BREAKING NEWS

ભાયાવદરના ફાઇનાન્સરે 20 હજારની ઉઘરાણીમાં 18 વીઘા જમીન પર કબજો કરી લીધો

  • November 25, 2025 11:08 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
ઉપલેટા પંથકના ભાયાવદરના વતની અને રાજકોટમાં સોના ચાંદીનો વેપાર કરતા વેપારીએ ભાયાવદરના નાઇન ફાઇનાન્સના નામે વ્યાજવટાઉ નો ધંધો કરતા ફાઇનાન્સર પાસેથી 10% વ્યાજે લીધેલા નાણા વ્યાજ સહિત ચૂકવી દેવા છતાં માત્ર 20,000 બાકી હોય જેની ઉઘરાણી પેટે હથિયાર બતાવી 18 વીઘા ખેતીની જમીન પર કબજો કરી લેતા વેપારીએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.



પોલીસ સૂત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ ઉપલેટાના ભાયાવદરના વતની હાલ રાજકોટ પ્રહલાદપ્લોટમાં રહેતા ફરિયાદી ઉદયભાઈ હર્ષભાઈ શાહની ફરિયાદમાં જણાવ્યું છે કે, છ વર્ષ પહેલાં સોના ચાંદીના લે-વેચના કામ માટે તાત્કાલિક રૂપિયાની જરૂર પડેલ ત્યારે ભાયાવદર ગામે નાઇન ફાયનાન્સ વાળા વિશ્વરાજસિંહ બળવંતસિહ ચુડાસમા, રહે. ભાયાવદર વાળા પાસેથી ૨૦૨૦માં ૧૦ ટકા લેખે રૂપિયા ૨,લાખ વ્યાજે લીધેલ હતા જેના બદલામાં રૂપિયા ૨,લાખનો ચેક પણ લીધેલ અને ત્યારબાદ બે થી ત્રણ મહિના સુધી દર મહિનાનુ વ્યાજ સમયસર ચુકવી આપતો હતો.


વધુ આર્થિક સંકળામણમા હોય જેથી વ્યાજની રકમ ચુકવાયેલ નહીં અને ત્યારબાદ પાંચથી છ મહિના સુધી વ્યાજ ચુકવેલ નહી જેથી આ બાબતે મારા પત્ની અને સગા સબંઘીને વાત કરેલ અને આ વિશ્વરાજસિંહ ચુડાસમાના નિકળતા રૂપિયા એકી સાથે આપી દેવાનુ નક્કી કરી બધા વિશ્વરાજસિંહ ચુડાસમાની ભાયાવદર બસ સ્ટેન્ડની પાછળ વાળા રોડ પર આવેલ નાઈન ફાયનાન્સ નામની ઓફિસે ગયેલ હતા.


જેથી વિશ્વરાજસિંહ ચુડાસમાએ કાચુ લખાણ આપેલ જેમાં લખેલ હતુ કે 4.20 લાખ વ્યાજે આપેલ હતા અને જેનુ 2.25 લાખ વ્યાજ આપવાનું અને વિશ્વરાજસિંહ ચુડાસમાને રૂપિયા 6.45 લાખ ચુકવવાના છે તેવા લખાણની ચિઠ્ઠી તેમણે આપેલ જેથી અમોને આ લોકોની પહેલેથી જ બીક હોય કાંઈ પણ બોલ્યા વિના સમાધાન કરેલ અને વિશ્વરાજસિંહ ને રૂપિયા 6 લાખ ચુકવી આપવાનુ નક્કી કરેલ અને 5.80 લાખ ચૂકવી આપ્યા બાકીના 20,હજાર મહિનામાં ચુકવી આપવાનું કહ્યું હતું, વિશ્વરાજસિંહ ચુડાસમાએ ફાયનાન્સના નિયમ મુજબ રકમ ચુકવી આપ્યા બાદ પ્રોમીસરી નોટ સહિતના લખાણ હિસાબ પૂરો થઈ જતા ફાડી નાખ્યા હતા.


આશરે બે મહિના પછી આ વિશ્વરાજસિંહ બળવંતસિંહ ચુડાસમાએ તેના મોબાઇલ ફોનમાંથી ફરિયાદીના મોબાઇલ ફોનમાં એક ફોટો મોકલેલ જેમા તેમના દાદા છોટાલાલ ત્રીભોવનદાસ શાહના નામે ભાયાવદર ગામે રેલ્વે સ્ટેશન રોડ પર આશરે ૧૮ વીઘા ખેતીની જમીન આવેલ છે તેમા ટ્રેક્ટર ચલાવતો ફોટો મોકલેલ અને ખેતીની જમીન પર કબ્જો કરી લીધેલ હતો.


પરંતુ મારી પરિસ્થિતી એવી હતી નહી કે હુ તેઓની સામે કાંઈ બોલી શકુ જેથી હું કાંઇ પણ બોલેલ નહીં અને એવુ વિચારેલ કે કદાચ મારે તેઓને રૂપિયા ૨૦,૦૦૦/- આપવાના બાકી છે જે મે ચુકવેલ નથી એટલા માટે કબ્જો કરી લીધેલ.


રાજકોટ ખાતે ૧૫૦ ફુટ રીંગ રોડ પર રૈયા સર્કલની આજુ બાજુમાં આવેલ નાઇન ફાયનાન્સ નામની ઓફિસે વિશ્વરાજસિંહ ચુડાસમાએ મળવા જતા તેની પાસે રહેલ રીવોલ્વર કાઢી અને ટેબલ પર હાથ રાખી હાથમા રીવોલ્વર પકડી અને મને કહેલ કે તારી જમીન હવે મારી છે તમારાથી જે થાય તે કરી લેજો જમીન તો હવે મળશે નહી અને તે બાજુ આવતા પણ નહી નહિંતર પતાવી દઈશ તેવી ધમકી આપતા ભાયાવદર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application