BREAKING NEWS

ગુરૂ નાનકજીનો જન્મ અખંડ ભારત સમયના પાકિસ્તાનમાં થયો'તો, ગુરુ નાનક જયંતિને પ્રકાશ પર્વ તરીકે કેમ ઉજવવામાં આવે છે?, જાણો તેમના જીવન વિશે

  • November 05, 2025 09:44 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


શીખ ધર્મના સ્થાપક અને પ્રથમ ગુરુ નાનક દેવજીનો જન્મ કાર્તિક પૂર્ણિમાના દિવસે થયો હતો. ગુરુ નાનક જયંતી દર વર્ષે કાર્તિક પૂર્ણિમાની તારીખે ઉજવવામાં આવે છે. આજે ગુરૂનાનક જયંતિ છે. ગુરુ નાનક જયંતિને ગુરુ પર્વ અથવા નાનક દેવનું પ્રકાશ પર્વ પણ કહેવામાં આવે છે. દિવાળીના 15 દિવસ પછી ગુરુ નાનક જયંતિ ઉજવવામાં આવે છે. ગુરુ નાનક જયંતી એ સિંધીઓ અને શીખોનો સૌથી મોટો તહેવાર છે. આ દિવસે ગુરુદ્વારાઓને રોશનીથી શણગારવામાં આવે છે, પ્રભાતફેરી કાઢવામાં આવે છે, ભજન-કીર્તનનું આયોજન કરવામાં આવે છે અને લંગર પીરસવામાં આવે છે. સિંધીઓ અને શીખ સમુદાયના લોકો ગુરુદ્વારામાં જઈને નમન કરે છે. 


ગુરુ નાનક જયંતિને પ્રકાશ પર્વ તરીકે કેમ ઉજવવામાં આવે છે?

ગુરૂદ્વારામાં ભજન, કીર્તન અને લંગર સાથે ગુરુ નાનક જયંતિની ઉજવણી કરવામાં આવે છે. આ ઉપરાંત જન્મ જયંતિ પહેલા પ્રભાતફેરીઓ નીકળે છે, જેમાં લોકો વહેલી સવારે ભજન ગાતા-ગાતા ભક્તોના ઘરે જાય છે. આ ગુરુ નાનકજીના વિચારો અને ઉપદેશોનો પ્રચાર કરવાનો એક માર્ગ છે, જેથી દરેકને તેમના સંદેશનું જ્ઞાન મળી શકે. તેને પ્રકાશ પર્વ એટલા માટે કહેવામાં આવે છે કારણ કે ગુરુ નાનકજી એ સમાજમાં જ્ઞાન અને સત્યનો પ્રકાશ ફેલાવવાનું કામ કર્યું હતું.


તેમના ઉપદેશોએ લોકોને સાચો માર્ગ બતાવ્યો અને સત્ય, પ્રામાણિકતા અને સેવાની ભાવના સાથે જીવન જીવવાનું શીખવ્યું. એવું કહેવામાં આવે છે કે જે પણ વ્યક્તિ ગુરુ નાનક દેવજીની વાતો પર ચાલે છે તે પોતાનું જીવન સુખ અને શાંતિ સાથે વિતાવે છે.


ગુરુ નાનક જયંતિનું મહત્વ

આ તહેવારનું સાચું મહત્વ ગુરુ નાનક દેવજીએ બતાવેલા માર્ગને અનુસરવાનું છે. તેમણે જીવનભર સમાનતા, સેવા અને પ્રેમનો સંદેશો ફેલાવ્યો હતો. આજના દિવસે લોકો નાત-જાત અને ધર્મના ભેદભાવને ભૂલીને એકબીજા સાથે ભાઈચારા અને પ્રેમની પ્રતિજ્ઞા લે છે.


જાણો ગુરૂ નાનકજીનો જન્મ ક્યારે અને ક્યાં થયો હતો

ગુરુ નાનક દેવનો જન્મ વિક્રમ સંવત ૧૫૨૬ની કારતક માસની પૂર્ણિમાના રોજ પાકિસ્તાનના પંજાબ પ્રાંતના તલવંડી નામના ગામમાં થયો હતો, આજે તે સ્થાન 'શ્રીનનકાના સાહિબ' તરીકે ઓળખાય છે. શીખો માટે આ સૌથી મહત્ત્વપૂર્ણ આસ્થાનું કેન્દ્ર છે. ગુરુ નાનક દેવે સમાજની ખરાબીઓ દૂર કરવા અને લોકોમાં ભાઈચારો વધારવાનો પ્રયાસ કર્યો. તેમણે ગુરુ પરંપરા શરૂ કરી અને શીખ ધર્મની સ્થાપના કરી. નાનક દેવજીના પિતા મહેતા કાલુચંદ અને માતા ત્રિપ્તા દેવી હતાં. તેમની પત્નીનું નામ સુલક્ષિણી, પુત્રો શ્રીચંદ અને લક્ષ્મીદાસ હતા. નાનક દેવની બહેનનું નામ નાનકી હતું. નાનક દેવનું અવસાન 1539માં પાકિસ્તાનના કરતારપુરમાં થયું હતું. ગુરુ નાનક દેવજીએ 'એક ઓમકાર'નો સંદેશ આપ્યો હતો, જેનો અર્થ થાય છે કે, ભગવાન એક છે.

