BREAKING NEWS

અમરેલી પર આફત વરસી, કારો રમકડાની જેમ તણાઈ, સગર્ભાને બોટમાં લઈ જવાઈ, તૈયાર પાક પર પાણી ફરી વળ્યું, જુઓ તહસનહસની તસવીરો

  • October 27, 2025 06:12 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

હવામાન વિભાગની આગાહી મુજબ શિયાળામાં મેઘરાજાએ મેઘતાંડવ મચાવ્યું છે. આજે સૌરાષ્ટ્રમાં સૌથી વધુ વરસાદ અમરેલીના રાજુલામાં પડ્યો છે. રાજુલામાં 6 ઈંચ વરસાદે તહસનહસ કરી નાખ્યું છે. કારો રમકડાની જેમ તણાઈ હતી તો આખેઆખા સબ સ્ટેશન અને વીજપોલ ધડામ દઈને ધરાશાયી થયા હતા. 


ભારે વરસાદના કારણે અમરેલીના ધાતરવાડી નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી, જેથી અનેક ગામો સંપર્કવિહોણા બન્યા હતા. આ પૂરના પાણી વચ્ચે કુલ બે મહિલાને પ્રસવ પીડા ઉપડતાં તેમને હૉસ્પિટલ લઈ જવું અઘરું પડ્યું હતું. કોઈ વાહન ન મળતાં એક મહિલાને જીસીબીનો સહારો લઈ હૉસ્પિટલ લઈ જવામાં આવી હતી. જ્યારે અન્ય મહિલાને બોટ મારફતે દરિયાઈ માર્ગે ખાડી પાર કરાવી સામા કાંઠે લાવી 108 મારફતે હોસ્પિટલ ખસેડાઈ હતી. આ સિવાય 50 જેટલા ખેત મજૂરો ફસાયાના પણ સમાચાર સામે આવ્યા હતા.


અમરેલી જિલ્લાના રાજુલા નજીક આવેલા ચાંચબંદર ગામની એક મહિલાને પ્રસુતિની પીડા ઉપડતાં તાત્કાલિક સારવારની જરૂર પડી હતી. ગામ વિક્ટર દરિયાઈ ખાડીની નજીક હોવાથી, મહિલાને બોટ મારફતે દરિયાઈ માર્ગે ખાડી પાર કરાવી સામા કાંઠે લાવવામાં આવ્યા હતા. સામા કાંઠે 108 એમ્બ્યુલન્સની ટીમ તૈયાર હતી, જેમણે સમયસૂચકતા વાપરીને મહિલાને તુરંત જ એમ્બ્યુલન્સમાં લીધા અને વધુ સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા હતા. આ ઘટનામાં દરિયાઈ માર્ગની અડચણ હોવા છતાં, બોટ અને 108 ટીમની સંયુક્ત કામગીરીથી મહિલાને સમયસર મદદ મળી હતી.


પૂરના પ્રવાહમાં દૂધના કેન ભરેલી ગાડી તણાઈ

અમરેલીના રાજુલા વિસ્તારમાં ભારે વરસાદને કારણે રામપરા અને L&T કંપની વચ્ચેના કોઝવે પર પાણીનો પ્રવાહ ખતરનાક રીતે વધી ગયો હતો. આ પૂરના પ્રવાહમાં દૂધના કેન ભરેલી એક ગાડી તણાઈ હતી. ગાડી પાણીના તેજ પ્રવાહમાં ખેંચાઈ ગઈ, પરંતુ સદનસીબે ડ્રાઇવરનો આબાદ બચાવ થયો. સ્થાનિક લોકો અને બચાવ ટીમે મહામહેનત કરીને દોરડાની મદદથી મૃત્યુ સામે ઝઝૂમી રહેલા ડ્રાઈવરને સુરક્ષિત રીતે પૂરના પ્રવાહમાંથી બહાર કાઢ્યો હતો.


વરસાદને કારણે મકાન ધરાશાયી 

લાઠી તાલુકાના ઠાંસા ગામે સતત વરસી રહેલા વરસાદને કારણે એક કાચું મકાન ધરાશાયી થયું હતું. ગઈકાલ રવિવારથી ધીમીધારે વરસાદ ચાલુ રહેતા, સામતભાઈ વજાભાઈ પરમારનું કાચું મકાન જમીનદોસ્ત થઈ ગયું હતું. સદનસીબે, આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી, પરંતુ મકાન તૂટી પડવાથી ઘરમાં રહેલા માલસામાનને ભારે નુકસાન થયું છે. આખી રાત ધીમો પણ સતત વરસાદ પડવાના કારણે આ જૂનું મકાન ધરાશાયી થયું હતું.


મગફળીના પાથરા પલળ્યા

અમરેલી જિલ્લામાં ખાબકેલો કમોસમી વરસાદ ખેડૂતો માટે આફતરૂપ સાબિત થયો છે. ખેડૂતોના મગફળીના પાથરા વરસાદના પાણીમાં પલળી જતાં તેમને ભારે નુકસાન થયું છે, જેના કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા છે.


કેડસમા પાણીમાં બચાવ કામગીરી  

બીજી બાજું અમરેલીના ધાતરવાડી નદીમાં આવેલા પૂરના કારણે ઉંચેયા ગામ સંપર્ક વિહોણું બન્યું હતું. અહીં ખેતરોમાં પાણી ફરી વળતા અંદાજે 50 જેટલા ખેતમજૂરો વાડીમાં ફસાયા હતા. ઘટનાની જાણ થતાં ધારાસભ્ય હીરા સોલંકી પોતે કેડસમા પાણીમાં ચાલીને પીપાવાવ મરીન પોલીસ સાથે ઘટનાસ્થળે પહોંચ્યા અને બચાવ કામગીરીમાં મદદ કરી હતી. સમયસર તાત્કાલિક મદદ મળવાના કારણે 50 જેટલા લોકોનો સફળ બચાવ કરી શકાયો અને તમામને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા. ધારાસભ્યની સમયસૂચકતા અને વહીવટી તંત્રની મદદથી મોટી જાનહાનિ થતાં ટળી હતી. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application