સવારે અને રાત્રીના ઠંડીનું વાતાવરણ અને બપોર થતા જ સૂર્યદેવ મિજાજ બદલતા ગરમી પડવાથી લોકો બેવડી ઋત અનુભવી રહ્યા છે. જેના કારણે રોગચાળો પણ ફેલાયો છે. શહેરમાં ગત એક અઠવાડિયામાં પાંચ ડેન્ગ્યુના જયારે એક-એક મેલેરિયા અને ચિકનગુનિયાના કેસ મળી આવ્યા છે. આ ઉપરાંત શરદી ઉધરસના 1048, સામાન્ય તાવના ૮૫૬, ઝાડા – ઉલટીના ૧૮૨, કમળો તાવના-૫, ટાઈફોઈડ તાવના-૨ કેસ મહાપાલિકાના આરોગ્ય કેન્દ્રમાં નોંધાયા છે.
ખાસ કરીને ડેન્ગ્યુ મેલેરિયા, ચિકનગુનિયા જેવા મચ્છરજન્ય રોગ અટકાવવા માટે મહાપાલિકાની આરોગ્ય વિભાગની ટીમ દ્વારા શહેરી વિસ્તારમાં રહેણાક મકાન, દુકાન, એપાર્ટમેન્ટ, કોર્મશિયલ કોમ્પલેકસ, ઔધોગિક એકમો, વ્યાપાર ધંધાના સ્થળ તેમજ રહેણાંક મકાનની આસપાસના વિસ્તારોમાં તપાસ કરવામાં આવતા રહેણાક સિવાય અન્ય ૯૨૯ પ્રીમાઇસીસ (બાંઘકામ સાઇટ, સ્કૂજલ, હોસ્પિટલ, હોટેલ, ઇન્ડસ્ટ્રીઝ, હોસ્ટેલ, કોમ્પ્લેક્ષ, ભંગારના ડેલા, સેલર, હોલ / વાડી / પાર્ટી પ્લોટ, ધાર્મિક સ્થળ, પેટ્રોલ પં૫, સરકારી કચેરી વગેરે) સ્થળોએથી મચ્છરના લારવા મળી આવતા રહેણાંકમાં ૫૨૭ અને કોર્મશીયલ ૨૯૮ આસામીને નોટીસ આ૫વામાં આવેલ છે તથા ૭૫ આસામી પાસે થી રૂા.૫૮૧૫૦ નો વહીવટી ચાર્જ વસુલવામાં આવેલ છે.
પાણીજન્ય રોગોથી બચવા નીચે મુજબના પગલાં અવશ્ય લેવા
• પીવાના પાણીને ઉપયોગમાં લેતાં પહેલાં ૨૦ મિનિટ સુધી ઉકાળવું અને ત્યારબાદ જ પીવું.
• પીવાના ૨૦ લીટર પાણીમાં ૧ ક્લોરીનની ગોળીનો ભૂકો કરીને દ્રાવણ બનાવીને નાખવું અને અડધા કલાક પછી જ પીવાના ઉપયોગમાં લેવું.
• તમામ ટાંકી, કુવા વિગેરે સાફ કરાવી તેમાં દરરોજ આરોગ્ય કેન્દ્ર અથવા આરોગ્ય કર્મચારીની સુચના મુજબ નિયત પ્રમાણમાં ટી.સી.એલ. (બ્લીચીંગ) પાવડરનું દ્રાવણ નાંખી ક્લોરીનેશન કરેલું પાણી જ પીવાના ઉપયોગમાં લેવું.
• ઘરોની આજુબાજુ ગંદકી કરવી નહી, કચરાનો યોગ્ય નિકાલ કરવો.
• ઠેર ઠેર એકઠાં થયેલા ઉકરડાનો નાશ કરવો અને ચૂનાના પાવડરનો છંટકાવ કરવો.
• વાસી ખોરાક અથવા પલડી ગયેલા અનાજનો ઉપયોગ કરવો નહી.
• ખાધ પદાર્થોને ઢાંકીને રાખવા.
• દૂધ ઉકાળીને પીવું.
• ઝાડા-ઉલ્ટીની અસર ધરાવતાં દર્દીને તાત્કાલિક ઓ.આર.એસ.નું દ્રાવણ બનાવી પીવડાવો.
• નજીકના આરોગ્ય કર્મચારી અથવા સરકારી દવાખાનાનો સંપર્ક કરી યોગ્ય સલાહ-સારવાર મેળવો.
• ક્લોરીન ટેબ્લેટની જરૂરીયાત હોય તો નજીકના શહેરી પ્રાથમિક કેન્દ્રનો સંપર્ક કરવો.