બાળક નાનક નાનપણથી જ વિશિષ્ટ વ્યકિતત્વવાળા હતા. તેમની બાળલીલા અને મધુર વાણીવર્તનથી બહેન નાનકી ખૂબ પ્રભાવિત થતી. એકવાર બાળક નાનક પરિવારની ભેંસો ચારવા જંગલમાં ગયા. જયાં એક વૃક્ષ નીચે સૂઇ ગયા. થોડા સમયમાં વૃક્ષની છાયાની દિશા ફરતાં નાનકના મુખ પર તડકો આવવા લાગ્યો. એટલામાં એક ફણીધર નાગ કયાંકથી આવ્યો અને તેમના મુખ પર છાયો પડે તેમ બેસી ગયો. ગામનો ચૌધરી રાયબુલાર ઘોડા પર ત્યાંથી પસાર થઇ રહ્યો હતો. બાળકનાં દર્શન કરી ધન્ય થઇ ગયો. હંમેશ માટે તેમનો શ્રદ્ધાળુ બની ગયો.


બાળક નાનકને જનોઇ આપવાનો સમય થયો. પંડિત હરદયાળ જનોઇ લઇને આવ્યા. નાનક બોલ્યા આ જનોઇ તો મેલી થઇ જશે, તૂટી જશે ત્યારે પંડિતજી બોલ્યા, તમારે કેવી જનોઇ જોઇએ છે? નાનકે જવાબ આપ્યો કે, દયા કપાહ, સંતોષ સૂત, જતગંઢી, સતવટ એટલે કે દયા રૂપી કપાસમાંથી સંતોષ રૂપી સૂતર બનાવો. જેના પર સતના વળ ચઢાવી જત (સંયમ)ની ગાંઠો વાળો. પંડિતજી એવી જનોઇ હોય તો આપો જે ના તૂટે, ના મેલી થાય, ન બળે, ન નષ્ટ થાય જેને ધારણ કરવાથી આત્માનું કલ્યાણ થાય. પંડિતજી તો આ સાંભળીને આશ્ચર્યથી જોઈ જ રહ્યા.


નાનકને પાઠશાળામાં ભણવા મોકલવામાં આવ્યા તો પંડિતજી પાટી પર જે મૂળાક્ષર લખી આપે નાનક તે મૂળાક્ષરથી શરૂ થઇ પ્રભુસ્તતિની કાવ્યપંકિત લખી નાખતા. પંડિતજીએ પિતા કલ્યાણદાસને કહ્યું કે નાનક તો જન્મથી જ જ્ઞાની છે તેને હું શું ભણાવું? કાજી પાસે મોકલ્યા તો તેમનો પણ એ જ અનુભવ રહ્યો. માતા અને બહેન નાનકથી વારી વારી જતાં પણ પિતા કલ્યાણદાસ વ્યાપારી મનોવૃત્તિના હતા. તેથી તેમણે વિચાર્યું નાનક ભણતો નથી તો તેને વેપારમાં પલોટવો જોઇએ.


પિતાએ નાનકને વીસ રૂપિયા આપ્યા અને કહ્યું કોઈ લાભનો સોદો કરી આવો. નાનક પોતાના મિત્ર બાલાને લઈને નીકળ્યા. કેટલાક ગાઉ ચાલ્યા તો સાધુઓની એક મંડળી મળી જે ત્રણ-ચાર દિવસથી ભૂખ્યા હતા. નાનકે વીસ રૂપિયાની ભોજન સામગ્રી લાવીને ભૂખ્યા સાધુઓને ભોજન કરાવી તેમનાં આશીર્વાદ પ્રાપ્ત કર્યા. આ પ્રસંગને સરચા સૌદા કહેવામાં આવે છે. આજે ત્યાં વિશાળ ગુરુદ્વારા છે. નાનક ધેર ગયા તો પિતાએ હકિકત જાણી અને ક્રોધથી પુત્રને લાફો માર્યો. બહેન નાનકી ખૂબ વ્યથિત થઇ અને ચૌધરી રાયબુલારે પણ કલ્યાણદાસને કહ્યું તારું જે નુકસાન થાય તે મારી પાસેથી લેજે પણ અલ્લાહના નૂર આ નાનક પર ક્રોધ ન કરીશ.


