ભાવનગર જિલ્લામાં સોમવારે બપોરે ૧૨થી રાત્રિના ૧૨ વાગ્યા સુધીમાં ગાજવીજ અને પવન સાથે સાર્વત્રિક વરસાદ પડ્યો હતો. જેમાં પાલિતાણામાં બાર, સિહોરમાં અગિયાર, ગારિયાધારમાં છ, જેસરમાં અગિયાર, ઉમરાળામાં આઠ, વલ્લભીપુરમાં ચાર, મહુવામાં નવ, તળાજામાં ૬, ઘોઘામાં બે અને ભાવનગરમાં અઢી ઈંચ વરસાદ પડ્યો હતો. અનેક વિસ્તારમાં વીજળી ગુલ, ઠેર ઠેર પુષ્કળ પાણી ભરાયાં હતાં.
સોમવારે બપોરે ૧૨ વાગ્યાથી રાત્રે ૧૨ વાગ્યા સુધીમાં મેઘરાજાએ સમગ્ર ભાવનગર જિલ્લામાં ગાજવીજ સાથે ધમાકેદાર આગમન કર્યું હતું. ભાવનગર શહેર અને ઘોઘામાં હળવા, ભારે ઝાપટા પડ્યા હતા અને અનુક્રમે અઢી અને બે ઇંચ પાણી પડયું હતું. આથી ઠેર ઠેર પાણી ભરાયાં હતાં. અનેક વિસ્તારોમાં રાબેતા મુજબ વીજળી ગુલ થઈ હતી. વલ્લભીપુરમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ શરૂ થયો હતો.વરસાદ શરૂ થયો હતો. રાત્રિ સુધીમાં ચાર ઇંચ વરસાદ પડ્યો હતો.વલભીપુર પંથકમાં પણ સારા પ્રમાણમાં વરસાદ પડ્યો હતો.
સિહોરમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર ૧૧ ઈંચ વરસાદ ખાબક્યો હતો. તેમાંય સાંજે ૪થી ૬ વાગ્યાના સમયગાળામાં સાંબેલાધારે છ ઈંચ વરસાદ ખાબક્યો હતો. વરસાદના પગલે રસ્તાઓ ઉપર નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. ગૌતમેશ્વર તળાવ પ્રથમ વરસાદમાં જ ઓવરફ્લો થયું હતું. તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ મેઘરાજાની જોરદાર આગમન થતાં ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા હતા. સિહોર પંથકના વરલ, થાળા, અગિયાળી, બેકડી, દેવગાણા, રાજપરા, ઉંસરડ સહિતના ગામોમાં વાવણી લાયક વરસાદ થયો હતો. ઉમરાળામાં બપોરથી રાત્રિ સુધીમાં ધમાકેદાર બેટિંગ કરીને મેઘરાજાએ આઠ ઇંચ જેટલું પાણી ઠાલવી દીધું હતું. આથી રસ્તાઓ બેટ બની ગયા હતા. ગ્રામ્ય પંથકોમાં સારા પ્રમાણમાં વરસાદ પડ્યો હતો.
પાલિતાણામાં પણ બપોરથી રાત્રિ સુધીમાં ધોધમાર વરસાદ ખાબકતા બાર ઈંચ પાણી વરસી ગયું હતું.આથી શહેરમાં નદીઓ દોડતી હોય તેવું લાગતું હતું.પાલીતાણા પંથકમાં પણ સારો એવો વરસાદ પડ્યો હતો. જાળીયાથી ઘેટી રોડ પર એક બાઇક ચાલક તણાતા તેને રેસ્ક્યું કરાયો હોવાનું મામલતદાર દશરથસિંહ લિંબડે જણાવ્યું હતું.
ગારિયાધારમાં ધોધમાર છ ઈંચ વરસાદ પડ્યો હતો.આથી ઠેર ઠેર પાણી ભરાયાં હતાં.ગારીયાધાર પંથકના પરવડી સહિતના ગામોમાં પણ સારા પ્રમાણમાં વરસાદ પડ્યો હતો. જેસરમાં બપોરે ૧૨ વાગ્યાથી રાત્રે ૧૨ વાગ્યા સુધીમાં સાંબેલાધારે ૧૧ ઈંચ વરસાદ ખાબક્યો હતો.આથી સર્વત્ર પાણી પાણી થઈ ગયું હતું.જેસર પંથકમાં ચિરોડા, ઝડકલા,રાજપરા, બિલા,સરેરા, ચોક, અયાવેજ,તાતનીયા વગેરે ગામોમાં પણ ધોધમાર સારો એવો વરસાદ પડ્યો હતો.
મહુવા શહેર અને તાલુકામાં પણ મેઘરાજા મન મુકીને વરસ્યા હતા.આથી નવ ઈંચ વરસાદ નોંધાયો હતો.આથી મહુવાના બગીચા ચોક, શાક માર્કેટ સહિતના અનેક વિસ્તારોમાં પાણી ફરી વળ્યા હતા.ભારે વરસાદના કારણે મહુવા તાલુકાની માલણ ,રોજકી, ભાદ્રોડી નદી વગેરેમાં ધસમસતા પાણી આવતા ગાંડીતૂર બની હતી.
