ધ્રોલ તાલુકાના હજામચોરા ગામના વતની અને રાષ્ટ્રસેવાને અર્પણ કરેલ જીવન જીવનાર નિવૃત્ત કર્નલ વનરાજસિંહ જાડેજાનું તાજેતરમાં ગાંધીનગર ખાતે નિધન થયું છે. કર્નલ સાહેબના અવસાનના સમાચાર મળતા જ ધ્રોલ તેમજ સમગ્ર પંથકમાં સાથે સૈન્ય વર્તુળોમાં પણ શોકની લાગણી છવાઈ ગઈ છે.
કર્નલ વનરાજસિંહ જાડેજાએ ભારતીય સેનામાં લગભગ ૪૨ વર્ષ સુધી દેશની અવિરત સેવા આપી હતી. તેમના સૈન્ય જીવનમાં અનેક મહત્વપૂર્ણ યોગદાન રહેલ છે. તેમણે રાજપૂતાના રેજિમેન્ટના સૂરવીર સૈનિક તરીકે કારગિલ યુદ્ધ (૧૯૯૯) દરમિયાન દેશની સરહદ પર ચાવીરૂપ ભૂમિકા ભજવી હતી. તદુપરાંત, તેમણે દેશના ઇતિહાસમાં નોંધપાત્ર ગણાતા ઓપરેશન બ્લુ સ્ટાર દરમિયાન પણ પોતાની ફરજ બહાદુરીથી નિભાવી હતી. લાંબા સમય સુધી ભારતીય સેનામાં સેવા આપ્યા બાદ નિવૃત્તિ પછી પણ કર્નલ જાડેજા રાષ્ટ્ર અને સમાજપ્રત્યે સક્રિય રહ્યા હતા. તેઓ ગાંધીનગરમાં નિવાસ કરતા હતા, પરંતુ પોતાની માતૃભૂમિ પ્રત્યેની લાગણી અખંડ રહી હતી. નિવૃત્તિ બાદ તેમણે યુવાનોને રાષ્ટ્રપ્રેમ, શિસ્ત અને સંસ્કાર માટે પ્રેરિત કરવાનું કાર્ય હાથ ધર્યું હતું.
મળતી માહિતી મુજબ, કર્નલ સાહેબને અગાઉ હાર્ટ એટેક આવ્યો હતો અને છેલ્લા થોડા સમયથી તેમની તબિયત નાદુરસ્ત હતી. ગઈ કાલે શરીરમાં સોડિયમની ઉણપને કારણે તેમનું અવસાન થયું હોવાનું પરિવારજનો દ્વારા જણાવાયું હતું. તેઓ અગાઉ જામનગર જી.જી. હોસ્પિટલમાં એડમિનિસ્ટ્રેટિવ ડીન તરીકે પણ ફરજ બજાવી ચૂક્યા હતા.
જે તેમની બહુમુખી પ્રતિભાનું પ્રતિબિંબ છે. કર્નલ વનરાજસિંહ જાડેજાના નિધનથી પરિવારજનો સાથે સાથે સમગ્ર સમાજે એક આદરણીય, રાષ્ટ્રનિષ્ઠ અને પ્રેરક વ્યક્તિત્વ ગુમાવ્યું છે. તેમના અંતિમ સંસ્કાર તેમના વતન હજામચોરા ગામે સૈનિક સન્માન સાથે કરવામાં આવ્યા હતા. રાષ્ટ્ર માટે જીવન સમર્પિત કરનાર આ વીર સપૂતને સ્થાનિક નાગરિકો, સૈન્ય અધિકારીઓ અને સમાજજનોએ શ્રદ્ધાંજલિ અર્પી હતી. આજે સવારે હંજામચોરા ગામે સ્વ. કર્નલ વનરાજસિંહ મહેન્દ્રસિંહ જાડેજાની અંતિમ યાત્રા નીકળી હતી, ધ્રોલ તાલુકા તેમજ સમગ્ર જિલ્લામાંથી અગ્રણીય સહિતના મહાનુભાવો જોડાયા હતા, તેમજ તા. ૯ ને ગુરૂવારે સવારે ૯ થી સાંજે પ વાગ્યા સુધી સદ્દગતનું બેસણું રાખેલ છે. તેમજ તા. ૧૬ ના રોજ ઉત્તરક્રિયા રાખેલ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application