લખનૌના ઈકાના સ્ટેડિયમમાં ક્રિકેટ પ્રેમીઓને આજે નિરાશા હાથ લાગી છે. ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાનારી ચોથી T20 મેચ ભારે ધુમ્મસને કારણે એક પણ બોલ ફેંકાયા વિના રદ કરવામાં આવી છે. લાંબી રાહ જોયા બાદ અને મેદાનનું અનેકવાર નિરીક્ષણ કર્યા બાદ અમ્પાયરોએ અંતે મેચ રદ કરવાનો સત્તાવાર નિર્ણય લીધો હતો.
6 નિરીક્ષણ છતાં વિઝિબિલિટીમાં સુધારો નહીં
સાંજે 7 વાગ્યે શરૂ થનારી આ મેચમાં ધુમ્મસ એટલું ઘાટું હતું કે પિચ પરથી બાઉન્ડ્રી લાઇન જોવી પણ અશક્ય હતી. અમ્પાયરોએ કુલ 6 વખત મેદાનનું નિરીક્ષણ કર્યું હતું. રાત્રે 9:25 વાગ્યે કરવામાં આવેલા છેલ્લા ઈન્સ્પેક્શનમાં પણ સ્થિતિમાં કોઈ સુધારો ન દેખાતા મેચ રદ જાહેર કરવામાં આવી. સ્ટેડિયમમાં હજારોની સંખ્યામાં ઉમટેલા ફેન્સ કલાકો સુધી મેચ શરૂ થવાની રાહ જોતા રહ્યા હતા, પરંતુ છેલ્લે ખાલી હાથે ઘરે પરત ફરવું પડ્યું હતું.
ભારત હજુ પણ 2-1 થી આગળ
ચોથી મેચ રદ થવા છતાં 5 મેચોની આ સિરીઝમાં ભારતીય ટીમ 2-1 થી પોતાની લીડ જાળવી રાખવામાં સફળ રહી છે. જો ભારત આ મેચ જીતી ગયું હોત તો આજે જ સિરીઝ પર કબજો જમાવી લેત, પરંતુ હવે બધો આધાર અંતિમ મેચ પર છે.
હવે અમદાવાદના 'નરેન્દ્ર મોદી સ્ટેડિયમ'માં થશે મહાજંગ
આ શ્રેણીની પાંચમી અને અંતિમ મેચ હવે 19 ડિસેમ્બરના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. સાઉથ આફ્રિકા માટે આ મેચ સિરીઝ ડ્રો કરવાની છેલ્લી તક હશે. ટીમ ઇન્ડિયા અમદાવાદમાં જીત મેળવીને 3-1 થી સિરીઝ પોતાના નામે કરવાના મજબૂત ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે.