હાલમાં રાજકોટમાં ઇન્દિરા સર્કલ પાસે જલારામ પ્લોટમાં માવતરના ઘરે રહેતી પરિણીતાએ વેરાવળમાં રહેતા પતિ સામે મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પતિને કઢંગી હાલતમાં અન્ય સ્ત્રી સાથે જોઇ જતા તેણે મારમારી પત્નીને ઘરમાંથી કાઢી મૂકી હતી.
ઇન્દિરા સર્કલ પાસે જલારામ પ્લોટમાં માવતરના ઘરે રહેતી પરિણીતા જાગૃતીબેન રૂપારેલ(ઉં વ ૪૭) એ મહિલા પોલીસ સ્ટેશનમાં પતિ પ્રફુલ પ્રભુદાસભાઈ રૂપારેલ (રહે.વેરાવળ) વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યું હતું કે તેના લગ્ન ૦૮/૦૨/૨૦૦૩ ના રોજ પ્રફુલ પ્રભુદાસભાઈ રૂપારેલ (રહે જલારામ કૃપા , શેરી નંબર ૮, ૬૦ ફૂટ રોડ, ગીતાનગર ૨, વેરાવળ, ગીર સોમનાથ )સાથે થયા હતા. લગ્નના બીજા દિવસથી જ પતિ ઝઘડો કરવા લાગ્યો હતો. દીકરાના જન્મ બાદ પતિ સાથે પરિણીતા સંયુક્ત પરિવારમાંથી છૂટા થઇ અલગ રહેવા જતા રહ્યા.ત્યાં પણ પતિ શારીરિક માનસિક ત્રાસ આપતો. પતિ પરિણીતાને માર મારી ઘરમાંથી કાઢી મૂકતા અનેકવાર પરિણીતા માવતરના ઘરે જતી રહેતી બાદમાં સમાધાન કરી ફરી સાસરે જતી રહેતી.
ત્રણ વર્ષ પહેલા પતિએ ઝઘડો કરી ઘરના ફર્નિચરને પણ નુકશાન પહોંચાડ્યું હતું. દીકરી મહેસાણા હોસ્ટેલમાં રહી અભ્યાસ કરે છે. પતિ નાની નાની બાબતોમાં ઝઘડો કરી દીકરા સાથે પરિણીતાને ઘરમાંથી બહાર કાઢી મૂકતા માવતરના ઘરે જતી રહી હતી. જ્યાં ગત ફેબ્રુઆરીમાં પાડોશીના લગ્નમાં જાણવાં મળ્યું કે પતિને અન્ય સ્ત્રી સાથે સંબંધ છે જે બાબતે ગત તા. ૨/૬ ના રોજ પરિણીતા સમાજના અગ્રણીઓ સાથે વાતચીત કરવા ગયા ત્યારે પતિએ વાત કરવાની ના પાડતા સમાધાનના ઇરાદે ત્યાં જ રોકાઈ ગયા. તા. ૬/૦૬ ના રોજ ફરી સમાધાન માટે વાત કરવા ઘરે જતા પતિને કઢંગી હાલતમાં જોતા આ અંગે પૂછતા પતિએ પરિણીતાને ગાળો ભાંડી મારકૂટ કરી ઘરમાંથી કાઢી મૂકતા પતિ વિરુદ્ધ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.