30 કરોડ રૂપિયાની છેતરપિંડીના કેસમાં ફિલ્મમેકર વિક્રમ ભટ્ટની મુંબઈના યારી રોડ વિસ્તારમાંથી ધરપકડ કરવામાં આવી છે. રાજસ્થાન પોલીસ અને મુંબઈ પોલીસે સંયુક્ત કાર્યવાહી કરીને ડિરેક્ટરને તેની સાળીના ઘરેથી ધરપકડ કરી છે. હવે રાજસ્થાન પોલીસ તેમને પોતાની સાથે ઉદયપુર લઈ જવા માટે બાંદ્રા કોર્ટમાં ટ્રાન્ઝિટ રિમાન્ડ માટે અરજી કરશે.
સાત દિવસ પહેલા ઇન્દિરા ગ્રુપ ઓફ કંપનીઝના સ્થાપક ડો. અજય મુરડિયા પાસેથી 30 કરોડ રૂપિયાની છેતરપિંડીના આરોપી ફિલ્મ નિર્દેશક વિક્રમ ભટ્ટ, તેમની પત્ની શ્વેતાંબરી ભટ્ટ સહિત 6 આરોપીઓ વિરુદ્ધ ઉદયપુર પોલીસે લુક આઉટ નોટિસ જાહેર કરી હતી. તમામ આરોપીઓને 8 ડિસેમ્બર સુધી ઉદયપુર પોલીસ સમક્ષ હાજર થવા માટે પણ નોટિસ આપવામાં આવી હતી. ઉપરાંત, આમાંથી કોઈ પણ આરોપી હવે મંજૂરી વગર વિદેશ જઈ શકશે નહીં.
શું છે આખો મામલો?
ઇન્દિરા ગ્રુપ ઓફ કંપનીઝના માલિક ડૉ. અજય મુર્ડિયાએ 17 નવેમ્બરના રોજ વિક્રમ ભટ્ટ સહિત આઠ વ્યક્તિઓ વિરુદ્ધ ₹30 કરોડની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. તેમણે આરોપ લગાવ્યો છે કે, તેઓ એક કાર્યક્રમમાં દિનેશ કટારિયાને મળ્યા હતા. દિનેશ કટારિયાએ તેમની પત્ની પર બાયોપિક બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો હતો અને કહ્યું હતું કે ફિલ્મ દ્વારા સમગ્ર દેશ તેમની પત્નીના યોગદાન વિશે જાણી શકશે. આ સંદર્ભમાં, દિનેશ કટારિયાએ તેમને 24 એપ્રિલ, 2024 ના રોજ મુંબઈના વૃંદાવન સ્ટુડિયોમાં આમંત્રણ આપ્યું હતું.