ઉત્તર-પૂર્વી સ્પેનના કેટાલોનિયા વિસ્તારમાં એક પાંચ માળના એપાર્ટમેન્ટમાં મોડી રાત્રે ભીષણ આગ ફાટી નીકળી હતી. પ્રાદેશિક ઈમરજન્સી સેવાઓના જણાવ્યા અનુસાર, આ દુર્ઘટનામાં પાંચ લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા છે, જ્યારે અન્ય પાંચ લોકો ઈજાગ્રસ્ત થયા છે. મોડી રાત્રે ઘટેલી આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાવી દીધી છે.
મૃતકો વિશે ચોંકાવનારો ખુલાસો
કેટાલોનિયા પોલીસના જણાવ્યા અનુસાર, જે પાંચ લોકોના મોત થયા છે તેઓ તમામ યુવાન હતા. સૌથી આશ્ચર્યજનક વાત એ છે કે આ પાંચેય યુવાનો તે બિલ્ડિંગના રહેવાસી નહોતા. તેઓ કયા કારણોસર ત્યાં હાજર હતા અને સ્ટોરેજ રૂમમાં કેવી રીતે ફસાયા, તે અંગે હજુ રહસ્ય અકબંધ છે.
ઘટનાની વિગત અને બચાવ કામગીરી
આ દુર્ઘટના બાર્સેલોનાની ઉત્તરે આવેલા માન્લેઉ શહેરમાં ઘટી હતી. આગ ઇમારતના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલા સ્ટોરેજ રૂમમાં લાગી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. આગ એટલી ભીષણ હતી કે મૃતદેહો ખરાબ રીતે બળી ગયા છે, જેના કારણે અત્યાર સુધી તેમની ઓળખ થઈ શકી નથી.
ઈજાગ્રસ્તોની સ્થિતિ
ઈમરજન્સી સેવાઓએ જણાવ્યું કે પાંચ ઈજાગ્રસ્તોમાંથી ચારને પ્રાથમિક સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે, જ્યારે એક વ્યક્તિની હાલત સ્થિર છે.
સત્તાવાર પ્રતિક્રિયા અને તપાસ
કેટાલોનિયાના પ્રાદેશિક નેતા સાલ્વાડોર ઇલ્લાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર આ ઘટના અંગે ઊંડો શોક વ્યક્ત કર્યો છે. તેમણે મૃતકોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરતા જણાવ્યું કે આ મુશ્કેલ સમયમાં સરકાર તેમની સાથે છે. હાલમાં કેટાલોનિયા પોલીસે આગ લાગવાના ચોક્કસ કારણો જાણવા માટે ફોરેન્સિક તપાસ શરૂ કરી છે. અધિકારીઓ એ જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે કે સ્ટોરેજ રૂમમાં સુરક્ષાના સાધનો હતા કે નહીં અને શું આ કોઈ અકસ્માત છે કે કાવતરું.