જામનગર સહિત સમગ્ર હાલારમાં નાતાલને આડે એક દિવસ બાકી છે છતાં પણ જોઇએ તેવી ઠંડી પડતી નથી, જો કે ગઇકાલે તાપમાન ૧૬ ડીગ્રી હતું તેમાં ૨ ડીગ્રીનો ઘટાડો થયો છે અને લઘુતમ તાપમાન ૧૪ ડીગ્રીએ પહોંચ્યું છે, ત્યારે આગામી દિવસોમાં વધુ ઠંડી પડે તેવી હવામાન ખાતા દ્વારા અવારનવાર આગાહી કરવામાં આવે છે તે સાચી પડે તેવું લોકો ઇચ્છી રહ્યા છે.
જામનગર જિલ્લા કલેકટર કચેરીના કંટ્રોલ રૂમના જણાવ્યા અનુસાર લઘુત્તમ તાપમાન ૧૪ ડિગ્રી જયારે મહત્તમ તાપમાન ૨૯ ડિગ્રી સેન્ટિગ્રેડ નોંધાયું છે. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૭૩ ટકા રહ્યું હતું, જ્યારે પવનની ગતિ સરેરાશ પ્રતિ કલાકના ૨૦ થી ૨૫ કિ.મીની ઝડપે રહી હતી, સવારે અને રાત્રિના દરમિયાન ઠંડી તેમજ બપોરે આકરા તાપને લઈને મિશ્ર વાતાવરણ જોવા મળી રહયું હતું.
જામનગરમાં છેલ્લા કેટલાક સમયથી મિશ્ર ઋતુનું વાતાવરણ જોવા મળે છે, શહેરમાં મચ્છરનો ઉપદ્રવ પણ વધી ગયો છે, ઋતુ બદલાતા તાવ, શરદી, ઉધરસના કેસો પણ વઘ્યા છે, જામનગર શહેર અને ગામડામાં કમળાના દર્દીઓનું પ્રમાણ વઘ્યું છે અને ખાનગી હોસ્પિટલમાં વધુ બે દર્દીઓને કમળાની અસર જોવા મળી છે, આ વખતે શિયાળામાં ખાસ કોઇ ઠંડી પડી નથી, હવામાન ખાતાએ મંગળ અને બુધ કડકડતી ઠંડી પડશે તેવી આગાહી કરી હતી, પરંતુ આગાહી મુજબ ઠંડી પડી નથી.
ધીમે-ધીમે ઠંડી વધતી જાય છે ત્યારે જી.જી.હોસ્પિટલ અને ખાનગી હોસ્પિટલમાં તાવ, શરદી, ઉધરસના કેસો વધી રહ્યા છે, જો કે હજુ પણ બપોરના ભાગમાં ગરમી જોવા મળે છે, જો ઠંડી પડે તો જી, બાજરી, ઘઉં, ચણા જેવા શિયાળુ પાકને પણ ફાયદો થાય તેમ છે, જો કે દેવભુમિ દ્વારકા જિલ્લામાં પણ છેલ્લા ત્રણ-ચાર દિવસથી ઠંડીનું પ્રમાણ વઘ્યું છે.