રાજકુમાર કોલેજના સિકયુરિટી ગાર્ડ યુવાનને અહીં અગાઉ નોકરી કરનાર શખસે છરીના આડેધડ ઘા ઝીંકી દીધા હતાં. હુમલામાં ઘવાયેલા યુવાનને સારવાર માટે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. નોકરીમાંથી કાઢી મૂકયાનો ખાર રાખી યુવાન પર હુમલો કર્યો હતો. બનાવ અંગે યુવાનની ફરિયાદ પરથી પ્ર.નગર પોલીસે ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી.
નાનામવા રૈયા પર માલધારી શેરી નં.૩ માં રહેતા રજનીશભાઇ લક્ષ્મણભાઇ સોંદરવા(ઉ.વ. ૩૬) દ્વારા પ્ર.નગર પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે અમીત પરમારનું નામ આપ્યું છે. યુવાને ફરિયાદમાં જણાવ્યું હતું કે, વિશ્વંભી સિકયુરિટી એજન્સીમાં સિકયુરિટી ગાર્ડ તરીકે છેલ્લા ત્રણ મહિનાથી નોકરી કરે છે. સંતાનમાં પુત્ર યુવરાજ(ઉ.વ. ૧૪) તથા દીકરી સીયા(ઉ.વ. ૧૨) છે.
ગઇકાલે રાત્રીના સાડા આઠ વાગ્યા આસપાસ યુવાન રાજકુમાર કોલેજ ગેઇટ નં.૨ પાસે ગાર્ડ તરીકેની નોકરી પર હતો દરમિયાન અગાઉ અહીં ગાર્ડ તરીકે નોકરી કરનાર અમીત પરમારને સિકયુરિટી ગાર્ડ તરીકેની નોકરીમાંથી કાઢી મૂકયો હોય તેનો ખાર રાખી કોલેજના ગેઇટ નં.૨ પાસે આવી યુવાન કંઇ સમજે તે પૂર્વે તેને પેટ, મોઢા, ગળા અને માથાનાભાગે છરીના ઘા ઝીંકી દીધા હતાં. બાદમાં અમિત અહીંથી નાસી ગયો હતો. યુવાને બુમાબુમ કરતા અહીં સિકયુરિટી ગાર્ડ તરીકે નોકરી કરનાર ઇન્દુબેન અને જેન્તીભાઇ આવી ગયા હતા.બાદમાં યુવાનને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
આમ આરોપીને નોકરી પરથી કાઢી મૂકયાનો ખાર રાખી આરોપીએ યુવાનને છરીના આડેધડ ઘા ઝીંકી દીધા હતાં. જે અંગે યુવાનની ફરિયાદ પરથી પ્ર.નગર પોલીસે આરોપી સામે ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી.