BREAKING NEWS

અમદાવાદ ડબલ મર્ડર કેસ: સેશન્સ કોર્ટે ફટકારેલી ફાંસીની સજા હાઈકોર્ટે રદ કરી, આરોપી નિર્દોષ જાહેર, જાણો શું હતો આખો કેસ

  • April 12, 2026 11:30 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અમદાવાદના ઓઢવ વિસ્તારમાં ૨૦૧૭માં થયેલા ચકચારી ડબલ મર્ડર કેસમાં ગુજરાત હાઈકોર્ટે એક અત્યંત મહત્વનો ચુકાદો આપ્યો છે. નીચલી અદાલતે જે આરોપીને ફાંસીની સજા ફટકારી હતી, તેને હાઈકોર્ટે નિર્દોષ જાહેર કરી તુરંત જેલમુક્ત કરવાનો આદેશ આપ્યો છે. સેશન્સ કોર્ટના હુકમના માત્ર દોઢ વર્ષમાં જ આરોપી બળદેવ ઠાકોર જેલની બહાર આવશે. હાઈકોર્ટે નોંધ્યું હતું કે માત્ર શંકાના આધારે કોઈને સજા આપી શકાય નહીં અને પ્રોસિક્યુશન ગુનો સાબિત કરવામાં નિષ્ફળ રહ્યું છે.


ઘટના અને આક્ષેપો

આ કેસની વિગત એવી છે કે, ઓઢવમાં રહેતા એક પરિવારના મકાનમાં ભાડે રહેતા દંપતી અને તેમની માતા વચ્ચે વિખવાદ ચાલતો હતો. આક્ષેપ મુજબ, મૃતકની પત્નીને હોસ્પિટલમાં કમ્પાઉન્ડર તરીકે કામ કરતા બળદેવ ઠાકોર સાથે પ્રેમ સંબંધ હતો. આ સંબંધની જાણ પતિ અને સાસુને થતા ઘરમાં ઝઘડા થતા હતા, જેના કારણે પત્નીને તેના વતન મહારાષ્ટ્ર મોકલી દેવાઈ હતી. આ વાતનો ખાર રાખીને પ્રેમી બળદેવ ઠાકોરે ઘરમાં ઘૂસીને સાસુ અને પતિની કુહાડીના ઘા મારી કરપીણ હત્યા કરી હોવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો.


સેશન્સ કોર્ટનો કડક વલણ અને ફાંસીની સજા

સપ્ટેમ્બર ૨૦૨૪માં અમદાવાદ સીટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટે આ કેસને ‘રેરેસ્ટ ઓફ રેર’ ગણીને આરોપીને ફાંસીની સજા ફટકારી હતી. કોર્ટે અવલોકન કર્યું હતું કે અનૈતિક સંબંધોને કારણે બે નિર્દોષ વ્યક્તિઓની પશુતુલ્ય હત્યા કરવામાં આવી છે. ૩૮ સાક્ષીઓ અને પુરાવાઓને આધારે કોર્ટે નોંધ્યું હતું કે જો આવા ગુનેગારોને કડક સજા ન થાય તો સમાજમાં ખોટો સંદેશ જશે. જોકે, કાયદા મુજબ ફાંસીની સજા માટે હાઈકોર્ટની બહાલી અનિવાર્ય હોય છે, જે દરમિયાન હાઈકોર્ટે આખો ચુકાદો જ પલટી નાખ્યો છે.


હાઈકોર્ટે કેમ છોડ્યો આરોપીને?

ગુજરાત હાઈકોર્ટે આ કેસના પુરાવાઓની ગહન તપાસ કરતા જણાવ્યું કે, આખો કેસ સંપૂર્ણપણે સંજોગોવશાત પુરાવા  પર આધારિત હતો. સૌથી મોટો ફટકો ત્યારે પડ્યો જ્યારે મહત્વના સાક્ષીઓ કોર્ટમાં પોતાની જુબાનીથી ફરી ગયા હતા. ખુદ પ્રેમિકાએ પણ કોર્ટમાં તેના પ્રેમી બળદેવને ઓળખવાનો ઇનકાર કરી દીધો હતો. વધુમાં, પોલીસે રજૂ કરેલા સીસીટીવી ફૂટેજ સાથે કાયદા મુજબનું ૬૫-બી સર્ટિફિકેટ ન હોવાથી તે ગ્રાહ્ય રાખવામાં આવ્યા નહોતા.


તપાસની ખામીઓ અને કાયદાકીય પાસાઓ

અદાલતે તપાસની અનેક ખામીઓ તરફ આંગળી ચીંધી હતી. હથિયારની રિકવરી અને ઘટનાસ્થળનું પંચનામું કાયદાકીય રીતે સાબિત થઈ શક્યું નહોતું. તપાસ અધિકારી આરોપીનું કથિત નિવેદન પણ કોર્ટ સમક્ષ પૂરવાર કરવામાં નિષ્ફળ રહ્યા હતા. આ ઉપરાંત, મોબાઈલ લોકેશન માટે જરૂરી કોલ ડેટા રેકોર્ડ (CDR) પણ પોલીસ મેળવી શકી ન હતી. હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું કે હત્યા પાછળનો હેતુ (Motive) સાબિત કરવા માટે પૂરતા પુરાવા નથી.


ન્યાયતંત્રનો સિદ્ધાંત: શંકાનો લાભ

હાઈકોર્ટે તેના ચુકાદામાં ભારપૂર્વક જણાવ્યું કે ફોજદારી ન્યાયશાસ્ત્ર મુજબ, પ્રોસિક્યુશને પોતાનો કેસ નિઃશંકપણે સાબિત કરવો પડે છે. જ્યારે પુરાવાની કડીઓ જોડાતી ન હોય, ત્યારે શંકાનો લાભ આરોપીને મળે છે. આમ, ૨૦૧૭થી શરૂ થયેલી આ કાનૂની લડાઈમાં પુરાવાના અભાવે સાત વર્ષ બાદ આરોપી નિર્દોષ જાહેર થયો છે. આ કેસ તપાસની ગુણવત્તા અને કાયદાકીય પ્રક્રિયાઓ પર અનેક સવાલો ઉભા કરે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application