BREAKING NEWS

દ્વારકા જિલ્લામાં માવઠાનો કહેર: ભાણવડમાં દોઢ, ખંભાળિયામાં સવા ઈંચ

  • November 01, 2025 05:12 PM 


દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા ત્રણેક દિવસ થયા કુદરત જાણે રૂઠી હોય તેમ માવઠાની પરિસ્થિતિ વચ્ચે ગતરાત્રે જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ વરસતા ખાસ કરીને ધરતીપુત્રો કફોડી હાલતમાં મુકાઈ ગયા છે. ગઈકાલે રાત્રે ભાણવડ તાલુકામાં દોઢ અને ખંભાળિયા તાલુકામાં સવા ઈંચ વરસાદ વરસ્યો હતો.


હવામાન વિભાગની આગાહી મુજબ ખંભાળિયા સહિત સમગ્ર દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી વાતાવરણમાં પલટો આવ્યો છે. દિવસ દરમિયાન સર્જાતા વાદળછાયા વાતાવરણ વચ્ચે અવારનવાર હળવા અને ભારે વરસાદી ઝાપટા વરસતા જનજીવન પ્રભાવિત બન્યું છે. આ વચ્ચે ગઈકાલે સાંજે પણ ખંભાળિયામાં વાદળછાયા માહોલ વચ્ચે કમોસમી વરસાદી છાંટા શરૂ થયા હતા. જેમાં રાત્રે ધોધમાર સવા ઈંચ (૨૯ મી.મી.) સાથે આજે સવારે પણ હળવા ઝાપટા વરસતા કુલ ૩૦ મી.મી. પાણી વરસી જવા પામ્યું છે. 


આ ઉપરાંત ભાણવડ તાલુકામાં પણ ગતરાત્રે ધોધમાર દોઢ ઈંચ (૩૮ મી.મી.) વરસાદ વરસી જવા પામ્યો હતો. આ સાથે કલ્યાણપુર તાલુકામાં પણ ભારે ઝાપટા રૂપે આજે સવાર સુધીમાં ૧૮ મીલીમીટર પાણી પડી જતા ઠેર ઠેર માર્ગ ઉપર પાણી ચાલી નીકળ્યા હતા. આટલું જ નહીં નાના-મોટા જળ સ્ત્રોતો પણ ઓવરફ્લો બની રહ્યા હતા.


આ કમોસમી માવઠાના પગલે વાતાવરણ ઠંડુગાર બની રહ્યું હતું. માર્ગો કીચડથી ખરડાયેલા બની રહેતા વાહન ચાલકો તથા રાહદારીઓએ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. આજે સવારે પણ ધૂપછાંવભર્યા માહોલ વચ્ચે વધુ વરસાદની સંભાવનાઓ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. 

​​​​​​​


કારતક માસમાં અષાઢી રંગ જેવા આ કમોસમી માવઠાના પગલે ગ્રામ્ય વિસ્તારોમાં ખેતરોમાં રહેલા પાકોમાં પણ વ્યાપક નુકસાની થવા પામી હતી. આ માવઠું ધરતીપુત્રો માટે ખૂબ જ નુકસાનકર્તા સાબિત થઈ રહ્યું છે.


આજે સવારે ૮ વાગ્યા સુધીના સરકારી આંકડા મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મોસમનો કુલ સરેરાશ વરસાદ ૩૯ ઈંચ (૯૭૧ મી.મી.) થવા પામ્યો છે. જેમાં સૌથી વધુ કલ્યાણપુર તાલુકામાં ૫૧ ઈંચ (૧૨૬૯ મી.મી.), દ્વારકા તાલુકામાં ૪૦ ઈંચ (૯૯૭ મી.મી.), ભાણવડ તાલુકામાં ૩૬ ઈંચ (૮૯૩ મી.મી.) અને ખંભાળિયા તાલુકામાં ૨૯ ઈંચ (૭૨૫ મી.મી.) થવા પામ્યો છે.


ઘી ડેમ ત્રીજી વખત ઓવરફ્લો !!

ખંભાળિયા તાલુકામાં અગાઉના વર્ષો કરતા સરેરાશ ઓછો થવા પામ્યો છે. આ વર્ષે ખંભાળિયા તાલુકાનો વરસાદ ૨૯ ઈંચ થયો છે. ત્યારે ખંભાળિયા શહેરને પીવાનું પાણી તથા આસપાસના વિસ્તારો માટે પણ સિંચાઈનું પાણી પૂરું પાડતો ઘી ડેમ પ્રારંભમાં ખાલી રહ્યો હોય, પરંતુ ઉપરવાસના વરસાદ તેમજ રેચ ફૂટવા અને તાજેતરના માવઠાના કારણે પ્રમાણમાં ઓછા વરસાદ છતાં પણ ત્રીજી વખત ઓવરફ્લો થતાં નગરજનોમાં આનંદની લાગણી પ્રસરી જવા પામી છે. ​​​​​​​


સિંહણ ડેમ પણ છલોછલ

ગત વર્ષોના પ્રમાણમાં ઓછા વરસાદ વચ્ચે ખંભાળિયા - જામનગર માર્ગ પર આવેલો આશરે ૨૨ ફૂટનો સિંહણ ડેમ ચોમાસાના અંત ભાગમાં આશરે ૧૮ ફૂટ જેટલો ભરાયો હતો. પરંતુ જમીનમાંથી રેચ ફૂટતા તેમજ અન્ય પરિબળોના લીધે હાલ સિંહણ ડેમ પણ ગમે તે સમયે ભરાઈ જાય તેવી શક્યતા છે. આ બાબતને પણ કુદરતની કૃપા માનવામાં આવે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News