નાનકીનાં લગ્ન જયરામજી સાથે થયાં હતાં. તે નાનકને પોતાની સાથે સાસરીમાં લઇ ગઇ જયાં જયરામજીએ સુલતાનપુરના નવાબ દોલતખાનના મોદીખાનામાં નાનકને નોકરી પર રખાયા ત્યાં પણ નાનક ગરીબોને મફત અનાજ આપી દેતા. ગણતરી વખતે તેરનો આંકડો આવે ત્યારે તેરા-તેરા સબ કુછ તેરા (હે પ્રભુ તારું જ છે.) એમ પ્રભુલીન થઇ જતા. કેટલાક ઇર્ષાળુ કર્મચારીઓએ નવાબને ફરિયાદ કરી, નાનક તમારું અનાજ લૂંટાવી રહ્યા છે. હિસાબ જોવામાં આવ્યો તો ખોટને બદલે ઉપરથી નફો થયેલો હતો. નવાબે માફી માગી છતાં નાનકે તે નોકરી છોડી દીધી. તેમનાં લગ્ન સુલક્ષણી નામની સન્નારી સાથે થયાં હતાં. તેમને ત્યાં બે પુત્રોનો જન્મ પણ થઇ ચૂકયો હતો. એક શ્રીચંદ અને બીજા લક્ષ્મીચંદ.


હવે ગુરુનાનકે ઇશ્વરીય સંદેશ જગતમાં ફેલાવવાના હેતુથી પગપાળા પ્રવાસ કરવાનું નક્કી કર્યું. તેમની સાથે તેમના બે સાથી હતા. એક હિન્દુ મિત્ર બાલા, બીજો મુસ્લિમ મરદાના. પહેલી યાત્રા પૂર્વ તરફ જેમાં જગન્નાથપુરી, બંગાળ, આસામ, બર્મા, નાગાલેન્ડ અને ચીનના કેટલાક પ્રદેશમાં ગયા. બીજી યાત્રા પિશ્ચમ તરફ કરી જેમાં ગુજરાતના લખતર બંદરેથી અરબસ્તાનમાં મક્કા, મદીના, કરબલા, બગદાદ, ઇરાક, ઇરાન અફઘાનિસ્તાન થઇ પાછા હિન્દુસ્તાન આવ્યા.


અહીં મક્કામાં અનેક હાજીઓ મળ્યા. તેમણે નાનક સાથે વિચાર વિમર્શ કર્યા. રાત્રે નાનક સૂઇ ગયા ત્યારે તેમના પગ કાબા તરફ થઇ ગયા. કાજી આવ્યા ક્રોધથી લાત મારીને બોલ્યા, એ કાફર, ખુદાના ઘર તરફ પગ કરીને કેમ સૂતો છે? નાનકે જવાબ આપ્યો બિરાદર બહુ થાકી ગયો છું જયાં ખુદાનું ઘર ન હોય તે તરફ મારા પગ કરી દે. કાજીએ ગુસ્સાથી નાનકના પગ ફેરવી નાખ્યા પણ તેને ફરી નાનકના પગ તરફ જ કાબા દેખાવા માંડયું. તેણે ઘણી વખત પ્રયત્ન કર્યોપણ દરેક વખત નાનકના પગ તરફ જ કાબાનાં દર્શન થતાં. તેમના પગે પડયો. ગુરુનાનક બોલ્યા, બિરાદર અલ્લાહ કે ઇશ્વર સર્વવ્યાપી છે.


એ જ રીતે હરિદ્વારમાં પિતૃ તર્પણ કરતા લોકોને પણ ઉપદેશ આપ્યો કે જીવતે જીવ માતા-પિતાની સેવા કરો. મૃત્યુ પછી પિતૃ તર્પણ કે શ્રાદ્ધ કરવા કરતાં એ વધુ જરૂરી છે. તેમણે ભૂમિયા ચોરનો ઉદ્ધાર કર્યો. કૌડા રાક્ષસ જે માનવભક્ષી ભીલ જાતિનો નેતા હતો તેને ઉપદેશ આપી સાચો માનવ બનાવ્યો અને જાતિમાંથી નરબલિની પ્રથા બંધ કરાવી. બાવીસ વર્ષના ભ્રમણ પછી કરતારપુર પોતાને ગામ આવ્યા. ખેતી કામ કરવા લાગ્યા. ગરીબો માટે લંગર (મફત ભોજન) શરૂ કર્યા. આમ પોતાના આચરણ દ્વારા લોકોને ઉપદેશ આપ્યો.


ત્રણ દિવસનો તહેવાર ગુરુ નાનક જયંતિ

ગુરુ નાનક જયંતિના દિવસને 'પ્રકાશ પર્વ' પણ કહેવામાં આવે છે. ગુરુ નાનક જયંતિ માત્ર એક દિવસ માટે ઉજવવામાં આવતી નથી. પરંતુ આ તહેવાર ત્રણ દિવસ સુધી ચાલે છે. આ ત્રણ દિવસ દરમિયાન ગુરુદ્વારાઓમાં અખંડ પાઠનું આયોજન કરવામાં આવે છે. શીખ સમુદાયના લોકો ગુરુદ્વારામાં જાય છે, સેવા કરે છે અને લંગરના રૂપમાં ગુરુનાં નામ પર પ્રસાદ ખાય છે. શીખ લોકો ગુરુદ્વારા જાય છે અને 'ગુરુ ગ્રંથ સાહિબ'નો પાઠ કરે છે. ગુરુ પર્વ પર, તમામ ગુરુદ્વારાઓમાં ભજન અને કીર્તન કરવામાં આવે છે અને પ્રભાતફેરી પણ યોજવામાં આવે છે.


