દ્વારકાને હવાઇ માર્ગે જોડવા માટે એરપોર્ટ નિર્માણનો પ્રોજેક્ટ ઘણા લાંબા સમયથી ચર્ચામાં છે અને તાજેતરમાં એરપોર્ટ માટે વસઇ, મેવાસા, ગઢેચી અને કલ્યાણપુર ગામ સંલગ્ન જમીન કુલ ૮૦૦ એકર થી વધુ જગ્યામાં સૂચિત એરપોર્ટ બનાવાનું જાહેર થતા સ્થાનિક ખેડૂતો આ પ્રોજેક્ટનો વિરોધ કરી રહ્યા છે.
ખેડૂતોનો મુદ્દો છે કે એરપોર્ટ નિર્માણ માટે તેમની ખેતીની જમીનનો ઉપયોગ થશે તો તેઓની રોજીરોટી છીનવાઇ જશે. સંપૂર્ણપણે કૃષિ આધારીત ખેડૂતો પોતાની ખેતીની જમીન બચાવવા વિરોધ કરી રહ્યા છે.
આ મુદ્દે અઠવાડિયા પહેહા વસઇ ગામે અધિકારીઓ અને ખેડૂતોની બેઠક પણ થઇ હતી જે પછી આજે ખેડૂતોએ ઉગ્ર વિરોધ કરી આવેદન પાઠવી સર્વે કામગીરીનો વિરોધ કર્યો હતો, ખેડૂતોની માંગ છે કે એરપોર્ટ અન્ય સ્થળે બનાવવામાં આવે જેથી તેઓની ખેતીની જમીન બચી જાય અને આજીવિકાનો પ્રશ્ન ન ઉદભવે.
આ અંગે મામલતદાર દ્વારા માહિતી આપવામાં આવી હતી કે અસરગ્રસ્ત ખેડૂતનાં વિરોધ અંગેની માહિતી ઉપરની કચેરીએ આપવામાં આવી છે, આમ લાંબા સમય પછી જમીન ચાલુ થવા જઇ રહેલ દ્વારકાનાં એરપોર્ટનાં પ્રોજેક્ટમાં ફરી એક વખત વિધ્ન આવ્યુ છે.