રાજ્ય સરકારે મહેસૂલી ક્ષેત્રે પ્રવર્તતી વર્ષો જૂની જટિલતાઓને દૂર કરવા માટે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. લાંબા સમયથી ઇનામી જમીનોના અનધિકૃત કબજાહક્કને કારણે અનેક લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા હતા. સરકારે હવે આવી જમીનોને સરળતાથી નિયમબદ્ધ (Regularize) કરવા માટે મંજૂરી આપી દીધી છે.
શું છે સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય?
મહેસૂલ વિભાગના નવા આદેશ અનુસાર, જે ઇનામી જમીનો રી-ગ્રાન્ટ (પુનઃ મંજૂર) થઈ ગઈ છે અથવા તો જે રી-ગ્રાન્ટ કરવાને પાત્ર છે પરંતુ ટેકનિકલ કારણોસર અટવાયેલી છે, તેને હવે નિયમબદ્ધ કરી શકાશે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે મહેસૂલી ક્ષેત્રે રાજ્યમાં વિવિધ ઇનામી જમીનોના અનઅધિકૃત કબજાહક્ક નિયમબદ્ધ કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રીશ્રીના આ નિર્ણય અનુસાર, રિગ્રાન્ટ કરી હોય કે કરવાને પાત્ર હોય પણ રિગ્રાન્ટ ન થઈ હોય તેવી જમીન સરળતાથી નિયમબદ્ધ કરી શકાશે. આ માટે જમીનની પ્રવર્તમાન જંત્રીના ૨૦ ટકા કબજાહક્કની રકમ ભરી નિયમબદ્ધ કરી શકાશે.
જે જમીનો રિગ્રાન્ટ કરેલી હોય પરંતુ કબજાકિંમત ભરપાઈ ન કરી હોય તેવી જમીનના કબજેદારો, રિગ્રાન્ટ કરવાને પાત્ર હોય પરંતુ કોઈ કારણસર રિગ્રાન્ટ થઈ ન હોય તેમજ વારસદારો જો આવી જમીનના ધારણકર્તા હોય તેમને આ નિર્ણયનો લાભ મળશે.
એટલું જ નહિ, આવી જમીનોની તબદીલીઓ થઈ ગઈ હોય અને હાલ જમીનો અન્ય કોઈના કબજામાં હોય તેવા કબજેદારોને પણ આ નિર્ણયનો લાભ મળવાથી રાજ્યના ખેડૂતોને મોટો ફાયદો થશે.