ગુરુ નાનક જીના 3 મોટા પાઠ

નામના જાપની વાસ્તવિક ઉપાસના- ગુરુ નાનકજીના જણાવ્યા અનુસાર, નામજાપ મનને એકાગ્ર કરે છે અને આધ્યાત્મિક-માનસિક શક્તિ આપે છે. માણસની તીવ્રતા વધે છે. 'તમે જે વિચારો છો તે ન થાય, તમે જે વિચારો છો તે થઈ શકે છે. 'છુપાઈ છુપી ના હોવાઈ, જે લઈ રહલિવતાર' એટલે કે ભગવાનમાં શ્રદ્ધા માત્ર વિચારવાથી નથી મળતી, તેથી નામનો જાપ કરો. સારા સંગતમાં કે એકાંતમાં પણ ભગવાનનું નામ લેવું એ ખરી ઉપાસના કહેવાય.


કિરાત કરો- ઈમાનદારીથી મહેનત કરીને આજીવિકા મેળવવી. ગુરુ નાનકજીએ કહ્યું હતું કે, મહેનત કરીને કમાયેલી સંપત્તિ અમીરોની ગુલામી કરતાં અનેક ગણી સારી છે.


વંદ છકો- તેનો શાબ્દિક અર્થ છે, તમારી કમાણીનો અમુક હિસ્સો દાનમાં અથવા અન્યના કલ્યાણ માટે ખર્ચવો. શીખો આ આધારે આવકનો દસમો ભાગ વહેંચે છે, જેને 'દસવંધ' કહેવાય છે. આ રીતે લંગર ચાલે છે.

'ઈક ઓમકાર'ના નારા આપ્યા શીખોના પ્રથમ ગુરુ, ગુરુ નાનક દેવજીએ એક ઓમકારનો નારો આપ્યો હતો. જેનો અર્થ થાય છે કે, 'ભગવાન એક છે'. એક ઓમકાર શીખ ધર્મના મૂળ દર્શનનું પ્રતીક છે, જેનો અર્થ થાય છે 'ફક્ત એક જ સર્વોચ્ચ શક્તિ'. તેમણે જીવનભર માનવતા, સમૃદ્ધિ અને સામાજિક ન્યાયની નિઃસ્વાર્થ સેવાનો ઉપદેશ આપ્યો. આ સાથે એવું પણ માનવામાં આવે છે કે, ગુરુ નાનક દેવજીએ લંગરની પ્રથા શરૂ કરી હતી.


શીખ સમુદાયનો પાયો એવું માનવામાં આવે છે કે, ગુરુ નાનકજીનો જન્મ વર્ષ 1469માં કારતક મહિનાની પૂર્ણિમાના દિવસે થયો હતો. એવું કહેવાય છે કે, શીખોના પ્રથમ ગુરુ, ગુરુ નાનક દેવજીએ શીખ સમુદાયનો પાયો નાખ્યો હતો. તેથી જ તેમને શીખોના પ્રથમ ગુરુ કહેવામાં આવે છે. ગુરુ નાનક દેવજીનું અસલી નામ 'નાનક' હતું. તેમનું ઉપનામ 'બાબા નાનક' હતું.


ગુરુનાનક દેવજીના વિચારોને જાણીએ


जाति का गरबु न करीअहु कोई।।

ब्रह्मु बिन्दे सो ब्राह्मणु होई।।

जाति का गरबु न करि मूरख गवारा।।

इसु गरब ते चलहि बहुतु विकारा।।

चारे वरन आखै सभु कोई।।

ब्रहम बिंद ते सभ ओपति होई।।

(श्री गुरु ग्रंथसाहिब, महला-3,पृ.1127-28)


અર્થાત્....

કોઈપણ પોતાની જાતિનું ગર્વ ન કરે કેમકે બ્રાહ્મણ તે છે જે બ્રહ્મને જાણે છે. હે ગંવાર અને મૂર્ખ વ્યક્તિ, તું જાતિનું અભિમાન ન કર કેમકે આ અભિમાનના ફળ સ્વરૂપ અનેક વિકાર ઉત્પન્ન થાય છે. બધા લોકો ચાર વર્ણની વાત કર્યા કરે છે પરંતુ વાસ્તવમાં સમગ્ર સૃષ્ટિની ઉત્પત્તિ એક બ્રહ્મના બિંદુમાંથી જ થાય છે.


काइआ अंदरि जगजीवनदाता वसै,

सभना करे प्रतिपाला।

જે પરમાત્માએ સંપૂર્ણ જગતને જીવન આપ્યું છે, જે સૌની સંભાળ અને સૌનું પાલન કરે છે, તે પરમાત્મા આ શરીરની અંદર બિરાજમાન છે. 

