શિયાળાની ઠંડીની શરૂઆત થતા જ હદૃય થીજી જવાના બનાવ વધુ સામે આવી રહ્યા છે. ગોંડલના ગુંદાળામાં રહેતી 25 વર્ષીય યુવતી રાજકોટના વાવડીમાં રહેતા ભાઈના ઘરે હતી ત્યારે હદૃયરોગનો હુમલો આવી જતા બેભાન હાલતમાં જ મોત નીપજ્યું હતું. બીજા બનાવમાં રાજકોટના દૂધ સાગરરોડ પર જયહિન્દ નગરમાં રહેતા 54 વર્ષીય મહિલા ખુરશીએ બેઠા તા ત્યારે ઢળી પડ્યા હતા. તેમજ 80 ફુટના રોડ પર સત્યમ પાર્કમાં રહેતા 58 વર્ષીય શાંતાબેન અને કોઠારીયા રોડના સિધ્ધાર્થનગરમાં રહેતા 40 વર્ષીય યુવક મવડી રોડ પર સરદારનગરમાં રહેતા 68 વર્ષીય પ્રૌઢનું હ્દય થંભી જવાથી મૃત્યુ નીપજ્યું છે.
બનાવની મળતી વિગત મુજબ ગોંડલના ગુંદાળા રોડ પર આસોપાલવ રેસીડેન્સીમાં રહેતી દિશાબેન મુકેશભાઈ રામોલીયા (ઉ.વ.25)ની યુવતી રાજકોટના વાવડીમાં મટુકી ચોક પાસે નંદનવન સોસાયટીમાં ભાઈના ઘરે હતી ત્યારે આજે વહેલી સવારે જાગી બૂમ પાડતા માતા અને ભાઈ દોડી ગયા હતા પરંતુ કાંઈ બોલી ન શકતા બેભાન હાલતમાં તાકીદે 108 મારફતે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જ્યાં ફરજ પરના તબીબે જોઈ તપાસી મૃત જાહેર કરતા પરિવારમાં આક્રંદ સર્જાયો હતો. મૃતક દિશા એક ભાઇમાં મોટી હતી. પિતા મુકેશભાઈ ટ્રાન્સપોર્ટના વ્યવસાય સાથે સંકળાયેલા છે. પોતે માતા-પિતા સાથે ગોંડલના ગુંદાળા ગામે રહેતી હતી. દિવાળીથી વાવડીમા રહેતા નાનાભાઈ જેનીશના ઘરે રહેવા આવી હતી. હાર્ટ એટેક આવી ગયાનું પરિવારજનએ જણાવ્યું છે. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે જરૂરી કાગળો કર્યા હતા.
જયહિન્દનગરમાં ખુરશીએ બેઠેલા નયનાબેન ઢળી પડ્યા
હાર્ટ એટેકના બીજા બનાવમાં દૂધ સાગર રોડ પર જયહિન્દ નગરમાં ભવાની ડેલા પાસે રહેતા નયનાબેન વિનોદભાઈ ગોહેલ (ઉ.વ.54) રાત્રીના દશેક વાગ્યે ઘરે ખુરશીએ બેઠા હતા ત્યારે અચાનક ઢળી પડતા બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર કારગત નીવડે પહેલા જ દમ તોડી દીધો હતો. મૃતકના પતિ હયાત નથી. સંતાનમાં એક દીકરો છે. પિતા બાદ માતાનું પણ છત્ર પુત્રએ ગુમાવી દેતા ગોહેલ પરિવારમાં ગમગીની વ્યાપી છે. બનાવ અંગે થોરાળા પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.
સત્યમ પાર્કમાં શાંતાબેને બેભાન હાલતમાં દમ તોડી દીધો
80 ફૂટ રોડ પર સત્યમ પાર્કમાં રહેતા શાંતાબેન સવજીભાઈ ચાવડા (ઉ.વ.58)ના પ્રૌઢા રાત્રે અગ્યારેક વાગ્યે ઘરે હતા ત્યારે બેભાન થઈ જતા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા પરંતુ જીવ બચી શક્યો નહતો. બનાવના પગલે પરિવારમાં શોક છવાયો હતો. મૃતકના પતિ સવજીભાઈ નિવૃત જીવન જીવે છે. સંતાનમાં બે દીકરા એક દીકરી છે. અગાઉ પ્રૌઢાને હદય સંબધિત તકલીફ થતા બાયપાસ સર્જરી કરાવવામાં આવી હતી. ગઈકાલે ફરીથી હ્દયરોગનો હુમલો આવી જતા બેભાન હાલતમા જ દમ તોડી દીધો હતો. બથોરાળા પોલીસે કાર્યવાહી કરી હતી.
સિદ્ધાર્થનગરમાં યુવાનનું બેભાન હાલતમાં મૃત્યુ
કોઠારીયા રોડ પર સિધ્ધાર્થનગર-1માં રહેતા ભરતભાઈ ચનાભાઈ વણોલ (ઉ.વ.40) સાંજે સાતેક વાગ્યે ઘરે હતા ત્યારે બેભાન થઈ જતા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં ટૂંકી સારવાર દરમિયાન મૃત્યુ નિપજતા પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે ભક્તિનગર પોલીસને જાણ કરતા જરૂરી કાગળો કર્યા હતા, મૃતક ભરતભાઈ કંપની કંપનીમાં પ્લબીંગનું કામ કરતા હતા. સંતાનમાં એક દીકરી છે. સર ગામે ખેતીની જમીન આવેલી છે. હાલમાં માવઠું થતા નુકશાની થઈ હોવાથી તેની પણ ચિંતા હતી તેમજ હાથે પગે ફેક્ચર હોવાથી દોઢેક મહિનાથી કામ પણ કરી શકતા ન હતા બધી વ્યાધિના કારણે હાર્ટ એટેક આવી ગયાનું પરિવારે જણાવ્યું હતું.
સરદારનગરમાં પ્રૌઢનું હાર્ટ એટેકથી મોત
મવડી મેઈન રોડ પર આવેલા સરદારનગર સોસાયટીમાં રહેતા ધનજીભાઈ પુંજાભાઈ ફળદુ (ઉ.વ.68)ના પ્રૌઢ સાંજે આઠેક વાગ્યે ઘરે હતા ત્યારે એકાએક બેભાન થઇ જતા સિવિલમાં ખસેડાયા હતા જ્યાં સારવાર દરમિયાન દમ તોડી દેતા પરિવારમાં શોક છવાયો હતો. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે માલવીયાનગર પોલીસને જાણ કરતા પોલીસે હોસ્પિટલ પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી.