જામનગર સહિત સમગ્ર હાલારમાં ગુલાબી ઠંડીનું આગમન થઇ ચૂકયું છે, આજે સવારે પણ ઠંડક ભર્યો માહોલ જોવા મળ્યો છે, હજુ બપોેરે ૧૧ થી ૫ દરમ્યાન ગરમી હોવાના કારણે લોકો પરેશાન થાય છે અને તાપમાન ૩૧.૪ ડીગ્રીએ પહોંચી ગયું છે, પરંતુ સાંજે ૬ વાગ્યા બાદ ઠંડીનો માહોલ જોવા મળ્યો છે ત્યારે આગામી દિવસોમાં ઠંડી વધુ પડશે તેવી પણ હવામાન ખાતાએ આગાહી કરી છે.
કલેકટર કચેરીના ક્ધટ્રોલ રૂમના જણાવ્યા મુજબ લઘુતમ તાપમાન ૨૦ ડીગ્રી મહત્તમ તાપમાન ૩૧.૪ ડીગ્રી, હવામાં ભેજ ૮૫ ટકા, પવનની ગતિ ૨૫ થી ૩૦ કિ.મી. પ્રતિકલાક જોવા મળી હતી. ગુજરાતના અન્ય શહેરો કરતા જામનગર દરિયાકાંઠે હોય ભેજનું પ્રમાણ પણ વધે છે, એટલું જ નહીં ઠંડો પવન પણ અન્ય શહેરો કરતા વધારે જોવા મળે છે. જો કે મોટાભાગના ચેકડેમો ભરાઇ ગયા છે, જેને કારણે પીવાના પાણીની કે ખેતીમાં અપાતા પાણીને કોઇ મુશ્કેલી નહીં પડે.
માવઠાને કારણે ખેડુતોના મગફળી અને કપાસના પાકને ભારે નુકશાન થયું છે, રાત-દિવસ મહેનત કરીને યાર્ડમાં વેંચવા માટે તૈયાર કરેલા મગફળીના પાથરા પલળી ગયા છે તેમજ કપાસમાં જીવાત થઇ જતાં મોટા ભાગનો માલ બગડી ગયો છે, ખેડુતોએ બેંકમાંથી અને અન્ય જગ્યાએથી લીધેલું ધીરાણ તેમને માથે પડયું છે અને આ ભારે નુકશાનને કારણે ખેડુતો બેંકના હપ્તા પણ ભરી શકે તેમ નથી, આવી હાલત થતાં ખેડુતની આર્થિક કફોડી બની છે, ભાણવડ તાલુકામાં માવઠુ થયા બાદ વધુ નુકશાની થતાં એક ખેડુતે આત્મહત્યા કરી છે, સમગ્ર હાલારમાં નુકશાનીનો દૌર વધી રહ્યો છે, જો યોગ્ય નુકશાનીનો રિપોર્ટ સરકાર સુધી થાય તો ખેડુતોને મહદ અંશે રાહત મળી શકે.
મિશ્ર ઋતુનું આગમન થયું છે, તાવ, શરદી, ઉધરસ, ગળુ બેસવું જેવા દર્દો વધી રહ્યા છે. સવારે ઠંડી, બપોરે ગરમી, રાત્રે પાછી ઠંડી આવા વાતાવરણથી લોકો પણ કંટાળી ગયા છે. કપાસમાં નુકશાનીનો માર ખેડુતો સહન કરી શકશે નહીં, તાત્કાલીક અસરથી સરકારે જે-જે ખેડુતોને નુકશાનીનો સામનો કરવો પડયો છે તેવા ખેડુતોને યોગ્ય વળતર આપવાની જાહેરાત પણ કરવી જોઇએ. ખરી રીતે હાલારમાં પણ પાછલો વરસાદ ખેડુતો માટે થોડો વિનાશકારી સાબીત થયો છે.