માળીયાહાટીનામાં આમ આદમી પાર્ટીની ખેડૂત સભા દરમિયાન વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયા પર જુતુ ફેકાયું હતું. જોકે જુતુ ગોપાલ ઇટાલીયાના પગ પાસેથી નીકળી ગયું હતું. હુમલાખોરને આમ આદમી પાર્ટીના સભ્ય અને પોલીસ કર્મચારીઓએ ઝડપી લીધો હતો. રાજકીય ઈશારે કૃત્ય થયાનો ગોપાલ ઇટાલીયાએ આક્ષેપ કર્યો હતો પોલીસ દ્વારા હુમલાખોરને ઝડપી જુતું ફેકવાનું કારણ શું હતું તે અંગે પૂછપરછ હાથ ધરી છે. જોકે ઘટનાના નવ કલાક બાદ પણ હજુ સુધી ગુનો નોંધાયો જ નથી. ગોપાલ ઈટાલિયાએ કહ્યું હતું કે, આને શું ઓતાર આવ્યો, અત્યારસુધી કમ્પ્લીટ બેઠો હતો, ફોન આવ્યો હશે એટલે આવું કર્યું એમ ને.
માળીયાહાટીનામાં ગઈકાલે રાત્રે આમ આદમી પાર્ટીની ખેડૂત સભા યોજવામાં આવી હતી. જેમાં વિસાવદરના ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલીયા દ્વારા ઉપસ્થિત લોકોને સંબોધન કરતા હતા તે દરમિયાન સ્ટેજ પાસે એકા એક શખ્સ આવી ગયો હતો અને ગોપાલ ઇટાલીયા પર જૂતુ ફેક્યું હતું. જોકે હુમલો નિષ્ફળ ગયો હતો અને ગોપાલ ઇટાલીયાના પગ પાસેથી જુતું પસાર થઈ ગયું હતું ગોપાલ ઇટાલીયા સ્ટેજ પરથી ભાજપ વિરુદ્ધ ચાબખા મારી રહ્યા હતા તે દરમિયાન જ થયેલ બનાવથી અનેક પ્રશ્નો સર્જાયા છે. જામનગર બાદ ફરીથી સભા સ્થળ પર જુતુ ફેંકવાના બનાવ ના કારણે રાજકીય ઘમાસાણ સર્જાય તેવી ભીતિ સેવાઈ રહી છે. અત્રે ઉલ્લ ેખનીય છે કે ગત પાંચ ડિસેમ્બરે જામનગરમાં કોંગ્રેસના કાર્યકર દ્વારા વિસાવદર ના ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલીયા પર જુતુ ફેક્યું હતું જ્યારે ગઈકાલે માળિયા હાટીનામાં ખેડૂતો સભા દરમિયાન સ્ટેજ પર સંબોધન વખતે ફરી એક વખત જૂતુ ફેંકવાના બનાવ બાદ ગોપાલભાઈ ઇટાલીયા એ ફોન આવે પછી જ આવી પ્રવૃત્તિ કરવામાં આવે છે રાજકીય ઈશારે સમગ્ર કૃત્ય થયું હોવાનું જણાવ્યું હતું. તેઓએ જણાવ્યા મુજબ અમે એવું તે શું કર્યું કે દરેક સભામાં આવું કૃત્ય થાય તેમ જણાવી ગમે તેવા પ્રયાસ કરવામાં આવે પરંતુ પીછેહઠ નહીં થાય તેમ પણ જણાવ્યું હતું.
માળીયાહાટીનામાં સભા સ્થળ પરથી આમ આદમી પાર્ટી અને પોલીસ કર્મચારીઓએ હુમલાખોર યુવકને ઝડપી લીધો હતો અને ત્યારબાદ પોલીસ દ્વારા સમગ્ર મામલે ઝડપાયેલા ઈસમે કયા કારણોસર જુતુ ફેક્યું, કોના ઇશારે કૃત્ય કર્યું , રાજકીય કાર્યકર છે કે કેમ તે અંગે ઊંડાણપૂર્વકની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી.
ગરીબો અને ઝુંપડપટ્ટી વિષે બોલવાને બદલે રાજકારણની વાતો કરી તેથી જૂતું ફેંકયું
માળિયાહાટીનામાં ગઈકાલે ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા સભા સંબોધી રહ્યા હતા ત્યારે સ્ટેજ ઉપર ચડીને ધારાસભ્ય તરફ જૂતું ફેંકયા બાદ પોલીસના હાથમાં પકડાઈ ગયેલા શખસે તેનું નામ શબ્બીર મહમદહુસેન પરમાર ઉ.વ.25 રહે.ભંડુરી હોવાનું જણાવ્યું હતું અને તેણે ગોપાલ ઈટાલિયા સભામાં ગરીબો અને ઝુંપડપટ્ટીઓ વિષે કાંઈ બોલ્યા નહીં અને માત્ર રાજકારણની વાતો કરતા લાગી આવવાથી જૂતું ફેંકયું હોવાનું જણાવ્યું હતું.