राम नामु है जोति सबाई


રામ નામની જ્યોત દરેકની અંદર પ્રકટી રહી છે.

ગુરુનાનક દેવજીના આ આધ્યાત્મિક તેમજ એકાત્મતા ના વિચાર આપણને સંદેશ આપે છે કે એક પરમેશ્વર સૌમાં વસે છે, આપણે સૌ એક છીએ, માટે વિવિધ ભેદોને દૂર કરી સમાનતાનો વ્યવહાર સૌ સાથે કરવો તે જ ઈશ્વર ભક્તિ છે.


બાબરે સમાજ પર કરેલા અત્યાચારોનું વર્ણન કરતાં ગુરુ નાનકદેવજી કહે છે, 

पाप की जञ्ज लै काबलहु धाइया जोरी मंगै दानु वे लालो

सरमु धरमु दुइ छपि खलोए कूडु फिरै परधानु वे लालो

खून के सोहिले गावीअहि नानक रतु का कुंगू पाइ वे लालो

(श्री गुरु ग्रंथसाहिब,पृ.722,23)

અર્થાત્...

'સાંભળો, બાબર કાબૂલથી પાપની બારાત લઈને ચઢી આવ્યો છે. તે લોકો પાસેથી જબરદસ્તીથી ધન વસૂલ કરી રહ્યો છે. શરમ તથા ધર્મ(ન્યાય) બંને પાંખો લગાવીને ઉડી ગયા છે (એટલે કે સમાપ્ત થઈ ગયા છે). બધી બાજુ જૂઠ અને અત્યાચારની બોલબાલા થઈ ગઈ છે. બધા લોકો મળીને લોહીથી રંગાયેલા દુઃખના ગીતોથી વિલાપ કરી રહ્યા છે. કેસરની જગ્યાએ લોહી છાંટવામાં આવી રહ્યું છે.


શ્રીગુરુ નાનકજીના જીવન સાથે જોડાયેલાં ચાર મોટાં ગુરુદ્વારા

ગુરુદ્વારા વિશે વાત કરતાં જ આપણા મગજમાં પહેલું નામ આવે છે તે છે સુવર્ણ મંદિર એટલે કે હરિમંદિર સાહિબ. પરંતુ આ સિવાય, માત્ર પંજાબમાં જ નહીં પરંતુ સમગ્ર ભારતમાં આવાં ઘણાં ગુરુદ્વારા છે જે આસ્થાના કેન્દ્ર અને સુંદરતા માટે જાણીતાં છે. આ ગુરુદ્વારાઓમાં આધ્યાત્મિક શાંતિની સાથે સાથે શીખ ધર્મના ઈતિહાસ વિશેની માહિતી પણ ઉપલબ્ધ છે. આજે જાણો ગુરુ નાનકજી સાથે સંબંધિત છે ચાર એવા ગુરુદ્વારા જે ભારતની સાથે પાકિસ્તાનમાં પણ આસ્થાનું પવિત્ર કેન્દ્ર છે. જે ગુરુ નાનકજીના જીવન સાથે જોડાયેલાં હોવાથી અહીં મોટી સંખ્યામાં શ્રાદ્ધાળુઓનો દર્શન કરવા માટે આવે છે.


ગુરુદ્વારા શ્રીબેર સાહિબ (શ્રીસુલતાનપુર લોધી)

ગુરુદ્વારા બેર સાહિબ સુલતાનપુર લોધી નામના શહેરમાં આવેલું છે. સુલતાનપુર લોધી એ કપૂરથલા જિલ્લાનું એક મુખ્ય શહેર છે. અને ભારતના પંજાબ રાજ્યમાં સ્થિત છે. આ સ્થાન તેના ઐતિહાસિક શીખ મહત્ત્વના કારણે ભક્તોમાં ખૂબ જ પ્રખ્યાત છે, અહીં મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે આવે છે. સુલતાનપુર લોધીમાં તેમના રોકાણ દરમિયાન, ગુરુ નાનકજી દરરોજ વેઈ નદી પર સ્નાન કરવા અને ભજન-પૂજા કરવા જતા હતા. ત્યાં તેમણે એક છોડ વાવ્યો હતો, જે આજે 550 વર્ષ પછી પણ મોજૂદ છે. અહીં શીખ સંપ્રદાયના મહાન સેનાપતિ બાબા જસ્સા સિંહ અહલુવાલિયા, જેઓ કપૂરથલા રજવાડાના શાસક હતા, તેમણે ગુરુ નાનકજીની યાદમાં એક મંદિર બનાવ્યું હતું. આ સ્થળની નવી ઇમારતનું નિર્માણ 1938માં શરૂ થયું હતું અને તેનું બાંધકામ 1942માં પૂર્ણ થયું હતું. આ ઇમારત માર્બલથી બનેલી છે. આ ગુરુદ્વારા બેર સાહિબના નામથી પ્રખ્યાત છે. પવિત્ર શહેર સુલતાનપુર લોધી, જ્યાં ગુરુ નાનક દેવ જીએ સૌપ્રથમ ભગવાન અને ભાઈચારાનો ઉપદેશ આપ્યો હતો, તે એક મહાન તીર્થ-સ્થળ બની ગયું. અને આજે આ સ્થળ 'ગુરુદ્વારા બેર સાહિબ'ના નામથી વિશ્વ-પ્રસિદ્ધ છે. જ્યાં હજારો ભક્તો આવતા-જતા રહે છે.


