રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં ચાલી રહેલી ડિમોલિશન કાર્યવાહી મામલે ગુજરાત હાઈકોર્ટે મહત્વપૂર્ણ રાહત આપતો હુકમ કર્યો છે. હાઈકોર્ટે આ કેસમાં આપવામાં આવેલી 202 હેઠળની નોટિસ રદ કરી છે અને જમીન વિવાદ ટ્રિબ્યુનલ (GRT)ને 90 દિવસની અંદર સમગ્ર કેસનો નિકાલ કરવા સ્પષ્ટ હુકમ આપ્યો છે. સાથે જ, 2010ના પુનર્વસન સંબંધિત સર્ક્યુલરને ખાસ ધ્યાનમાં લેવા પણ ટ્રિબ્યુનલને તાકીદ કરવામાં આવી છે.
આ કેસમાં અરજદારો તરફથી રજૂઆત કરવામાં આવી હતી
આ કેસમાં અરજદારો તરફથી રજૂઆત કરવામાં આવી હતી કે જંગલેશ્વર વિસ્તારમાં વર્ષોથી વસવાટ કરતા ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને યોગ્ય પ્રક્રિયા વિના ડિમોલિશન નોટિસ આપવામાં આવી હતી. અરજદારોનો દાવો હતો કે તેઓ લાંબા સમયથી ત્યાં રહે છે અને રાજ્ય સરકારના 2010ના પુનર્વસન સર્ક્યુલર મુજબ તેઓ પુનર્વસન માટે પાત્ર છે. તેમ છતાં, સંબંધિત સત્તાધીશો દ્વારા આ બાબતને અવગણીને તાત્કાલિક ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
હાઈકોર્ટે 202ની નોટિસ રદ કરી
ગુજરાત હાઈકોર્ટે આ મામલે બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ નોંધ્યું કે પુનર્વસન સંબંધિત નીતિઓ અને સર્ક્યુલરોનું પાલન કરવું જરૂરી છે. માત્ર નોટિસ આપીને તોડી પાડવાની કાર્યવાહી કરવી યોગ્ય નથી, ખાસ કરીને જ્યારે મામલો હજુ GRT સમક્ષ વિચારાધીન હોય. આથી હાઈકોર્ટે 202ની નોટિસ રદ કરી, અરજદારોને તાત્કાલિક રાહત આપી છે.
આ હુકમથી જંગલેશ્વર વિસ્તારના રહેવાસીઓમાં આશા જાગી
હાઈકોર્ટે વધુમાં જણાવ્યું કે GRTએ 90 દિવસની અંદર કેસનો અંતિમ નિકાલ કરવો જોઈએ અને તે દરમિયાન 2010ના પુનર્વસન સર્ક્યુલર સહિત તમામ સંબંધિત દસ્તાવેજો અને નીતિઓને ધ્યાનમાં લેવા જરૂરી છે. આ હુકમથી જંગલેશ્વર વિસ્તારના રહેવાસીઓમાં આશા જાગી છે અને તેઓને ન્યાય મળશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ ચુકાદાને શહેરી ગરીબોના હકના સંરક્ષણ તરફનું મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે.
શું છે સમગ્ર મામલો
રાજકોટ જિલ્લા કલેક્ટર તંત્ર દ્વારા જંગલેશ્વર સહિત આસપાસની 7 જેટલી સોસાયટીના 1358 પરિવારોને ડિમોલિશન માટેની ફાઇનલ નોટિસ આપવામાં આવી હતી. અસરગ્રસ્તોએ તાજેતરમાં મોટી સંખ્યામાં કલેક્ટર કચેરીએ દોડી જઈને ઉગ્ર રજૂઆતો કરી હતી. રૂ. 400 કરોડની કિંમતની અંદાજે 1.05 લાખ ચો. મીટર જગ્યા ખાલી કરવાની નોટિસ મળતાં અનેક પરિવારો ચિંતામાં મુકાઈ ગયા હતા.