જામનગર રાજકોટ હાઇવે પર હિટ એન્ડ રનના બનાવમાં ૧૩ વર્ષના કિશોરનું ગંભીર ઇજા થવાથી સ્થળ પર જ કરુણ મૃત્યુ નીપજયું છે. જ્યારે બાઈક સવાર તેના મામા અને મામાના પુત્ર સહિત અન્ય બે ને ગંભીર ઇજા થઈ છે, અને જીજી. હોસ્પિટલમાં ગંભીર હાલતમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા આ અંગે અજાણ્યા વાહનચાલક સામે ફરીયાદ નોંધીને પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.
જામનગર નજીક વસઈ ગામમાં રહેતા માલધારી કારાભાઈ ડાયાભાઈ ટારીયા નો ૧૩ વર્ષનો પુત્ર મેઘરાજ નવમા ધોરણમાં અભ્યાસ કરે છે, અને કારાભાઈના સાળા કે જેઓ જામનગરમાં રહે છે, તેને ત્યાં લગ્ન પ્રસંગ હોવાથી મેઘરાજ તેના માતા સાથે જામનગરમાં આવ્યો હતો, અને પોતાના મામા મુકેશભાઈ અને તેના પુત્ર જીતેશ સાથે એક બાઈક નં. જીજે૧૦એબી-૫૪૫૨માં બેસીને જામનગરથી વસઈ ગામે પરત ફરી રહ્યા હતા.
જે દરમિયાન જામનગર રાજકોટ ધોરી માર્ગ પર અતિથી હોટલ હાપા ગામ રોડ પાસે કોઈ અજાણ્યા વાહનના ચાલકે પૂરપાટ ઝડપે આવી બાઈકને ટક્કર મારી દેતાં ગોઝારો અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતમાં બાઈક સવાર મુકેશભાઈ અને તેના પુત્ર જીતેશ તેમજ ભાણેજ મેઘરાજને ગંભીર ઇજા થઈ હતી, જેમાં મેઘરાજનું સ્થળ પર મૃત્યુ નીપજયું હતું, જયારે બાઈક સવાર મુકેશભાઈ અને તેના પુત્ર જીતેશને ઈજા થઈ હોવાથી સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
આ બનાવ અંગે મૃતક બાળકના પિતા કારાભાઈ ડાયાભાઈ ટારીયાએ જામનગરના પંચકોશી એ. ડિવિઝન પોલીસ મથકમાં અજાણ્યા વાહન ચાલક સામે ફરિયાદ નોંધાવતાં પીએસઆઇ એ. આર. પરમાર વધુ તપાસ ચલાવી રહ્યા છે.