મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારના કર્મચારીઓના વ્યાપક હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય કરીને છઠ્ઠા તેમજ સાતમા પગાર પંચનો લાભ મેળવતા રાજ્ય સરકારના કર્મચારીઓને કેન્દ્રના ધોરણે મોંઘવારી ભથ્થામાં વધારાનો લાભ તા.૧ જુલાઈ, ૨૦૨૫થી આપવાનો નિર્ણય કર્યો છે.
સાતમા પગાર પંચવાળાને ત્રણ ટકા વધારો
મુખ્યમંત્રીના આ નિર્ણય અંતર્ગત સાતમા પગાર પંચનો લાભ મેળવતા કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં ત્રણ ટકાનો વધારો કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારના જે કર્મયોગીઓ છઠ્ઠા પગાર પંચનો લાભ મેળવતા કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં પાંચ ટકાનો વધારો કરવામાં આવેલ છે.
ત્રણ મહિનાનું એરિયર્સ એક જ હપ્તમાં ચૂકવાશે
આ મોંઘવારી ભથ્થાની ૩ માસની એટલે કે ૧ જુલાઈ ૨૦૨૫થી ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૫ સુધીની તફાવતની રકમ એક હપ્તામાં ચૂકવવામાં આવશે. આ મોંઘવારી ભથ્થાના વધારાનો લાભ રાજ્ય સરકારના, પંચાયત સેવાના તથા અન્ય એમ કુલ ૪.૬૯ લાખ કર્મયોગીઓ અને અંદાજે ૪.૮૨ લાખ જેટલા નિવૃત્ત કર્મચારીઓ એટલે કે પેન્શનર્સને મળવાપાત્ર થશે.
એરિયર્સના રૂ.૪૮૩.૨૪ કરોડ રૂપિયા ચૂકવાશે
એટલું જ નહિ, રાજ્ય સરકાર આ એરિયર્સ પેટે કુલ મળીને રૂ.૪૮૩.૨૪ કરોડ રૂપિયાની કર્મચારીઓને ચુકવણી કરશે તથા વધારાના વાર્ષિક રૂ.૧૯૩૨.૯૨ કરોડની ચુકવણી પગારભથ્થા-પેન્શન પેટે કરાશે. મુખ્યમંત્રીએ કરેલા આ કર્મચારી હિતકારી નિર્ણયના અમલ માટે નાણાં વિભાગ દ્વારા જરૂરી આદેશો કરવા અંગેની સૂચનાઓ પણ આપી છે.