એર ઇન્ડિયામાં એક નવી છેતરપિંડી પ્રકાશમાં આવી છે. સેંકડો કર્મચારીઓએ તેમને મળતી વાર્ષિક 14 મફત હવાઈ ટિકિટ બહારના લોકોને વેચી દીધી હતી, તેઓ પોતાને સંબંધી હોવાનો દાવો કરતા હતા. તપાસ બાદ, એર ઇન્ડિયા છેતરપિંડીમાં સામેલ કર્મચારીઓ પર ભારે દંડ લાદશે અને તેમની પાસેથી પૈસા વસૂલ કરશે.
સૂત્રોએ જણાવ્યું હતું કે એર ઇન્ડિયાના કર્મચારીઓને કર્મચારી લેઝર ટ્રાવેલ નીતિ હેઠળ દર વર્ષે 14 મફત હવાઈ ટિકિટ મળે છે. આ ટિકિટો પોતાના અને તેમના પરિવાર માટે છે. જોકે, તપાસમાં બહાર આવ્યું છે કે 24 હજાર કર્મચારીઓમાંથી આશરે ચાર હજાર કર્મચારીઓએ તેમની મફત ટિકિટોનો ઉપયોગ તેમના પરિવાર માટે કરવાને બદલે બહારના લોકોને વેચી દીધી હતી અને તેમાંથી રોકડી કરી લીધી હતી.
ખોટા દસ્તાવેજો બનાવી કરવામાં આવી ઠગાઈ
એર ઇન્ડિયાના કર્મચારીઓએ દસ્તાવેજો ખોટા બનાવીને આ કૃત્ય કર્યું હતું, જે તાજેતરની તપાસમાં બહાર આવ્યું હતું. આ પછી, ટાટા ગ્રુપની માલિકીની એર ઇન્ડિયા આવા કર્મચારીઓને વસૂલાત નોટિસ જારી કરી રહી છે અને ભારે દંડ લાદી રહી છે.આ ઉપરાંત, ભવિષ્યમાં છેતરપિંડી અટકાવવા માટે એર ઇન્ડિયાએ તેની મફત ટિકિટ યોજના અંગેના નિયમોમાં પણ સુધારો કર્યો છે. આ નિયમો હેઠળ, મફત ટિકિટનો ઉપયોગ કરનાર વ્યક્તિની સંપૂર્ણ વિગતો પુરાવા સાથે અગાઉથી જાહેર કરવી પડશે.