રાજકોટ, લોધિકા અને પડધરી તાલુકાના ૧૮૦ ગામોનું વિશાળ કાર્યક્ષેત્ર ધરાવતા રાજકોટ માર્કેટ યાર્ડમાં નવરાત્રીથી નવી મગફળીની આવક શરૂ થયા બાદ હાલ દરરોજ ૧૫,૦૦૦ ગુણીની આવક થઇ રહી છે. સરકારે મગફળીમાં ટેકાનો ભાવ રૂ.૧૪૫૨ જાહેર કરીને રજિસ્ટ્રેશન શરૂ કર્યું છે પણ હજુ ખરીદી શરૂ કરી નથી, બીજી બાજુ રાજકોટ માર્કેટ યાર્ડમાં ખેડૂતોની મગફળી ૮૦૦થી ૧૨૦૦ના ભાવે વેંચાઇ રહી છે.
આ વર્ષે છેલ્લે સુધી વરસાદ વરસતા મગફળીમાં ભેજ બેસી ગયો છે જેથી ગુણવત્તા નબળી પડી છે તેના લીધે પુરતા ભાવ ઉપજતા નથી. બીજી બાજુ હજુ ઓઇલ મિલરોએ પણ જોઇએ તેવી ખરીદી શરૂ કરી નથી. જ્યારે ખેડૂતો દિવાળી પૂર્વે માલ વેંચી રોકડા કરવા ઉતાવળા બન્યા હોય જે ભાવ ઉપજે તે ભાવે માલ વેંચી રહ્યા છે. હાલ રાજકોટ માર્કેટ યાર્ડમાં ટેકાના ભાવ રૂ.૧૪૫૨થી ૨૫૨થી ૬૫૨ સુધીના નીચા ભાવે મગફળી વેંચાઇ રહી છે. રાજકોટ માર્કેટ યાર્ડમાં દરરોજ ૧૫ હજાર ગુણીની આવક સામે તેટલું જ વેંચાણ થઇ રહ્યું છે.જો કે ફ્ક્ત રાજકોટ માર્કેટ યાર્ડ જ નહીં સમગ્ર સૌરાષ્ટ્રના અન્ય યાર્ડમાં પણ મગફળી મામલે આવી જ સ્થિતિ જોવા મળી રહી છે.