ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સરકાર માન્ય સંપૂર્ણપણે નિશુલ્ક એક મહિનાની યોગ ટ્રેનિંગ નું જામનગરમાં આયોજન કરાયું છે. જેમાં યોગા ટ્રેનરને સર્ટીફીકેટ એનાયત થશે, ઉપરાંત તેઓ જામનગર શહેરમાં ૨૦ વ્યક્તિઓના યોગા ક્લાસ ચલાવશે, તો પ્રતિમાસ ૩,૦૦૦નું વેતન પણ મળશે.
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા એક મહિનાનું ઓફલાઈન યોગ ટ્રેનિંગ શરૂ થવા જઈ રહ્યું છે. આ ટ્રેનિંગ સંપૂર્ણ પણે નિ:શુલ્ક રહેશે. જેમાં પ્રથમ મહિનો ઓફલાઇન ટ્રેનિંગ (જામનગર)માં રહેશે. જેમાં યોગ ટ્રેનર બનવા માટેનું તમામ પ્રાથમિક તથા પ્રેક્ટિકલ જ્ઞાન અપાશે. જ્યારે બીજો મહિનો ઓનલાઇન ટ્રેનિંગ ગાંધીનગર ખાતે રહેશે. જેમાં સવારે પ્રેક્ટિકલ સેશન અને સાંજે થિયરી સેશન રહેશે. જે બંને મહિનામાં શીખવવામાં આવેલ સિસ્ટમ આધારિત એક જ પરીક્ષા લેવામાં આવશે.
જે પરીક્ષા સફળતાપૂર્વક પાસ કર્યા પછી યોગ ટ્રેનર ને ગુજરાત રાજ્ય યોગ બોર્ડનું સર્ટિફિકેટ આપવામાં આવશે. આ ટ્રેનિંગ પૂર્ણ થતાં જ યોગ ટ્રેનર ૨૦ લોકોનો યોગા ક્લાસ શરૂ કરી શકશે. અને એક કલાસ માટેનું રૂપિયા ૩,૦૦૦ નું માનદ વેતન મળશે, જ્યારે બે ક્લાસ ચલાવનારને રૂપિયા ૬,૦૦૦ નું માનદ વેતન સરકાર તરફથી મળશે. જે પગાર નહિ, પરંતુ સરકાર ની ’ઘર ઘર યોગ’ યોજના ના ભાગરૂપે રહેશે.
જામનગરમાં એક મહિના માટેની ઓનલાઇન ટ્રેનિંગ ગુજરાત રાજ્ય યોગ બોર્ડના જામનગર જિલ્લા ના કો-ઓર્ડીનેટર દ્વારા અપાશે. જેઓ જામનગર જિલ્લામાં અત્યાર સુધી ૩,૦૦૦ થી વધુ યોગ ટ્રેનરો તૈયાર કરી ચુક્યા છે. આજે જામનગરમાં સૌથી વધુ યોગ ક્લાસો એમની ટ્રેનરો દ્વારા સંચાલિત થાય છે.
આ યોગ ટ્રેનિંગ માટે કોણ કોણ જોડાઈ શકે તેની વાત કરવામાં આવે તો ધોરણ ૧૦ ના વિદ્યાર્થીઓથી લઈને ૮૦ થી ૯૦ વર્ષ સુધીના ફિટ સિનિયર હોમવર્કર બહેનો, સ્કૂલ શિક્ષિકાઓ, કોલેજ ફેકલ્ટી, બેંક, ઓફિસના કર્મચારીઓ કોઈ પણ વ્યક્તિ, જે રોજના ૧ કલાક થી વધુ પોતાને ફિટ રાખવા તથા સેવા આપવાનો સંકલ્પ રાખે તે જોડાઈ શકે છે.
યોગ એ જીવનની સાચી જીવનશૈલી છે, જે આપને શાંતિ, સંતુલન, એકાગ્રતા, નૈતિકતા અને આંતરિક શક્તિ. આપે છે. આથી સૌ સાથે મળીને યોગને જીવનમાં ઉતારીએ, જામનગરને વધુ યોગમય, વધુ સ્વસ્થ અને વધુ સક્રિય બનાવીએ. જેમાં જોડાવા માટે જામનગર જિલ્લા કો-ઓડીનેટર હર્ષિતા મહેતા (૮૮૪૯૮૧૫૫૧૦) નો સંપર્ક સાધવો.