રાજ્ય સરકારે ગૃહ વિભાગ માટે કુલ રૂ.૧૪૨૬૫ કરોડની જોગવાઈ જાહેર કરી છે. કાયદો અને વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવાના હેતુસર પોલીસ દળના આધુનિકીકરણ, રહેણાંક સુવિધાઓ અને ટેકનોલોજી આધારિત સુરક્ષા વ્યવસ્થાને પ્રાથમિકતા આપવામાં આવી છે.
પોલીસ કર્મચારીઓના કલ્યાણ માટે આગામી પાંચ વર્ષમાં કુલ ૨૦,૪૪૪ રહેણાંક મકાનો પૂરા પાડવાનો મહત્ત્વાકાંક્ષી કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો છે. આ હેતુસર ચાલુ બજેટમાં રૂ.૧૫૭૧ કરોડ ફાળવાયા છે. ઉપરાંત, વિવિધ જિલ્લાઓમાં પોલીસ સ્ટેશન અને કચેરીઓ સહિત કુલ ૧૦૭ બિન રહેણાંક મકાનોના નિર્માણ માટે રૂ.૧૩૬ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
નાગરિકોની સુરક્ષા ઝડપી અને અસરકારક રીતે સુનિશ્ચિત કરવા ડાયલ 112 જનરક્ષક પ્રોજેક્ટ હેઠળ નવી ૩,૦૦૦ જગ્યાઓ ઊભી કરવાની જોગવાઈ કરવામાં આવી છે. આથી ઇમરજન્સી કૉલ્સ પર વધુ ઝડપી પ્રતિસાદ મળી શકશે.
આધુનિક ખતરાઓને પહોંચી વળવા રાજ્ય સરકારે રોગ ડ્રોન સામે રક્ષણ મેળવવા ચાર એન્ટિ-ડ્રોન સિસ્ટમ ખરીદવા રૂ.૨૦ કરોડ ફાળવ્યા છે. આંતરરાજ્ય તથા આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવતા જિલ્લાઓમાં પોલીસ પેટ્રોલિંગ મજબૂત કરવા ૫૦ સ્પેશિયલ ઓપરેશનલ વ્હિકલ ખરીદવા નવ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. સરકારનું માનવું છે કે આ પગલાઓથી રાજ્યમાં સુરક્ષા માળખું વધુ મજબૂત બનશે અને નાગરિકોને વધુ સલામત વાતાવરણ ઉપલબ્ધ થશે.