
28 ફેબ્રુઆરીથી અત્યાર સુધીમાં નિકાસકારોને રૂ.600 કરોડથી વધુનું નુકસાન થઈ ચૂક્યું હોવાનો અંદાજ છે.
ગુજરાતના કયા ઉદ્યોગો સૌથી વધુ પ્રભાવિત?
આ આર્થિક યુદ્ધની સૌથી વધુ અસર ગુજરાતના નાના અને મધ્યમ ઉદ્યોગો (SMEs) પર પડી રહી છે
ચોખા નિકાસ: કંડલા અને મુન્દ્રા ખાતે 3,000 થી વધુ ચોખાના કન્ટેનર ફસાયા છે. રમઝાન દરમિયાન સાઉદી અરેબિયા અને UAE માં બાસમતી ચોખાની ભારે માંગ હોય છે, જે પૂરી ન થતા ઓર્ડર રદ થઈ રહ્યા છે.
મસાલા વેપાર: ઉંઝા અને અમદાવાદના જીરું, ધાણા અને મરચાંના નિકાસકારોના કરોડો રૂપિયા બંદરો પર અટવાયેલા છે.
મોરબીનો સિરામિક ઉદ્યોગ: આયાતી સલ્ફર અને જીપ્સમના અભાવે ઉત્પાદન પર અસર પડી રહી છે અને તૈયાર ટાઇલ્સની નિકાસ અટકી છે.
સુરતનું ટેક્સટાઇલ: કાપડના ઓર્ડર હોલ્ડ પર છે અને વિદેશી ખરીદદારો હવે ચીન કે વિયેતનામ તરફ વળી રહ્યા છે.
વિદેશી શિપિંગ લાઇન્સની મનમાની?
રજૂઆતમાં જણાવવામાં આવ્યું છે કે ભારત પાસે પોતાનો મોટો કન્ટેનર કાફલો નથી. કંડલા કે મુન્દ્રામાં આવતી તમામ મોટી શિપિંગ લાઇન વિદેશી કંપનીઓની છે. ભારત સરકાર પાસે આ કંપનીઓના 'વોર રિસ્ક સરચાર્જ' પર કોઈ સીધો કાનૂની અંકુશ નથી. આ એક મોટી માળખાકીય નબળાઈ સાબિત થઈ રહી છે.
સરકાર પાસે IBFની 5 મુખ્ય માંગણીઓ
IBFએ કેન્દ્રીય મંત્રી સર્બાનંદ સોનોવાલને આઠ મુદ્દાનું સૂચન આપ્યું છે, જેમાં મુખ્ય છે
ચાર્જ માફી: બંદર પર અટવાયેલા માલ માટે ડેમરેજ અને સ્ટોરેજ ચાર્જ 100% માફ કરવામાં આવે.
નાણાકીય સહાય: RBI દ્વારા નિકાસકારો માટે વ્યાજમુક્ત લોન અથવા ક્રેડિટ લાઇન જાહેર કરવામાં આવે.
ECGC વીમો: યુદ્ધની સ્થિતિને કારણે થતા નુકસાનને વીમા હેઠળ આવરી લેવામાં આવે.
વૈકલ્પિક માર્ગ: પશ્ચિમ કિનારાના બદલે પૂર્વ કિનારા (ચેન્નઈ, વિઝાગ) ના બંદરોથી માલ મોકલવા રેલવે કોરિડોર સક્રિય કરવામાં આવે.
રાષ્ટ્રીય શિપિંગ લાઇન: ભવિષ્યમાં આવી સ્થિતિ ટાળવા ભારત પોતાની મજબૂત શિપિંગ કંપની (SCI વિસ્તરણ) બનાવે.
ગુજરાતના નિકાસકારોએ આ કટોકટી સર્જી નથી, તેઓ તો વૈશ્વિક રાજનીતિનો ભોગ બન્યા છે. જો સરકાર તાત્કાલિક પગલાં નહીં લે, તો ઘણા નાના નિકાસકારો દેવા તળે દબાઈ જશે અને ભારતની 'વિશ્વસનીય વેપારી ભાગીદાર' તરીકેની છબી ખરડાશે. વિલંબના દરેક કલાકનો અર્થ છે વધુ ₹1.2 કરોડનું નુકસાન.