શ્રી નનકાના સાહિબ, પાકિસ્તાન

નનકાના સાહિબ પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં આવેલું છે. તે લાહોરથી લગભગ 80 કિલોમીટર દક્ષિણ-પશ્ચિમમાં અને ફૈસલાબાદથી 75 કિલોમીટર પૂર્વમાં સ્થિત છે. શીખધર્મના સ્થાપક ગુરુ નાનક જીનો જન્મ અહીં 550 વર્ષ પહેલાં થયો હતો અને તેમણે અહીં પહેલીવાર પ્રચાર કર્યો હતો. નનકાના સાહિબ શીખો માટે ઉચ્ચ ઐતિહાસિક અને ધાર્મિક મૂલ્ય ધરાવતું શહેર છે. નનકાના સાહિબનો જન્મ તલવંડી ગામમાં થયો હતો. નનકાના સાહિબ ગુરુદ્વારા ગુરુ નાનકના જીવન દરમિયાન ઘણી ચમત્કારિક ઘટનાઓ અને ઘણા ઐતિહાસિક ગુરુદ્વારાઓનું સ્થળ છે. અહીં લગભગ 18,750 એકર જમીનમાં ગુરુદ્વારા છે. આ જમીન તલવંડી ગામના મુસ્લિમ વડા રાય બુલાર ભટ્ટીએ ગુરુ નાનકને આપી હતી. નનકાના સાહિબ વિસ્તાર શરૂઆતમાં શેખપુરા જિલ્લાનો તાલુકો હતો. 2005માં તે નનકાના સાહિબ નામનો અલગ જિલ્લો બન્યો.


શ્રીગુરુ નાનકજીનું જન્મસ્થળ હોવાના કારણે આ સ્થાનને સૌથી પવિત્ર સ્થાનોમાંનું એક માનવામાં આવે છે. નનકાના સાહિબમાં જન્મસ્થળ સહિત 9 ગુરુદ્વારા છે, જેમાં ભક્તોની શ્રદ્ધા છે. આ બધા ગુરુ નાનક દેવ જીના જીવનનાં મહત્ત્વપૂર્ણ પાસાંઓ સાથે સંબંધિત છે. અહીં દેશ-વિદેશથી પણ શ્રદ્ધાળુઓ દર્શન કરવા આવે છે.


શ્રી કરતારપુર સાહિબ, નારોવાલ, પાકિસ્તાન

પાકિસ્તાનના નારોવાલ જિલ્લામાં આવેલું કરતારપુર, પાકિસ્તાનના પંજાબમાં આવે છે. આ સ્થળ લાહોરથી 120 કિલોમીટર દૂર છે. આજે જ્યાં ગુરુદ્વારા છે, ગુરુ નાનક દેવજીએ 22 સપ્ટેમ્બર, 1539ના રોજ અંતિમ શ્વાસ લીધા હતા. આ ગુરુદ્વારા તેની નજીક આવેલું છે. રાવી નદી અને ડેરા સાહિબ રેલવે સ્ટેશનથી તેનું અંતર ચાર કિલોમીટર છે. આ ગુરુદ્વારા ભારત-પાકિસ્તાન બોર્ડરથી માત્ર ત્રણ કિલોમીટર દૂર છે. આ મંદિર ભારતીય બાજુથી સ્પષ્ટ દેખાય છે.

માન્યતા અનુસાર જ્યારે નાનકજીએ અંતિમ શ્વાસ લીધા ત્યારે તેમનું શરીર આપોઆપ અદૃશ્ય થઈ ગયું અને કેટલાક ફૂલો તે જગ્યાએ રહી ગયા. શીખોએ આમાંથી અડધા ફૂલ પોતાની પાસે રાખ્યા અને હિંદુ વિધિ પ્રમાણે ગુરુ નાનક જીના અંતિમ સંસ્કાર કર્યા અને કરતારપુરના ગુરુદ્વારા દરબાર સાહિબમાં નાનક જીની સમાધિ બનાવી.


તે જ સમયે, પાકિસ્તાનના પંજાબ પ્રાંતના મુસ્લિમ શ્રદ્ધાળુઓએ પણ અડધા ફૂલો લીધા હતા અને તેમણે ગુરુદ્વારા દરબાર સાહિબની બહારના પ્રાંગણમાં મુસ્લિમ રિવાજો મુજબ કબર બનાવી હતી.


