જામનગર મહાપાલીકા દ્વારા ચારેક મહીના પહેલા પાંચેક જેટલા અધિકારીઓને પ્રમોશન આપવામાં આવ્યા હતાં, ત્યારબાદ ચાર અધિકારીઓના પ્રમોશનની મંજુરી સરકારમાં માંગવામાં આવી હતી, થોડા દિવસ પહેલા આસી.કમિશ્નર વહિવટ તરીકે મુકેશ વરણવાની કરાયેલી દરખાસ્તને ગાંધીનગરથી મંજુરી મળી ગઇ છે, જયારે બે દિવસ પહેલા હાલ ઓડીટર તરીકે રહેલા કોમલ પટેલની ચીફ ઓડીટર તરીકે દરખાસ્તને સરકારે મંજુરીની મ્હોર મારી છે.
જાણવા મળતી વિગત પ્રમાણે ટેકસ વિભાગના ઇન્ચાર્જ આસી. કમિશ્નર જીગ્નેશ નિર્મલને પણ પ્રમોશન અપાયું હતું, પરંતુ સરકારમાંથી એક વખત દરખાસ્ત પાછી આવ્યા બાદ ફરીથી દરખાસ્તને મોકલવામાં આવી હતી અને વોટર વર્કસ શાખાના કાર્યપાલક ઇજનેર નરેશ પટેલની દરખાસ્તને પણ હજુ મંજુરીની મ્હોર મારવામાં આવી નથી, એક માત્ર નિતીન દિક્ષીતને કાર્યપાલક ઇજનેર તરીકે પ્રમોશન અપાયું છે તેને મંજુરી મળી ગઇ છે.
થોડા દિવસ પહેલા એવી પણ વિગતો બહાર આવી હતી કે, ચીફ ઓડીટરની જગ્યા માટે ડાયરેકટ ભરતી કરવામાં આવશે, પરંતુ સ્ટે.કમિટીએ કોમલ પટેલની દરખાસ્ત મંજુર કર્યા બાદ આ દરખાસ્ત જનરલ બોર્ડમાં મુકવામાં આવી હતી અને બોર્ડે પણ દરખાસ્ત પસાર કરી હતી, ત્યારબાદ ગાંધીનગર મોકલવામાં આવી હતી, આખરે ચીફ ઓફીસરનું કોકડુ ઉકેલાઇ ગયું છે, જો કે જીગ્નેશ નિર્મલ અને નરેશ પટેલના પ્રમોશન અંગેની દરખાસ્તને મંજુરી મળી નથી.