BREAKING NEWS

ગણેશ ગોંડલના નાર્કો ટેસ્ટની પ્રક્રિયા ગાંધીનગર FSLમાં શરુ, ગુરુવારે નાર્કો હાથ ધરવામાં આવે તેવી શક્યતા: મેડિકલ ટેસ્ટ શરુ

  • December 09, 2025 12:07 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજ્યભરમાં ચકચાર જગાવનારા ગોંડલના રાજકુમાર જાટના શંકાસ્પદ મોતના કેસમાં મહત્ત્વનો વળાંક આવ્યો છે. આ કેસમાં શકમંદ ગોંડલના ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ જાડેજાના નાર્કો ટેસ્ટની પ્રક્રિયા ગાંધીનગર સ્થિત એફએસએલમાં શરૂ થઈ ચૂકી છે. સંભવતઃ આગામી 11મી ડિસેમ્બરના રોજ તેમનો નાર્કો ટેસ્ટ કરવામાં આવશે.

મૃતક રાજકુમાર જાટના પરિવારજનોએ આ બનાવને અકસ્માત નહીં પણ હત્યા ગણાવીને ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા અને તેમના પુત્ર ગણેશ જાડેજા સામે ગંભીર આક્ષેપો કર્યા હતા. આ મામલે રાજકોટની જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટમાં નાર્કો ટેસ્ટ કરાવવા માટે અરજી કરવામાં આવી હતી. આ અરજીના જવાબમાં ગણેશ જાડેજાએ કોર્ટ સમક્ષ નાર્કો ટેસ્ટ કરાવવા માટે સહમતિ આપી હતી, જેના આધારે કોર્ટે નાર્કો ટેસ્ટ કરાવવા માટે હુકમ કર્યો હતો. જોકે, રાજકુમારનું જે બસ હડફેટે મૃત્યુ થયાનું પોલીસે જાહેર કર્યું હતું, તે બસના ચાલક રમેશ મેરની ઉંમરને ધ્યાનમાં રાખીને અદાલતે તેના નાર્કો ટેસ્ટ માટે મંજૂરી આપી નહોતી.


હુકમ બાદ ગાંધીનગર સ્થિત ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (એફએસએલ) માં ગણેશ જાડેજાના નાર્કો ટેસ્ટની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. ટેસ્ટ પહેલા જરૂરી મેડિકલ તપાસ અને અન્ય પ્રક્રિયાઓ ચાલી રહી છે, જે હજુ એક-બે દિવસ ચાલુ રહેશે. ત્યારબાદ 11મી ડિસેમ્બરે મુખ્ય ટેસ્ટ કરાશે. બીજી તરફ, આ કેસની તપાસ માટે રચાયેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (સીટ) માટે આગામી દિવસો મહત્ત્વના છે. SIT આગામી 10મી ડિસેમ્બરના રોજ કેસની તપાસનો પ્રગતિ અહેવાલ ગુજરાત હાઈકોર્ટ સમક્ષ રજૂ કરશે. આ રિપોર્ટમાં શું નવા ખુલાસા થાય છે અને પોલીસ તપાસ કઈ દિશામાં આગળ વધી રહી છે, તેના પર સમગ્ર રાજ્યના કાયદાકીય અને રાજકીય જાણકારોની નજર ટકેલી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application