આ જ સ્થાને, ગુરુ નાનકજીએ તેમની રચનાઓ અને ઉપદેશો પૃષ્ઠો પર લખ્યા હતા અને તેમના આગામી ગુરુ એટલે કે તેમના શિષ્ય ભાઈ લહનાને સોંપ્યા હતા. આ શિષ્ય પછીથી ગુરુ અંગદ દેવના નામથી ઓળખાયા.

બધા ગુરુઓના લખાણો આ પૃષ્ઠોમાં ઉમેરાતાં ગયાં અને દસ ગુરુઓ પછી, આ પૃષ્ઠોને ગુરુ ગ્રંથ સાહિબ નામ આપવામાં આવ્યું, જે શીખ ધર્મનો મુખ્ય ગ્રંથ માનવામાં આવતો હતો.

ગુરુ નાનક દેવે તેમના જીવનનાં છેલ્લાં વર્ષો આ સ્થાન પર વિતાવ્યા હતા. કહેવાય છે કે, ગુરુ નાનકજીએ અહીં 16 વર્ષ સુધી જીવન વિતાવ્યું હતું. તેથી આ ગુરુદ્વારાનું ઘણું મહત્વ છે. કરતારપુર સાહિબ પાકિસ્તાનના નારોવાલ જિલ્લામાં આવેલું છે.


લુધિયાણામાં સ્થિત ગુરુદ્વારા ગૌ ઘાટ

ગુરુ નાનકજી તેમના શિષ્યો સાથે જ્યાં પણ ગયા ત્યાં તેઓ લોકોને સારાં કાર્યો કરવા માટે પ્રેરિત કરતા રહ્યા. તેમની પાસે આવનારને તેમણે આશ્રય આપ્યો અને તેમનાં દુઃખ દૂર કર્યા. તેમના પ્રવાસ દરમિયાન શ્રી ગુરુ નાનજી પણ લુધિયાણા શહેરમાં પહોંચ્યા અને સતલજના કિનારે આરામ કર્યો. પાછળથી તેનું નામ ગુરુદ્વારા ગૌઘાટ રાખવામાં આવ્યું. આ સ્થાન આજે પણ લુધિયાણાના લોકો માટે આસ્થાનું કેન્દ્ર છે અને અહીં દર બૈસાખી પર મેળાનું આયોજન કરવામાં આવે છે અને લોકો નિયમિતપણે તળાવમાં સ્નાન કરે છે. ગુરુજીએ ગુરુદ્વારા ગૌઘાટના સ્થળે અડધો દિવસ આરામ કર્યો અને પછી ઠક્કરવાલ જવા રવાના થયા.


ગુરુ નાનક દેવ જી તેમના શિષ્યો સાથે 1515 A.D.માં લુધિયાણા આવ્યા અને ગુરુદ્વારા ગૌઘાટના સ્થાને આરામ કર્યો. તે સમયે લુધિયાણામાં જલાલ ખાન લોધીનું શાસન હતું અને તે સમયે ગૌહત્યા ચરમ પર હતી. તે સમયે સતલજ નદીનું સતત ધોવાણ લુધિયાણા શહેર તરફ થઈ રહ્યું હતું અને નદી ધોવાણ કરતી વખતે બુઢા દરિયાના સ્થાને પહોંચી ગઈ હતી. શહેર ત્યાંથી થોડે દૂર હતું. જ્યારે જલાલ ખાનને ખબર પડી કે, ગુરુ નાનકજી ત્યાં આરામ કરી રહ્યા છે, ત્યારે તે તેમની પાસે પહોંચ્યા અને ગુરુજીને સતલજના ધોવાણથી લુધિયાણાને બચાવવા વિનંતી કરી. ગુરુજીએ તેમને કહ્યું કે જો તેઓ તેમના રાજ્યમાં ગૌહત્યા બંધ કરે તો તેમનું રાજ્ય સતલજના ધોવાણથી બચી જશે. જલાલ ખાને ગુરુજીને વચન આપ્યું અને તે પછી ગુરુજીએ સતલજને સાત માઈલ દૂર જવા કહ્યું. સતલજ નદી અહીંથી સાત માઈલ દૂર ગઈ અને અહીં એક ઝરણું વહેતું રહ્યું. તેનું નામ 'બુઢા દરિયા' રાખવામાં આવ્યું. ગુરુજીએ આ સ્થાન પર ગૌહત્યા બંધ કરાવી હતી, તેથી આ ગુરુદ્વારાનું નામ 'ગુરુદ્વારા ગૌઘાટ' રાખવામાં આવ્યું હતું. આજે પણ ગુરુદ્વારા સંકુલમાં એક તળાવ છે અને તેની પાછળ બુઢા દરિયા છે. દર સંક્રાંતિએ અહીં મોટી સંખ્યામાં ભક્તો સ્નાન કરવા આવે છે. ગુરુદ્વારા વ્યવસ્થાપકોનું કહેવું છે કે, ઈતિહાસમાંથી મળેલા તથ્યો અનુસાર, ગુરુ નાનકજી અહીં લગભગ અડધો દિવસ રોકાયા અને ત્યાર બાદ ઠક્કરવાલ ચાલ્યા ગયા.


