દ્વારકા : શ્રી નાગેશ્વર જ્યોતિર્લિંગ મંદિરનાં ટ્રસ્ટીઓના પ્રકરણની તપાસ નાયબ સચિવને સોપાઈ
અગાઉ વડાપ્રધાનને પત્ર પાઠવીને કરાઈ હતી રજુઆત
દેવભૂમિ દ્વારકા પંથકનાં શ્રી નાગેશ્વર જ્યોતિર્લિંગ મંદિરનાં ટ્રસ્ટીઓ વિરુદ્ધ ગત વર્ષનાં નવેમ્બર મહિનાથી અત્યાર સુધીમાં સ્થાનિક સ્તરથી લઇ વડાપ્રધાન કાર્યાલય સુધી અનેક વખત થયેલ લેન્ડ ગ્રેબિંગની રજૂઆતો સંદર્ભે તપાસનો ધમધમાટ ચાલુ થવાનાં એંધાણ છે.
અરજદાર પરેશભારથી કેશુભારથી ગોસાઈ દ્વારા વડાપ્રધાન કાર્યાલયે કરવામાં આવેલ વધુ એક રજૂઆત સંદર્ભે તપાસ માટે રાજ્યનાં નાયબ સચિવ (જમીન સંપાદન) ભાવીન પટેલને તપાસ સોંપવામાં આવી હોવાનો પ્રત્યુત્તર અરજદારને પાઠવવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે શ્રી નાગેશ્વર જ્યોતિર્લિંગ મંદિરનાં ટ્રસ્ટીઓ પર ગેરવહીવટથી લઇને ૭૦૦ કરોડનાં ભ્રષ્ટાચાર સુધીનાં અનેક આરોપો લાગ્યા છે તથા અદાલતી આદેશ મુજબ પ્રાંત અધિકારી દ્વારા વિવિધ પગલા લેવામાં આવ્યા હતા.
પ્રાંત અધિકારીનાં ઓર્ડરમાં પણ વિવાદિત જમીન સરકારી જમીન હોવાનું દર્શાવાયા પછી લેન્ડ ગ્રેબિંગનાં મુદ્દે કાર્યવાહી કરવાની માંગ પ્રબળ બની હતી પરંતુ કાર્યવાહી કરવામાં તંત્રની નીતી ઢીલી હોવાનો આરોપ અરજદાર દ્વારા લગાડવામાં આવી રહ્યો છે.
આ બધા ઘટનાક્રમ વચ્ચે હવે આ તપાસ નાયબ સચિવને સોંપવામાં આવી હોવાનાં અહેવાલથી આ પ્રકરણમાં નવાજૂનીનાં એંધાણ મળી રહ્યા છે.