BREAKING NEWS

જામનગર : પોરબંદરથી દીવ સુધી ૨૧૦ કીમીનું સૌરાષ્ટ્ર સમુદ્ર અભિયાનનું ફલેગ ઇન

  • January 28, 2026 12:23 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ગુજરાત, દીવ - દમણ અને દાદરા નગર હવેલી એનસીસી ડાયરેક્ટરેટના કેડેટ્સ માટે તા.૧૫ જાન્યુઆરીથી તા.૨૬ જાન્યુઆરી ૨૦૨૬ સુધી ૧૧ દિવસીય મેનુ ૨૦૨૬ સૌરાષ્ટ્ર સમુદ્ર અભિયાનનું સાહસિક આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાત રાજ્ય એનસીસીના કુલ ૭૫  ભાગ લીધો હતો. ૪૫ સિનિયર ડિવિઝન (યુવાનો) અને ૩૦ સિનિયર વિંગ્સ ( યુવતીઓ) સામેલ થયા હતા. જેમાં જામનગર એનસીસી ગ્રુપ હેડ ક્વાર્ટર્સના ૫૯ કેડેટ હતા.કુલ ૨૧૦ કિલોમીટરનું આ સમુદ્ર અભિયાન ગુજરાત એનસીસી ડાયરેકટ્રેટના માર્ગદર્શન હેઠળ જામનગર એનસીસી ગ્રુપ હેડ ક્વાર્ટર દ્વારા આયોજિત કરવામાં આવ્યું હતું.



તા.૨૫ જાન્યુઆરીના રોજ ગુજરાત એનસીસી ડાયરેક્ટરેટના એડિશનલ ડાયરેક્ટર જનરલ, મેજર જનરલ વિમલ મોંગા, સેના મેડલ, વિશિષ્ટ સેવા મેડલ દ્વારા આ સામુદ્રિક અભિયાનને દીવ ખાતે ભવ્ય રીતે ફ્લેગ ઇન - સંપન્ન કરાવવામાં આવ્યું હતું. તેમણે એનસીસી કેડેટ્સને તેમની સાહસિકતા, આત્મવિશ્વાસ અને નેતૃત્વ શક્તિ માટે બિરદાવી દેશસેવા માટે સદૈવ તત્પર રહેવા અને જવાબદાર નાગરિક બનવા પ્રોત્સાહિત કર્યા હતા. આ કાર્યક્રમમાં જામનગર એનસીસી ગ્રુપ હેડ ક્વાર્ટર્સના ગ્રુપ કમાન્ડર બ્રિગેડિયર પી શશી સહિત નેવી તથા આર્મીના વરિષ્ઠ અધિકારીઓની ઉપસ્થિતિ રહી હતી.


પ્રથમ દિવસે સૌરાષ્ટ્ર સામુદ્રિક અભિયાનનું ફ્લેગ ઓફ  નેવલ ઓફિસર ઇન્ચાર્જ ગુજરાત વિસ્તાર દ્વારા કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં જામનગર એનસીસી ગ્રુપ હેડ ક્વાર્ટર્સના ગ્રુપ કમાન્ડર તથા આર્મી નેવીના વરિષ્ઠ અધિકારીઓની ઉપસ્થિતિ રહી હતી. બીજા દિવસે કેડેટ્સ દ્વારા પોરબંદર થી નવીબંદરનું ૩૦ કિલોમીટરનું દરિયાઈ અંતર કાપવામાં આવ્યું હતું જેમાં પોરબંદરમાં વહેલી સવારે કીર્તિ મંદિરની મુલાકાત લઈ મહાત્મા ગાંધીના જીવન મૂલ્યોમાંથી રાષ્ટ્રભક્તિ સેવા અને બલિદાનની શીખ મેળવી હતી. 


ત્રીજે દિવસે નવીબંદરથી માધવપુર સમુદ્રી સફર કરવામાં આવી હતી. સાથે-સાથે સ્થાનિકોમાં શિક્ષણ પ્રત્યે જાગૃતિ લાવવા બેટી બચાવો બેટી પઢાવોનું નુક્કડ નાટક કરવામાં આવ્યું હતું. ચોથા દિવસે માધવપુરથી માંગરોળનું દરિયાઈ અંતર કાપવામાં આવ્યું હતું.જેમાં દરિયાઈ સૃષ્ટિની જાળવણીના હેતુસર અને પર્યાવરણની સુરક્ષાની જાગૃતતાને ઉજાગર કરવા માધવપુર દરિયા કિનારાની સફાઈ કરવામાં આવી હતી. 

​​​​​​​

પાંચમા દિવસે સ્વાસ્થ્ય સંભાળ અંગે સ્થાનિકોમાં જાગૃતિ લાવવા માંગરોળમાં વોકથોન યોજી માંગરોળથી વેરાવળ ૪૦ કિલોમીટરનું દરિયાઈ અંતર પણ કાપવામાં આવ્યું હતું. છઠ્ઠા દિવસે વેરાવળથી મૂળ દ્વારકા સુધીનું ૩૫ કિલોમીટરનો દરિયાઈ અંતર કાપી વેરાવળમાં સ્વચ્છતા અભિયાન પણ કરવામાં આવ્યું હતું અને ઐતિહાસિક દીવાદાંડીની મુલાકાત લેવામાં આવી હતી. 


અંતિમ દિવસે ૪૫ કિલોમીટરનું દરિયાઈ અંતર કાપી મૂળ દ્વારકાથી દીવ સમુદ્ર અભિયાન પહોંચ્યું હતું.જેમાં દરિયાઈ તટના સ્થાનિકોમાં લોકશાહીની જવાબદારી માટે જાગૃતિ લાવવા મતદાન અંગેનું નુક્કડ નાટક આયોજિત કરવામાં આવ્યું હતું. તા ૨૫ જાન્યુઆરી રવિવારના રોજ ફ્લેગ ઈન બાદ સાંજે એડિશનલ ડાયરેક્ટર જનરલનની ઉપસ્થિતિમાં  સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. વિવિધ ક્ષેત્રમાં સિદ્ધિ મેળવનારા કેડેટ્સને પારિતોષિકથી સન્માનિત કરવામાં આવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application