શ્રી ગુરુ નાનકજી પણ તેમના પ્રવાસ દરમિયાન લુધિયાણા શહેરમાં પહોંચ્યા હતા અને સતલજના કિનારે આરામ કર્યો હતો. પાછળથી તેનું નામ 'ગુરુદ્વારા ગૌઘાટ' રાખવામાં આવ્યું. આ સ્થાન આજે પણ આસ્થાનું કેન્દ્ર છે અને અહીં દર વર્ષે બૈસાખીના દિવસે મેળો ભરાય છે.


ગુરુ નાનક દેવનાં અમૂલ્ય 10 વિચારો


1. અહંકાર, ઈર્ષ્યા, લાલચ અને લોભ માણસને માણસ રહેવા દેતા નથી. આવી સ્થિતિમાં તેમનાથી દૂર રહેવું જોઈએ. 

2. તમારી કમાણીનો દસમો ભાગ દાનમાં સમર્પિત થવો જોઈએ અને તમારા સમયનો દસમો ભાગ ભગવાન સ્મરણ અથવા ભગવાનની ભક્તિમાં સમર્પિત થવો જોઈએ. 

3. તમારે હંમેશા તમારું કામ તણાવમુક્ત કરતા રહેવું જોઈએ અને હંમેશા ખુશ રહેવું જોઈએ. 

4. ભગવાન એક છે અને દરેક જગ્યાએ હાજર છે. હંમેશા એક જ ભગવાનની પૂજા કરો. ભગવાન સર્વત્ર હાજર છે. જેઓ ભગવાનની ભક્તિ કરે છે તેમને કશાનો ભય નથી હોતો. 

5.જો કોઈને પૈસા અથવા અન્ય કોઈ મદદની જરૂર હોય, તો આપણે ક્યારેય પાછળ ન રહેવું જોઈએ. 

6. લોકોને પ્રેમ, એકતા, સમાનતા, ભાઈચારા અને આધ્યાત્મિક પ્રકાશનો સંદેશ આપવો જોઈએ. 

7. પૈસા ફક્ત ખિસ્સા પૂરતા મર્યાદિત હોવા જોઈએ. તેને હૃદયમાં સ્થાન ન આપવું જોઈએ. 

8. સત્ય અને ન્યાયનો માર્ગ અપનાવો અને સારાં કાર્યોનું પાલન કરો. 

9. વ્યક્તિએ સખત મહેનત અને પ્રમાણિકતાથી ગરીબ અને જરૂરિયાતમંદોને મદદ કરવી જોઈએ. 

10. સત્યને જાણવું એ દરેક વસ્તુ કરતાં મહાન છે અને સત્ય દ્વારા જીવવું એ પણ મહાન છે.


અંતિમ વર્ષો


લગભગ 55 વર્ષની ઉંમરે, નાનક કરતારપુરમાં સ્થાયી થયા અને સપ્ટેમ્બર 1539માં તેમના અંતિમ શ્વાસ સુધી ત્યાં રહ્યા. આ સમયગાળા દરમિયાન, તેમણે અચલના નાથ યોગી કેન્દ્ર અને પાકપટ્ટન અને મુલતાનના સૂફી કેન્દ્રોની ટૂંકી યાત્રાઓ કરી . તેમના નિધન સમયે, નાનકને પંજાબ ક્ષેત્રમાં ઘણા અનુયાયીઓ મળી ગયા હતા, જોકે હાલના ઐતિહાસિક પુરાવાઓના આધારે તેમની સંખ્યાનો અંદાજ લગાવવો મુશ્કેલ છે. નાનકના અનુયાયીઓને અન્ય લોકો કરતારી (જેનો અર્થ 'કરતારપુર ગામના લોકો') કહેતા હતા.


નાનકે ભાઈ લહેનાને ઉત્તરાધિકારી ગુરુ તરીકે નિયુક્ત કર્યા, તેમનું નામ બદલીને ગુરુ અંગદ રાખ્યું, જેનો અર્થ "પોતાનો" અથવા "તમારો ભાગ" થાય છે. પોતાના ઉત્તરાધિકારી જાહેર કર્યાના થોડા સમય પછી, નાનક ૨૨ સપ્ટેમ્બર ૧૫૩૯ના રોજ કરતારપુરમાં ૭૦ વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા. શીખ ગ્રંથો અનુસાર , તેમનો મૃતદેહ ક્યારેય મળ્યો ન હતો. જ્યારે ઝઘડતા હિન્દુઓ અને મુસ્લિમો તેમના શરીરને ઢાંકતી ચાદર તરફ ખેંચતા હતા, ત્યારે તેમને ફૂલોનો ઢગલો મળ્યો અને તેથી નાનકનો સરળ વિશ્વાસ, સમય જતાં, એક ધર્મમાં પરિણમ્યો, જે તેના પોતાના વિરોધાભાસ અને રૂઢિગત પ્રથાઓથી ઘેરાયેલો હતો. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News