ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા ટેક્નિકલ સેવાઓ હેઠળના વાયરલેસ અને મોટર ટ્રાન્સપોર્ટ પ્રભાગમાં વર્ગ-3 સંવર્ગની ખાલી જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી પ્રક્રિયા અંતર્ગત કુલ 950 જેટલી ટેક્નિકલ જગ્યાઓ માટે લાયક ઉમેદવારો પાસેથી માત્ર ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે.
950 જગ્યા પર કઈ પોસ્ટ પર કેટલી ભરતી કરાશે?
વાયરલેસ પીએસઆઈ- 172
ટેક્નિકલ ઓપરેટર- 698
મોટર ટ્રાન્સપોર્ટ પીએસઆઈ- 35
એચસી ડ્રાઈવર મિકેનિક (ગ્રેડ-1)- 45
ભરતી પ્રક્રિયા સંપૂર્ણપણે પારદર્શક અને મેરિટ આધારિત રહેશે
આ ભરતીમાં એન્જિનિયરિંગ અને ટેક્નોલોજીના વિવિધ પ્રવાહોમાંથી અભ્યાસ પૂર્ણ કરેલા ઉમેદવારો માટે ઉત્તમ તક ઉપલબ્ધ થઈ છે. ઇલેક્ટ્રોનિક્સ, કોમ્યુનિકેશન, ઇન્ફોર્મેશન ટેક્નોલોજી (આઈટી), કોમ્પ્યુટર સાયન્સ, ઓટોમોબાઈલ તથા મિકેનિકલ એન્જિનિયરિંગમાં ડિગ્રી અથવા ડિપ્લોમા ધરાવતા ઉમેદવારો આ જગ્યાઓ માટે અરજી કરી શકશે. ભરતી પ્રક્રિયા સંપૂર્ણપણે પારદર્શક અને મેરિટ આધારિત રહેશે તેવી માહિતી ભરતી બોર્ડ દ્વારા આપવામાં આવી છે.
સમયમર્યાદા બાદ કોઈ પણ પ્રકારની અરજી સ્વીકારવામાં આવશે નહીં
ઓનલાઈન અરજી પ્રક્રિયા તા. 9 જાન્યુઆરી બપોરે 2 કલાકથી શરૂ થશે અને તા. 29 જાન્યુઆરી રાત્રિના 11:59 કલાક સુધી ચાલુ રહેશે. ઉમેદવારોને ગુજરાત પોલીસ ભરતી બોર્ડની સત્તાવાર વેબસાઈટ મારફતે અરજી કરવાની રહેશે. સમયમર્યાદા બાદ કોઈ પણ પ્રકારની અરજી સ્વીકારવામાં આવશે નહીં, તેથી ઉમેદવારોને સમયસર અરજી કરવાની સૂચના આપવામાં આવી છે. આ ભરતી દ્વારા રાજ્યની પોલીસ વ્યવસ્થામાં ટેક્નિકલ ક્ષમતાને વધુ મજબૂત બનાવવાનો ઉદ્દેશ રાખવામાં આવ્યો છે. વાયરલેસ અને મોટર ટ્રાન્સપોર્ટ વિભાગમાં ટેક્નિકલ સ્ટાફની અછત દૂર થવાથી પોલીસની કાર્યક્ષમતા અને ટેક્નોલોજી આધારિત કામગીરીમાં વધારો થવાની શક્યતા છે. ખાસ કરીને યુવા ટેક્નિકલ ઉમેદવારો માટે આ ભરતી એક મહત્વપૂર્ણ કારકિર્દી તક તરીકે જોવામાં આવી રહી છે.
ઉમેદવારોને આ સલાહ આપવામાં આવી
ઉમેદવારોને સલાહ આપવામાં આવી છે કે અરજી કરતા પહેલા જાહેરાતમાં આપેલી લાયકાત, વયમર્યાદા, પસંદગી પ્રક્રિયા અને અન્ય શરતો ધ્યાનપૂર્વક વાંચી લે. આ ભરતી રાજ્યમાં રોજગારની નવી તકો ઊભી કરશે અને ટેક્નિકલ ક્ષેત્રે રસ ધરાવતા યુવાનો માટે એક સકારાત્મક પગલું સાબિત થશે.
13,591 જગ્યાની ભરતી માટે શારીરિક કસોટી 21મીથી શરૂ થશે
ગુજરાત પોલીસમાં પીએસઆઈ અને એલઆરડીની કુલ 13,591 જગ્યાની ભરતી માટે શારીરિક કસોટી આગામી 21 જાન્યુઆરી 2026થી શરૂ થવાની છે, જોકે શારીરિક કસોટી માટેના કોલલેટર ડાઉનલોડ કરવાની પ્રક્રિયા અંગેની વિગત ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે એમ ભરતી બોર્ડ દ્વારા જાણાવાયું છે. પીએસઆઈ અને લોકરક્ષક કેડર માટે 13,591 જગ્યા માટે યોજાયેલી આ ભરતીમાં રાજ્યભરમાંથી 14,28,546 ઉમેદવારે અરજી કરી હતી. ઉલ્લેખનીય છે કે પીએસઆઈ અને એલઆરડી જેવી મહત્ત્વપૂર્ણ કેડરની ભરતી માટે શારીરિક કસોટી મહત્ત્વપૂર્ણ માપદંડ ગણાય છે, આથી ઉમેદવારોને તમામ જરૂરી દસ્તાવેજો તૈયાર રાખવા તથા શારીરિક ધોરણો અંગે પૂર્વ તૈયારી રાખવા માટે સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત ઉમેદવારોને સલાહ પણ આપવામાં આવી છે કે તેઓ નિયમિત રીતે ગુજરાત પોલીસ ભરતી બોર્ડની અધિકૃત વેબસાઈટ પર નજર રાખે અને આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરે.