કેરળના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને સીપીએમના વરિષ્ઠ નેતા વી.એસ. અચ્યુતાનંદનને મરણોત્તર પદ્મ વિભૂષણ એનાયત કરવામાં આવ્યો છે. જોકે, હવે સ્પષ્ટ થઈ ગયું છે કે તેમનો પરિવાર આ એવોર્ડ સ્વીકારશે નહીં. આ ઇનકાર પાછળનું કારણ ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટીની વિચારધારા છે, જેના હેઠળ પાર્ટીના નેતાઓ સરકારી સન્માન સ્વીકારતા નથી.સીપીએમના મહાસચિવ એમ.એ. બેબીએ પણ આ બાબતે પોતાનું અને તેમની પાર્ટીનું વલણ સ્પષ્ટ કર્યું છે. તેમણે જણાવ્યું હતું કે પાર્ટીનું વલણ સ્પષ્ટ છે: અચ્યુતાનંદનના પરિવારે એવોર્ડ ન સ્વીકારવો જોઈએ. તેમણે એ પણ સ્પષ્ટ કર્યું હતું કે પરિવાર અંતિમ નિર્ણય પાર્ટીના નિર્ણય અનુસાર લેશે.
બેબીએ કહ્યું કે જો વી.એસ. અચ્યુતાનંદન જીવિત હોત, તો તેઓએ પોતે પણ આ એવોર્ડ ને સ્વીકાર્યો ન હોત, કારણ કે તેઓ હંમેશા પાર્ટીની વિચારધારા અને સિદ્ધાંતો પર અડગ રહ્યા હતા. આવી સ્થિતિમાં, તેમનો પરિવાર પણ આવો જ નિર્ણય લઈ શકે છે.
જ્યારે પદ્મ વિભૂષણની જાહેરાત કરવામાં આવી ત્યારે પરિવાર અને પાર્ટીએ આ નિર્ણય પર ખુશી વ્યક્ત કરી હતી. અચ્યુતાનંદનના પરિવારે સમાજમાં તેમના લાંબા સમયથી યોગદાનને માન્યતા આપીને તેનું સ્વાગત કર્યું હતું. જોકે, બાદમાં પરિવાર પાર્ટી હાઇકમાન્ડના નિર્ણયનું પાલન કર્વાનું મુનાસીબ સમજ્યું હતું.
વી.એસ. અચ્યુતાનંદનના પુત્ર વી.એ. અરુણ કુમારે પણ પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે. તેમણે સ્પષ્ટપણે કહ્યું છે કે પાર્ટી જે પણ નિર્ણય લેશે તે બધાને ખબર પડશે. તેમને વધુમાં જણાવ્યું હતું કે પરિવારને પદ્મ વિભૂષણ એનાયત કરવા અંગે કેન્દ્રીય ગૃહ મંત્રાલય તરફથી ઔપચારિક સૂચના મળી છે. જો કે, તેમણે એ પણ સ્પષ્ટ કર્યું કે સીપીએમનું વૈચારિક વલણ સરકારી સન્માન સ્વીકારવાની વિરુદ્ધ છે.
પાર્ટીનો નિર્ણય સર્વોપરી
અરુણ કુમારે લખ્યું, "એક સામ્યવાદી તરીકે, મારા પિતા હંમેશા પક્ષના સિદ્ધાંતોનું પાલન કરે છે. પરિવાર પક્ષના નિર્ણયો અને તેના આદર્શોને વળગી રહેશે. લોકોના હૃદયમાં તેમણે જે માન મેળવ્યું છે તે કોઈપણ સરકારી પુરસ્કાર કરતાં મોટું છે. જોકે આ બાબતે સીપીએમ દ્વારા કોઈ ઔપચારિક પ્રસ્તાવ જારી કરવામાં આવ્યો નથી, પરંતુ પક્ષના નેતૃત્વના વલણથી સ્પષ્ટ થાય છે કે વી.એસ. અચ્યુતાનંદન માટે જાહેર કરાયેલ પદ્મ વિભૂષણ સ્વીકારવામાં આવશે નહીં.