ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા પછી ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (ગુજકેટ) લેવામાં આવનારી છે. આ પરીક્ષાના ફોર્મ ભરવાની મુદત બોર્ડની જાહેરાત મુજબ 30 ડિસેમ્બર સુધીની હતી પરંતુ અનેક વિદ્યાર્થીઓ ફોર્મ ભરવાથી વંચિત રહી ગયા હોવાની રજૂઆત થતા બોર્ડે ફોર્મ સ્વીકારવાની મુદતમાં વધારો કરીને હવે તારીખ 6 જાન્યુઆરી સુધી ફોર્મ સ્વીકારવામાં આવશે તેવી જાહેરાત કરી છે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના સચિવ આર.આર.વ્યાસ દ્વારા આ સંદર્ભે તમામ જિલ્લા શિક્ષણ અધિકારીઓ અને શાળા સંચાલકોને પરિપત્ર પાઠવી ને જણાવ્યું છે કે હવે તારીખ 6 જાન્યુઆરી સુધી ઓનલાઇન બોર્ડની વેબસાઈટ મારફત ફોર્મ સ્વીકારવામાં આવશે.
ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા 2016 થી ગુજકેટની પરીક્ષા લેવાનું શરૂ કરાયું છે. ડિગ્રી એન્જિનિયરિંગ, ડિપ્લોમા ફાર્મસી સહિતના અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માંગતા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના ગ્રુપ એ, ગ્રુપ બી અને ગ્રુપ એબીના વિદ્યાર્થીઓ માટે આ પરીક્ષાનું આયોજન કરવામાં આવે છે. જે તે વખતે આ પરીક્ષાનું મહત્વ ઘણું વધારે હતું પરંતુ મેડિકલ જેવી મહત્વની ફેકલ્ટીઓની એન્ટ્રન્સ એક્ઝામ રાષ્ટ્રીય સ્તરે અલગથી લેવાનું શરૂ કરાતા હવે ગુજકેટનું મહત્વ પણ ભૂતકાળની સરખામણીએ થોડું ઘટી ગયું છે.
ગુજકેટની પરીક્ષા ફી રૂપિયા 350 એસબીઆઇ ઇપે સિસ્ટમ મારફતે ઓનલાઈન ક્રેડિટ કાર્ડ ડેબિટ કાર્ડ નેટબેન્કિંગ દ્વારા અથવા તો એસબીઆઇ ઈ પે ના એસબીઆઇ બ્રાન્ચ પેમેન્ટ ઓપ્શન દ્વારા દેશની કોઈ પણ એસબીઆઇ બ્રાન્ચમાં ભરી શકાશે