મુંબઈના પોશ જુહુ વિસ્તારમાં બોલિવૂડના જાણીતા ફિલ્મમેકર રોહિત શેટ્ટીના ઘરની બહાર થયેલા ફાયરિંગની ઘટનાએ સમગ્ર ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સનસનાટી મચાવી દીધી છે. પોતાની ફિલ્મોમાં આડેધડ ગાડીઓ ઉડાડવા અને ધમાકેદાર એક્શન માટે જાણીતા રોહિત શેટ્ટીએ આ વાસ્તવિક ઘટના બાદ અત્યંત સાવચેતીભર્યું ડગલું ભર્યું છે. તેમણે પોતાના નજીકના મિત્રો અને સાથી કલાકારોને આગામી ૪૮ કલાક સુધી તેમના ઘરે ન આવવાની નમ્ર વિનંતી કરી છે.
અડધી રાત્રે પાંચ રાઉન્ડ ફાયરિંગ
રવિવારે મોડી રાત્રે આશરે ૧૨:૪૫ વાગ્યે રોહિત શેટ્ટીના જુહુ સ્થિત બિલ્ડિંગની બહાર અજાણ્યા શખ્સો દ્વારા પાંચ રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. જે સમયે આ ઘટના બની ત્યારે રોહિત શેટ્ટી પોતે ઘરની અંદર હાજર હતા. સદનસીબે આ ગોળીબારમાં કોઈને ઈજા પહોંચી નથી, પરંતુ જે રીતે ગોળીઓ ચલાવવામાં આવી તેનાથી સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ ગઈ છે. મુંબઈ પોલીસે આ મામલે ત્વરિત કાર્યવાહી કરતા ૫ શંકાસ્પદ વ્યક્તિઓની અટકાયત કરી છે. હાલ તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે.
મિત્રોને આપી સલાહ: "હમણાં ઘરે ન આવશો"
ઘટનાની ગંભીરતાને જોતા રોહિત શેટ્ટીએ આગામી બે દિવસના પોતાના તમામ શિડ્યુલ અને પ્લાનિંગ કેન્સલ કરી દીધા છે.
અજય દેવગણને વિનંતી
સૂત્રોના જણાવ્યા અનુસાર રોહિતે તેના ખાસ મિત્ર અજય દેવગણ અને અન્ય નજીકના લોકોને ફોન કરીને કહ્યું છે કે તેઓ આગામી ૪૮ કલાક સુધી તેને મળવા ઘરે ન આવે.
સુરક્ષા પ્રોટોકોલ
રોહિત હાલમાં મુંબઈ પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચ સાથે પૂરેપૂરો સહયોગ કરી રહ્યા છે અને પોતાનું નિવેદન નોંધાવી રહ્યા છે. તેઓ ઈચ્છે છે કે પોલીસ તપાસમાં કોઈ અવરોધ ન આવે અને ભીડ જમા ન થાય.