રાજકોટમાં કિન્નર ગુરુ અને શિષ્યા વચ્ચે ચાલી રહેલા વિવાદમાં વધુ એક ગુનો નોંધાયો છે. અગાઉ નિકિતા દે સામે ગુનો નોંધાયા બાદ હવે નિકિતા દે દ્વારા ગુરુ મીરા દે અને મિહિર ચૌહાણ સામે ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપ્યા અંગે થોરાળા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. જે ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી.
જાણવા મળતી વિગતો મુજબ, શહેરના ગંજીવાડા શેરી નંબર 18 શક્તિ ચોક પાસે રહેતી નિકિતા દે (ઉ.વ. 26) દ્વારા થોરાળા પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે મીરા દે (રહે. પરાપીપળીયા 25 વારીયા ક્વાર્ટર, એકતાનગર) અને મિહિર ચૌહાણના નામ આપ્યા છે. ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગઈ તારીખ 27/11 ના ફરિયાદી ઘરે હતી ત્યારે ગુરુ મીરા દેનો ફોન આવ્યો હતો જેમાં મિહિરે વાત કરી હતી. આજથી બે મહિના પહેલા રાજકોટ જયુબેલી ગાર્ડનમાં ફરિયાદીને ગુરુ મીરા દે તથા તેની સાથે કિન્નરો સાથે માથાકૂટ ઝઘડો અને મારામારી થઈ હોય જે કેસનું સમાધાન કરી લેવા મિહિર ચૌહાણએ જણાવતા ફરિયાદીએ સમાધાન કરવાની ના પાડી હતી.
બાદમાં મિહિર પાસેથી મીરા દે ફોન લઇ સમાધાન કરવાની વાત કરતા ફરિયાદીએ સમાધાન ન કરવાનું જણાવતા ઉશ્કેરાઇ જેમ ફાવે તેમ બોલી ગાળો આપી કહ્યું હતું કે, તું રાજકોટ મૂકી દેજે નહીંતર તારા ટાંટિયા ભાંગી નાખીશ અને તને જાનથી મારી નાખીશ. બાદમાં મિહિર ચૌહાણ પણ કહ્યું હતું કે તું રાજકોટ મૂકી દેજે તેમ કહી ગાળો આપી જો રાજકોટ નહીં મૂકે તો તને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી. બાદમાં ફોન કાપી નાખ્યો હતો. જેથી ડરી જઇ ફરિયાદી નિકિતા દેએ ફીનાઇલ પી લીધું હતું જેથી તે અહીં હોસ્પિટલે પણ આવ્યા હતા અને ફરિયાદીએ ફીનાઇલ પીધાની જાણ થતા તેમણે પણ ફિનાઇલ પિ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ખોટી ફરિયાદ નોંધાવી હોવાના આક્ષેપ સાથે નિકિતા દે થોરાળા પોલીસ સ્ટેશનમાં આ ફરિયાદ નોંધાવી છે