BREAKING NEWS

જામનગરના શિવાલયોમાં “સોમનાથ સ્વાભિમાન પર્વ”ની ભવ્ય ઉજવણી

  • January 10, 2026 11:10 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શહેરના ઈવાપાર્કમાં આવેલ સોમનાથ મહાદેવ મંદિરમાં દિવ્ય દીપોત્સવ અને મહા આરતીમાં બહોળી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા


જામનગર તા.9 જાન્યુઆરી, મહમૂદ ગઝનવી દ્વારા સોમનાથ પર 1026માં કરવામાં આવેલા પ્રથમ આક્રમણના હજાર વર્ષ પૂર્ણ થયા છે. આજે એક હજાર વર્ષ પછી પણ સોમનાથ મંદિર પૂરા ગૌરવ સાથે અડીખમ ઊભું છે. આ સાથે જ  2026માં સોમનાથ મંદિરના પુનર્નિર્માણના 75 વર્ષ પૂર્ણ થવાના છે.



11 મે 1951ના રોજ આ ભવ્ય મંદિરનું પુનર્નિર્માણ સંપન્ન થયું હતું અને ફરી ભક્તો માટે ખુલ્યું હતું. આ સીમાચિહ્નરૂપ ઘટનાને વધુ વિશેષ બનાવતા વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી 10-11 જાન્યુઆરીએ સોમનાથની મુલાકાત લેશે અને ‘સોમનાથ સ્વાભિમાન પર્વ’માં હાજરી આપશે.


અખંડ ઓમકાર નાદથી સોમનાથ સ્વાભિમાન પર્વની શરૂઆત તા. 8 જાન્યુઆરીથી 72 કલાકના અખંડ ઓમકાર નાદ સાથે કરવામાં આવી છે. જેમાં જામનગર જિલ્લાના શિવાલયોમાં 72 કલાક સુધી અખંડ મંત્રોચ્ચાર ઉપરાંત સત્સંગ અને મહાઆરતીઓનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. 


જામનગરના ઈવાપાર્કમાં આવેલ સોમનાથ મંદિરમાં આજે સાંજના સમયે દિવ્ય દીપોત્સવ અને મહા આરતીનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. આ અવસરે મંદિરને વિશેષ રૂપે ફૂલો, દીવો, રંગબેરંગી લાઈટોથી સુશોભિત કરવામાં આવ્યું હતું, જેના કારણે સમગ્ર મંદિર પરિસર આધ્યાત્મિક તેજથી ઝળહળી ઉઠ્યું હતું.કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ મહાઆરતી રહ્યું, જેમાં વૈદિક મંત્રોચ્ચાર, શંખનાદ, અને ભક્તિભાવથી અધ્યાત્મિક વાતાવરણ સર્જાયું હતું.



આસપાસના વિસ્તારોમાંથી વિશાળ સંખ્યામાં ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. હર હર મહાદેવના જયઘોષ સાથે સમગ્ર વાતાવરણ ભક્તિમય બન્યું હતું. ઉપરાંત ભક્તો હાથમાં દીવડા લઈને આરતીમાં સહભાગી થયા હતા. જેમાં અગ્રણીશ્રી બીનાબેન કોઠારી, કોર્પોરેટરશ્રીઓ, આગેવાનો વગેરે ઉપસ્થિત રહ્યા હતા. 


ઉલ્લેખનીય છે કે, સોમનાથ મંદિર બાર જ્યોતિર્લિંગોમાં પ્રથમ સ્થાન ધરાવે છે અને પુરાણો તથા ભારતીય ઇતિહાસમાં વિશિષ્ટ મહત્વ ધરાવે છે. ઇતિહાસ સાક્ષી છે કે સોમનાથ મંદિર પર આક્રમણો થયા હોવા છતાં મંદિરની આસ્થા અને આધ્યાત્મિક ચેતના અડગ રહી છે. સોમનાથ મહાદેવ મંદિર આજે માત્ર ધાર્મિક સ્થળ નથી રહ્યું, પરંતુ તે ભારતના સ્વાભિમાન, સંસ્કૃતિ અને અડગ આત્મવિશ્વાસનું પ્રતિક બની ગયું છે.



હજારો વર્ષના આક્રમણો, વિનાશ અને સંઘર્ષ બાદ પણ પ્રથમ જ્યોતિર્લિંગ તરીકે અડીખમ ઉભેલું સોમનાથ આજે વિશ્વને ભારતની સાંસ્કૃતિક શક્તિનો પરિચય કરાવે છે. આ ગૌરવસભર ઇતિહાસને નવી ઊંચાઈ આપતું ‘સોમનાથ સ્વાભિમાન પર્વ’ તા. 8 થી 11 જાન્યુઆરી દરમિયાન ભવ્ય રીતે ઉજવાઈ રહ્યું છે.

​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application