તળાજામાં મેઘરાજાએ રવિવારે રજા રાખ્યા બાદ સોમવારે બપોરથી રાત્રિ સુધીમાં છ ઈંચ પાણી પીરસી દીધુ હતુ.આથી ઠેર ઠેર પાણી ભરાયાં હતાં.તળાજા તાલુકાના ગામોમાં પણ સારા પ્રમાણમાં વરસાદ પડ્યો હતો.
સોમવારે બપોરે ૧૨ વાગ્યાથી રાત્રે ૧૨ વાગ્યા સુધીમાં વલભીપુરમાં ૯૭,સિહોરમાં ૨૭૯, પાલીતાણામાં ૩૦૧,ભાવનગર શહેરમાં ૬૧, ઘોઘામાં ૫૨, ઉમરાળામાં ૧૯૫ ,ગારિયાધારમાં ૧૪૯,જેસરમાં ૨૭૨,મહુવામાં ૨૨૯,તળાજામાં ૧૫૦ મિ.મી. વરસાદ પડ્યાનું સરકારી ચોપડે નોંધાયું હતુ.
મહાપાલિકા દ્વારા ફલડ કંટ્રોલ રૂમ કાર્યરત કરાયો
ભાવનગર શહેરના નિર્મળનગર પાસે મહાપાલિકાના ફાયર વિભાગ ખાતે ચોમાસાના પગલે ગત તા. ૧ જૂન-૨૦૨૫ થી ફલડ કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવેલ છે પરંતુ કોઈ કારણસર મહાપાલિકાના અધિકારીઓએ ફલડ કંટ્રોલ રૂમના નંબર અંગે પ્રેસનોટ આપી ન હતી તેથી લોકો પાસે ફલડ કંટ્રોલ રૂમના નંબર ન હતા, જેના પગલે લોકોમાં પ્રશ્નો ઉઠયા હતાં. આ અંગે પ્રશ્નો ઉઠતા સોમવારે મહાપાલિકાએ ફલડ કંટ્રોલ રૂમના નંબર જાહેર કર્યા હતા, જેમાં ૧૦૧, ૦૨૭૮-૨૪૨૪૮૧૪, ૧૫, ૭૮ વગેરે નંબર પર લોકો વરસાદી પાણી ભરાવા, વૃક્ષ પડવા, ડ્રેનેજ લાઈન ચોકઅપ થવી સહિતની વરસાદને લગતી ફરિયાદ નોંધાવી શકશે અને ત્યારબાદ મહાપાલિકા ફરિયાદ નિવારણ માટેની કામગીરી હાથ ધરશે તેમ જણાવાયુ છે.
બુઢણામાં નાળું તૂટતાં રસ્તો બંધ
સિહોર તાલુકાના બુઢણામાં અનરાધાર ૬ ઇંચ પાણી ખાબકતા બુઢણા હરીજનવાસ પાસે પાલિતાણા જવા માટે કોઝવે નાળુ તુટી ગયેલ છે અને પાલિતાણાથી આવતા લવરડા બુઢણા ટાણા વાહન ચાલકો બંધ થયેલ છે. બુઢણા વિખુટુ પડી ગયું છે. બુઢણાથી પાલિતાણા જવા માટે હરીજનવાસ પાસે કોઝવે પછી મઢડીયુ નેરામાં કોઝવે છે રંડોળા પાસ રજાવલ નદીમાં પણ કોઝવે નાળુ હોવાથી રજાવળમાં નદીમાં પણ કોઝવે નાળુ હોવાથી રજાવળમાં પાણી જાય છે અને વાહન ચાલકો હેરાન થાય છે. નદીમા ટુવ્હીલ વાહન પણ તણાઇ ગયેલ છે. જો કે વાહન ચાલકનો બચાવ થયેલ છે. પાલિતાણા જવા માટે ચોમાસામા કોઝવેને બદલે નાળા બનાવવામાં આવે તેમ ટાણા, બુઢણા લવરડા ગ્રામજનોની માંગણી છે. ટાણા રોડ હાઇસ્કુલની બાજુમા મફત પ્લોટમાં ઘરોમાં પાણી ઘુસી ગયા છે.
વાલર ગામે બગડ નદીમાં પાણીનો પ્રવાહ ઓચિંતો વધી જતા ફસાયેલા પાંચ વ્યક્તિઓનું રેસ્ક્યુ
ભાવનગર જિલ્લાના તળાજા તાલુકામાં વરસેલા વરસાદથી વાલર ગામેથી પસાર થતી બગડ નદીમાં પાણીનો પ્રવાહ ઓચિંતો વધી જતા પાંચ વ્યક્તિ ફસાયા હતા. જેને રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા.બે વ્યક્તિને ગ્રામજનોએ બચાવ્યા, ત્રણને બચાવવા તળાજા ફાયરની ટીમ હોડી અને રેસ્ક્યુનો સામાન લઈને પહોંચી હતી અને તેમને બચાવ્યા હતા.આમ, વાલરના પાંચેય ગ્રામજનોનો બચાવ થયો હતો.'
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech